[રપ૬] પોતાના દેશમાં કુરબાની વાજિબ થતાં પહેલાં બીજા દેશમાં કુરબાની ઝબહ થાય તો ઈઆદહ જરૂરી

Chapter : કુરબાની

(Page : 324-325-326)

સવાલઃ– જો કોઈ માણસ પોતાના દેશમાં કુરબાનીનો વખત શરૂ થતાં પહેલાં અને પોતાના દેશમાં કુરબાની વાજિબ થતા પહેલાં બીજા એવા દેશમાં પોતાની વાજિબ કુરબાની કરાવે કે જયાં પોતાના દેશથી એક દિવસ પહેલાં કુરબાનીનો વખત શરૂ થઈ ચૂકયો છે તો તેની વાજિબ કુરબાની અદા થશે કે નહિ? જો અદા ન થાય તો તેણે વાજિબ થયા પછી બીજી વાર કુરબાની કરવી પડશે કે નહિ?

જવાબઃ– સવાલમાં લખવા મુજબ માણસ પોતે જે દેશમાં હોય તે દેશમાં કુરબાનીનો વખત શરૂ થતા પહેલાં અને તેના ઉપર કુરબાની વાજિબ થતા પહેલાં બીજા દેશમાં પોતાના દેશથી એક દિવસ પહેલાં  કુરબાની કરાવે તો તેની વાજિબ કુરબાની અદા નહિ થાય અને તેણે પોતાના દેશમાં કુરબાનીનો વખત શરૂ થયા પછી અને પોતાના ઉપર કુરબાની વાજિબ થયા પછી પોતાની વાજિબ કુરબાની અદા કરવા માટે બીજી વાર કુરબાની કરવી પડશે. જેવી રીતે કે નમાઝ ફર્ઝ થતા પહેલાં કોઈ નમાઝ પઢી લે અથવા રોઝહ ફર્ઝ થતા પહેલાં કોઈ ફર્ઝ રોઝહ રાખી લે તો તેણે ફર્ઝ થયા પછી ફરીવાર ફર્ઝ નમાઝ પઢવી પડશે અને ફર્ઝ રોઝહ રાખવા પડશે.   (બદાઈઅ–૪/૧૯૮, શામી– પ /૧૯૮)

                જુઓ શહેરી માણસ માટે ઈદની નમાઝ પછી કુરબાની ઝબહ કરવી શર્ત છે, ઈદની નમાઝથી પહેલાં ઝબહ કરવી જાઈઝ નથી. જો કોઈ શહેરી માણસ ઈદથી પહેલાં કુરબાની ઝબહ કરી લે તો તેણે બીજી વાર કુરબાની કરવી પડશે. અને આવા માણસને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ બીજીવાર કુરબાની કરવાનો હુકમ ફરમાવ્યો છે.

                હઝરત અનસ બિન માલિક (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) થી નકલ કરે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ઈદના દિવસે ફરમાવ્યું કે જે માણસે ઈદની નમાઝથી પહેલાં કુરબાની ઝબહ કરી હોય તે ફરીવાર કુરબાની કરે. (આ ફરમાન સાંભળી) એક સહાબી હઝરત અબૂ બુર્દહ બિન નિયાર (રદિ.) કહેવા લાગ્યા કે યા રસૂલલ્લાહ! (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આ (ઈદના) દિવસમાં તો લોકોને ગોશ્તની ઈચ્છા થાય છે અને પોતાની પડોશીઓની જરૂરત બયાન કરી અને કહયું કે હા, મારી પાસે બકરીનું એક જવાન બચ્ચું છે, તે ગોશ્તની બે બકરીઓથી બેહતર છે, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ (કુરબાનીના ઈઆદહ રૂપે) તે જવાન બચ્ચુ ઝબહ કરવાની ઈજાઝત આપી. (બુખારી શરીફ, ર/૮૩ર)

                શહેરી માણસ ઉપર કુરબાની તો સુબ્હે સાદિકથી જ વાજિબ થઈ જાય છે, પરંતુ કુરબાની અદા કરવા માટે ઈદ પછી ઝબહ કરવું શર્ત છે અને જેવી રીતે તેથી પહેલાં ઝબહ કરનાર માટે કુરબાનીનો ઈઆદહ જરૂરી છે એવી જ રીતે કુરબાની વાજિબ થતાં પહેલાં ઝબહ કરનાર કે કરાવનાર માટે પણ બીજીવાર કુરબાની કરવી જરૂરી છે.

Log in or Register to save this content for later.