Chapter : નિકાહ
(Page : 242-243-244)
સવાલ :– મસ્નૂન મહર કોને કહેવામાં આવે છે? અને તેનું પ્રમાણ આજની પ્રચલિત હિસાબ પધ્ધતિ મુજબ કેટલું છે અને મહરે ફાતમી કોને કહેવામાં આવે છે અને તેનું પ્રમાણ કેટલું છે?
જવાબ :– હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પોતાની સાહબઝાદીઓ (રદિ.) અને હઝરત ઉમ્મે હબીબહ (રદિ.) સિવાય બીજી અઝવાજે મુતહ્હરાત (રદિ.)ના નિકાહમાં જે મહર નકકી ફરમાવી હતી તેને મહરે મસ્નૂન કહેવામાં આવે છે અને નબવી યુગમાં પ્રચલિત તોલમાપની પધ્ધતિ મુજબ મહરે મસ્નૂનનું પ્રમાણ હદીષ શરીફમાં સાડાબાર ઉકિય્યહ ચાંદી બતાવવામાં આવી છે અને એક ઉકિય્યહ ચાંદી ચાલીસ દિરહમ બરાબર થાય છે અને એ હિસાબે સાડાબાર ઉકિય્યહ બરાબર કુલ પાંચસો દિરહમ ચાંદી થાય છે અને હિન્દુસ્તાની જૂની વજન પધ્ધતિ મુજબ એક ઉકિય્યહ બરાબર સાડા દસ તોલા અને એક દિરહમ બરાબર ત્રણ માશા, એક પૂર્ણાંક રતી અને એક પંચમાંઅંશ (૧૧/પ) રતી થાય છે અને મજકૂર હિસાબ મુજબ સાડાબાર ઉકિય્યહ અથવા પાંચસો દિરહમ ચાંદી હિન્દુસ્તાની જૂના વજનના હિસાબે એક સો એકત્રીસ તોલા ત્રણ માશા ચાંદી બરાબર થાય છે. અને તોલમાપની હાલની પ્રચલિત નવી પધ્ધતિ મુજબ એક તોલા બરાબર ૧૧ ગ્રામ ૬૬૪ મિલી ગ્રામ અને એક માશા બરાબર ૯૭ર મિલી ગ્રામના હિસાબે ૧૩૧ તોલા ૩ માશા ચાંદી બરાબર ૧પ૩૦ ગ્રામ ૯૦૦ મિલી ગ્રામ ચાંદી થાય છે અને જો ગ્રામની કસરને (અપૂર્ણ ભાગને) પૂરો ગ્રામ ગણી લઈએ તો મહરે મસ્નૂનનુ પ્રમાણ ૧પ૩૧ ગ્રામ ચાંદી થાય છે. (જ.ફિકહ –૧/૪ર૪,૪ર૮)
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ હઝરત ફાતિમા (રદિ.)ના નિકાહ વખતે તેઓની જે મહર નકકી ફરમાવી તેને મહરે ફાતિમી કહેવામાં આવે છે, અમુક હદીષોથી માલૂમ પડે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની બધી જ સાહબઝાદીઓની મહર એક સરખી એટલે કે સાડાબાર ઉકિય્યહ ચાંદી નકકી કરવામાં આવી હતી અને તે હદીષોના આધારે મહરે ફાતિમીનું પ્રમાણ એક સરખું જ એટલે ૧પ૩૧ ગ્રામ ચાંદી સાબિત થાય છે.
(ઈમ.મુફતીન – પ૬૪)
અલબત્ત, મુલ્લા અલી કારી (રહ.) એ સય્યિદ જમાલુદ્દીન (રહ.)ની કિતાબ ”રવઝતુલ અહબાબ” અને સાહિબે મવાહિબના હવાલાથી મહરે ફાતિમી વિશે એક રિવાયત ચારસો મિસકાલ ચાંદી હોવાની નકલ ફરમાવી છે અને એ જ પ્રમાણે શૈખ કુતુબુદ્દીન દહેલ્વી (રહ.) એ પણ ”મઝાહિરે હક” માં હઝરત ફાતિમા (રદિ.)ની મહર આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની બીજી સાહબઝાદીઓની મહરથી અલગ એટલે કે ચારસો મિસકાલ ચાંદી બતાવી છે.
જો ચારસો મિસકાલ ચાંદીની રિવાયત મુજબ મહરે ફાતિમીનું વજન નકકી કરવામાં આવે તો એક મિસકાલ બરાબર સાડાચાર માશાના વિશ્વાસપાત્ર હિસાબના આધારે ચારસો મિસકાલ ચાંદી હિન્દુસ્તાની જુના વજન પ્રમાણે એક સો પચાસ તોલા ચાંદી થાય છે અને નવા તોલમાપ પ્રમાણે ૧૭૪૯ ગ્રામ ૬૦૦ મિલી ગ્રામ ચાંદી થાય છે અને જો ગ્રામની કસરને પૂરો ગ્રામ ગણી લઈએ તો મહરે ફાતમીનું પ્રમાણ ૧૭પ૦ ગ્રામ ચાંદી થાય છે.
(મિર્કાત –૬/ર૪૬, મઝાહિરે હક કદીમ–૩/૧પ૪)
Log in or Register to save this content for later.