Chapter : કુરબાની
(Page : 316-317-318-319-320)
સવાલઃ– એક દેશના રહેવાસીની કુરબાની બીજા દેશમાં કરવાની નીચે લખેલી વિવિધ સૂરતોનો હુકમ જણાવશો.
(૧) સામાન્ય રીતે સઉદી અરબ અને ભારતથી પશ્ચિમે આવેલા બીજા દેશોમાં ઈસ્લામી તારીખ એક દિવસ આગળ હોય છે અને ભારતમાં ઈસ્લામી તારીખ તેનાથી એક દિવસ પાછળ હોય છે, તો આ સૂરતમાં જો ભારતમાં રહેનાર કોઈ માણસ પોતાની વાજિબ કુરબાની ત્યાં સઉદીમાં કરવા માટે સંદેશો મોકલાવે અને કુરબાની કરવાનો વકીલ બનાવે અને ઉપર લખવા મુજબ સઉદીમાં જે દિવસે દસમી ઝૂલહજ હોય તે દિવસે ભારતમાં નવમી ઝૂલહજ હોય તો સઉદીમાં રહેનાર કુરબાનીનો વકીલ અહિંઆ રહેનાર માણસની કુરબાની પહેલા દિવસે કરી શકે કે નહિ?
(ર) સઉદી કે બીજા કોઈ દેશમાં ઝૂલહજ મહિનામાં ઈસ્લામી તારીખ ભારતથી એક દિવસ આગળ હોય અને અહિંઆની તારીખ એક દિવસ પાછળ હોય અને સઉદી જેવા દેશનો કોઈ રહેવાસી ભારતના કોઈ માણસને અહિંઆ કુરબાની કરવાનો વકીલ બનાવે તો અહિંઆનો માણસ કુરબાનીના પહેલા દિવસે વકીલ બનાવનાર માલિક તરફથી કુરબાની કરી શકે કે નહિ?
(૩) જે દેશમાં ઈસ્લામી તારીખ એક દિવસ આગળ રહેતી હોય ત્યાંનો રહેવાસી બીજા કોઈ એવા દેશમાં કોઈને વકીલ બનાવી કુરબાની કરાવે કે જયાં ઈસ્લામી તારીખ પહેલા દેશ કરતાં એક દિવસ પાછળ હોય તો આ સૂરતમાં કુરબાનીનો વકીલ પોતાના દેશમાં કુરબાનીના ત્રીજા દિવસે કુરબાની કરી શકે કે નહિ? જયારે કે તે દિવસે વકીલ બનાવનાર કુરબાનીના માલિકના સ્થળે કુરબાનીનો વખત પૂરો થઈ ચૂકયો છે.
(૪) જે બે દેશોના તુલૂઅ – ગુરૂબ આગળ પાછળ હોવાના કારણે તે બન્ન દેશોમાં દિવસ રાતની શરૂઆત અમૂક કલાકો આગળ પાછળ રહેતી હોય, તેવા બે દેશોમાંથી મોડી શરૂઆતવાળા દેશનો રહેવાસી પોતાની કુરબાની કરવાનો વકીલ જલ્દી શરૂઆતવાળા દેશમાં કોઈને બનાવે તો વકીલ પોતાના દેશમાં કુરબાનીના પહેલા દિવસે શરૂ વખતમાં માલિક તરફથી કુરબાની કરી શકે કે નહિ? જો વકીલ પહેલા દિવસની શરૂઆતમાં કુરબાની ન કરી શકે તો પછી કયારે કરી શકે છે?
જવાબઃ– સવાલમાં લખવામાં આવેલ બીજા સ્થળે વકીલ નિયુકત કરી કુરબાની કરાવવાની વિવિધ સૂરતોનો હુકમ જાણવા સમજવા માટે અમૂક બુનિયાદી મસાઈલ સમજી લેવા જરૂરી છે, જે નીચે મુજબ છેઃ
(૧)આ હકીકત જગ જાહેર છે કે દુનિયામાં બધા જ દેશો અને શેહેરોમાં દિવસ અને રાતની શરૂઆત એક સાથે એક જ સમયે થતી નથી, બલ્કે આગળ પાછળ થાય છે અને એવી જ રીતે બધા ઈલાકાઓ અને દેશોમાં ઈસ્લામી તારીખ પણ એક સરખી હોતી નથી, બલ્કે એક બીજાથી દૂરદરાઝના ઈલાકા અને દેશોમાં ઈસ્લામી તારીખ આગળ પાછળ હોય છે.
(ર) જે તે સ્થળે કુરબાનીના દિવસો શરૂ થવાથી ત્યાંના રહેવાસીઓ ઉપર કુરબાની વાજિબ થવા પાત્ર શરતો સાથે કુરબાની વાજિબ થાય છે અને કોઈ સ્થળે કુરબાનીનો વખત શરૂ થતાં પહેલાં ત્યાંના રહેવાસીઓ ઉપર કુરબાની વાજિબ થતી નથી.
(૩) જે તે સ્થળે દસમી ઝૂલહજની સુબ્હે સાદિક તુલૂઅ થવાથી કુરબાનીનો વખત શરૂ થાય છે.
(૪) કુરબાની વાજિબ થતાં પહેલાં કુરબાની ઝબહ કરવાથી વાજિબ કુરબાની અદા નહિ થાય અને વાજિબ થતાં પહેલાં વાજિબ કુરબાનીની નિય્યતથી જાનવર ઝબહ કરવામાં આવશે તો કુરબાનીનો વખત શરૂ થયા પછી અને કુરબાની વાજિબ થયા પછી ફરીવાર કુરબાની કરવી પડશે. જેવી રીતે કોઈ વખતની ફર્ઝ નમાઝ તેનો વખત થતા પહેલાં પઢવામાં આવે તો અદા નહિ થાય અને વખત શરૂ થયા પછી ફરીવાર પઢવી પડશે.
(પ) કોઈ વ્યકિતના ઝિમ્મે કુરબાની વાજિબ થયા પછી તેની અદાયગી સહીહ થવા માટે કુરબાનીનું જાનવર જે સ્થળે હોય ત્યાં કુરબાનીનો વખત શરૂ થવો અને બાકી હોવો શરત છે.
(૬) માલદાર વ્યકિત ઉપર તેના સ્થળે કુરબાની વાજિબ થઈ ગયા પછી તેણે બીજા સ્થળે નિયુકત કરેલો વકીલ કુરબાનીના સ્થળે વખત થઈ ગયા પછી કુરબાની કરે તો દુરસ્ત અને જાઈઝ છે.
(૭) પોતાની વાજિબ કુરબાની વકીલ દ્વારા કરાવનારના સ્થળે કુરબાનીના વખતની શરૂઆત ન થઈ હોય અને વકીલના સ્થળે વખતની શરૂઆત થઈ ગઈ હોય તો વકીલ માટે પોતાના સ્થળે માલિક તરફથી તેની વાજિબ કુરબાની કરવી જાઈઝ નથી, ચાહે કુરબાનીના જાનવરના સ્થળે કુરબાનીનો વખત શરૂ થઈ ગયો હોય. (બદાઈઅ –૪/૧૯૮,ર૧૧ શામી –પ/૧૯૮,ર૦ર)
ઉપરોકત મસાઈલની છણાવટ પછી પૂછેલી સૂરતોનો જવાબ સરળતાથી સમજી શકાય છે કેઃ
(૧) આ સૂરતમાં જો ઝૂલહજ મહિનામાં સઉદીની ઈસ્લામી તારીખ અહિંઆની ઈસ્લામી તારીખથી એક દિવસ આગળ હોય તો સઉદીમાં રહેનાર કુરબાનીનો વકીલ અહિંઆના માણસ તરફથી કુરબાનીના પહેલા દિવસે તેની વાજિબ કુરબાની ન કરી શકે, તેણે ત્યાં કુરબાનીના બીજા દિવસે માલિક તરફથી કુરબાની કરવી ઝરૂરી છે અને પહેલા દિવસે માલિક તરફથી કુરબાની કરશે તો માલિકની વાજિબ કુરબાની અદા નહિ થાય અને બીજીવાર કુરબાની કરવી પડશે.
(ર) આ સૂરતમાં અહિંઆનો રહેવાસી માણસ સઉદીના રહેવાસી તરફથી અહિંઆના પહેલા દિવસે કુરબાની કરી શકે છે.
(૩) આ સૂરતમાં પહેલા દેશમાં રહેનારનો વકીલ પોતાના દેશમાં કુરબાનીના ત્રીજા દિવસે વકીલ બનાવનાર માલિકની વાજિબ કુરબાની કરી શકે છે, કારણ કે માલિક (વકીલ બનાવનાર) ઉપર કુરબાની વાજિબ થઈ ગયા પછી તેની અદાયગીના જાઈઝ અને દુરસ્ત થવા માટે કુરબાનીનું જાનવર જે સ્થળે હોય ત્યાં કુરબાનીનો વખત શરૂ થઈ બાકી હોવો જરૂરી છે ચાહે માલિકના સ્થળે કુરબાનીનો વખત પૂરો થઈ ગયો હોય.
(૪) આ સૂરતમાં કુરબાનીનો વકીલ પોતાના દેશમાં કુરબાનીના પહેલા દિવસની શરૂઆતમાં કુરબાનીના માલિક તરફથી તેની વાજિબ કુરબાની ન કરી શકે, બલ્કે કુરબાનીનો માલિક જયાં રહેતો હોય ત્યાં સુબ્હે સાદિક તુલૂઅ થઈ જાય, ત્યાર પછી જ વકીલ પોતાના સ્થળે તેના તરફથી તેની વાજિબ કુરબાની ઝબહ કરી શકે છે. જો એથી પહેલાં વકીલ પોતાના સ્થળ ઉપર કુરબાની ઝબહ કરશે તો માલિક ઉપર વાજિબ થવા પહેલાં ઝબહ કરેલી ગણાશે, માટે માલિકની વાજિબ કુરબાની અદા નહિ થાય અને તેણે પોતાના સ્થળે કુરબાનીનો વખત શરૂ થયા પછી અને પોતાના ઉપર કુરબાની વાજિબ થયા પછી બીજી વાર કુરબાની કરવી પડશે. જેમ ઉપર જણાવ્યા મુજબ ફર્ઝ નમાઝના વખતથી પહેલાં નમાઝ પઢવામાં આવે તો ફર્ઝ અદા થતો નથી અને વખત શરૂ થયા પછી ફરીવાર ફર્ઝ નમાઝ પઢવી જરૂરી ઠરે છે.
Log in or Register to save this content for later.