Chapter : નમાઝ
(Page : 132-133)
સવાલ :– મુકતદી માટે જમાઅત સાથે નમાઝ પઢતી વખતે પહેલા અને બીજા કઅ્દહમાં અત્તહિય્યાત પઢવાનો શું હુકમ છે ? અને જો કોઈ મુકતદી યાદ હોવા છતાં અત્તહિય્યાત છોડી દે અથવા તેનાથી ભૂલથી છૂટી જાય અને તેના માટે સજદએ સહવ કરવો દુરૂસ્ત ન હોય તો શું અત્તહિય્યાત છોડી દેવાથી અથવા ભૂલથી છૂટી જવાથી તેણે નમાઝ લોટાવવી વાજિબ છે કે નહિ ?
જવાબ :– મુકતદીએ પહેલા અને બીજા કઅ્દહમાં અત્તહિય્યાત પઢવું વાજિબ છે, જો મજકૂર વાજિબ યાદ હોવા છતાં મુકતદી (ઈમામ સાથે નમાઝ પઢનાર) સુસ્તીના લઈ છોડી દે તો નમાઝ લોટાવવી વાજિબ છે, ચાહે નમાઝનો વખત બાકી હોય કે પૂરો થઈ ગયો હોય.
(‘શામી ૧/૪૮૭)
જો મજકૂર વાજિબ મુકતદીએ ભૂલથી છોડી દીધો હોય તો ઈમામના તાબે હોવાથી તેના માટે સજદએ સહવ કરવો વાજિબ નથી અને ઈમામની નમાઝથી ફારિગ થયા પછી પોતાની નમાઝનો ઈઆદહ પણ વાજિબ નથી. કારણ કે ઈમામ સાથે નમાઝ પઢતાં ભૂલથી છૂટેલો વાજિબ મુકતદી માટે માફ છે. (‘ઈમ્દાદુલ અહકામ ૧/૩૮૯)
હઝરત ઈબ્ને ઉમર (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે,
“ઈમામની પાછળ નમાઝ પઢનાર ઉપર સહવ લાઝિમ નથી.”
પરંતુ અમુક આલિમો અત્તહિય્યાત ભૂલથી છૂટી જવા બાદ મુકતદી માટે ઈમામની નમાઝમાં સજદએ સહવથી છૂટેલા વાજિબની તલાફી શકય ન હોવાથી મુકતદી માટે નમાઝના ઈઆદહને (ફરી વાર પઢવાને) વાજિબ કહે છે, માટે જો કોઈ મુકતદી આવી સૂરતમાં એહતિયાત રૂપે નમાઝ લોટાવે તો તેને નાજાઈઝ નહિ ગણાય, બલ્કે લોટાવવી બહેતર છે. (‘શામી ૧/૪૯૯, ‘અહસનુલ ફતાવા ૩/ર૬૮)
Log in or Register to save this content for later.