[૮૬] મસબૂક સજદએ સહ્‌વની સલામ કહે

Chapter : નમાઝ

(Page : 130-131)

સવાલ :– ઈમામ સાહેબને નમાઝમાં સજદએ સહવ કરવો પડે તેવી હરકત થઈ અને મસબૂક મુકતદીએ (જેની રકઅત છૂટી હતી) જાણમાં અથવા અજાણમાં ઈમામ સાહેબ સાથે સજદએ સહવની સલામ ફેરવી સજદએ સહવ કર્યો તો તેને નમાઝ ફરી પઢવી પડશે ? અથવા શું કરવું પડશે ?

જવાબ :– જો મજકૂર મસબૂક મુકતદીને પોતે સજદએ સહવની સલામ કહેતી વખતે એ વાત યાદ હતી કે હજુ તેની છૂટેલી નમાઝ પઢવાની બાકી છે અને એ વાત યાદ હોવા છતાં એમ સમજીને કે ઈમામ સાહેબ સાથે સજદએ સહવની જેમ સજદએ સહવની સલામ કહેવી પણ ઝરૂરી છે અથવા એમ સમજીને કે ઈમામ સાથે સજદએ સહવની સલામ કહેવામાં કોઈ વાંધો નથી, જો તેણે ઈમામ સાહેબ સાથે સહવની સલામ કહી દીધી હોય તો તેની નમાઝ ફાસિદ થયેલી ગણાશે અને તેણે ફરીથી તે નમાઝ નવેસરથી પઢવી પડશે અને જો મસબૂક મુકતદીને છૂટેલી નમાઝ યાદ ન હતી અને ભૂલથી ઈમામ સાહેબની સાથો સાથ એ પ્રમાણે સલામ કહી દીધી કે ઈમામની અસ્સલામુની મીમની સાથે તે પણ અસ્સલામુની મીમ કહી ફારિગ થઈ ગયો તો તેની નમાઝ દુરૂસ્ત ગણાશે અને તેણે પોતાની નમાઝની છેવટમાં સજદએ સહવ કરવો પણ ઝરૂરી નથી અને જો ભૂલથી ઈમામ સાહેબ સાથે સલામે સહવ એ પ્રમાણે કહી દીધી કે ઈમામ સાહેબના અસ્સલામુ કહ્યા પછી પોતે અસ્સલામુ કહેવાથી ફારિગ થયો તો તેની નમાઝ તો દુરૂસ્ત ગણાશે, પરંતુ આવા મસબૂકે પોતાની છૂટેલી નમાઝ પઢયા પછી ફરીવાર સજદએ સહવ કરવો પણ વાજિબ છે. અને અત્રે એ વાત યાદ રાખવી ઘટે કે ભૂલથી ઈમામ સાથે સજદએ સહવની સલામ કહેનાર મસબૂક નમાઝી સામાન્ય રીતે ઈમામના સલામ કહ્યા પછી જ પોતાની સલામથી ફારિગ થાય છે. માટે ભૂલથી સલામ કહેવાની સૂરતમાં મસબૂક માટે સામાન્ય રીતે સજદએ સહવ કરવો વાજિબ થાય છે, જો સજદએ સહવ વાજિબ થવાની સૂરતમાં મસબૂક સજદએ સહવ નહિ કરે તો તેણે નમાઝનો ઈઆદો કરવો પડશે.

(‘બદાઈઅ ૧/૧૭૬, ‘શામી ૧/૪૦૩,૪૯૯)

Log in or Register to save this content for later.