[૧૭૬] નિકાહવાળી પુખ્તવયની ઓરતના નિકાહ બીજા સાથે જાઈઝ નથી

Chapter : નિકાહ

(Page : 219-220)

સવાલઃ– હું નામે અશરફ, મને મારા પડોશમાં રહેતી સમીના સાથે પ્રેમ સંબંધ હતો અને અમે શાદી કરવા માંગતા હતા, પરંતુ સમીનાના ઘરવાળાઓને આ સંબંધ મંજૂર ન હોવાથી તા ર૮ / ૦૩ / ર૦૦૭ ના રોજ સમીનાના ઘરવાળાઓની જાણ બહાર અમોએ નિકાહ કરી લીધા હતા, જેમાં સમીનાના વાલી તરીકે ઈલ્યાસ હતા અને ગવાહ તરીકે મો. અલી તેમજ શોએબ હતા અને નિકાહ પઢાવનાર હાફિઝ શોએબ હતા અને આ નિકાહનું રજિસ્ટર મેરેજ સર્ટિફિકેટ પણ છે. બાદમાં સમીનાના ઘરવાળાઓને ખબર પડતા તેમણે સમીનાને દબાણમાં લઈ અમારા ઉપર પોલીસ કેસ તથા કોર્ટ કેસ દાખલ કર્યો, જેમાં અમે બધા નિર્દોષ સાબિત થયા, આજે પણ સમીના મારા નિકાહમાં છે, અમોએ સમીનાને રાખવા માટે માણસો પણ મોકલ્યા, પરંતુ તેઓ મોકલવા તૈયાર નથી, ઉપરાંત તેઓએ સમીનાના તલાક લેવાના હેતુથી સમાજના માણસો જેવા કે (૧) ફિરદોસ (ર) ટપલા સાહેબ (૩) સિદ્દીક (૪) હાજી ફારૂક ને મોકલ્યા હતા, તેમ છતાં મેં સમીનાને અત્યાર સુધી  કોઈ પણ પ્રકારની એક તલાક આપેલ નથી અને આપવા માંગતો નથી અને હું તેને તે સમયે પણ અને આજે પણ શરીઅતે મારા સાથે જે તે ઓરતના શરઈ હકકોની જવાબદારી મુકેલ છે, તે સર્વે હકકો અદા કરી રાખવા માંગુ છું.

                હાલમાં અમને પાકા પાયા પર જાણવા મળેલ છે કે સમીનાના ઘરવાળાઓએ મારા નિકાહમાં હોવા છતાં, સમીનાના નિકાહ ઐયૂબ  સાથે પઢાવી લીધેલ છે, નિકાહ પઢાવનાર હા. અ.રહમાન જે પોલીસ હેડકવાર્ટરની મસ્જિદમાં પેશ ઈમામ છે અને સમીના હાલમાં ઐયૂબના ઘરે શરઈ રૂએ પત્ની ન હોવા છતાં, પત્ની તરીકે રહે છે, હવે ઐયૂબ તેને પત્ની બનાવીને રાખી રહેલ છે,  તો શું આ નિકાહ જાઈઝ છે? બન્‍નેનું સાથે રહેવું જાઈઝ છે? તથા શરીઅતમાં તેમના વિશે શું હુકમ છે? તે શરીઅતની રોશનીમાં જવાબ આપવા વિનંતી.

                આ લોકોના આ નાજાઈઝ, હરામ કાર્યથી આખા સમાજની અંદર ખરાબ છાપ ઉભી થઈ છે, જેને ધ્યાનમાં રાખી જવાબ આપવા વિનંતી.  (અશરફ)

જવાબ :– જો મજકૂર નિકાહ નસબ, દીનદારી વગેરેની દ્રષ્ટિએ છોકરીના સમકક્ષ છોકરા સાથે થયા હતા તો કોઈ શરીઅત માન્ય કારણ વિના કાઝીને એક પક્ષીય નિકાહ ફસ્ખ કરવાનો અધિકાર નથી, માટે બીજા નિકાહ બાતિલ ગણાશે અને બીજા નિકાહ મુજબ પતિ – પત્ની તરીકે રહેતા બન્‍નેવ પુરુષ – ઓરતે જલ્દીથી અલગ થઈ જવું પડશે અને આવા બાતિલ અને નાજાઈઝ નિકાહમાં કોઈ રીતે પણ સહાયક બનનાર ગુનેહગાર ગણાશે.

                અને જો મજકૂર પહેલા નિકાહ સમકક્ષ છોકરા સાથે થયા ન હતા તો તે પહેલા નિકાહમાં છોકરીના વાલીની રઝામંદી ન હતી એટલે સહીહ અને જાઈઝ નહીં ગણાય અને બીજા નિકાહ જાઈઝ અને દુરસ્ત ગણાશે એવી જ રીતે જો શરીઅત માન્ય કોઈ કારણથી મુસ્લિમ કાઝીએ પહેલા નિકાહ ફસ્ખ કર્યા હોય તો પણ પેહલા નિકાહ રદ બાતિલ ગણાશે અને ઓરતે ઈદ્દત પછી કરેલા નિકાહ જાઈઝ અને દુરસ્ત ગણાશે.

                શરીઅતમાં એવી કોઈ બુન્યાદ કે પતિને જાણ કર્યા વિના નિકાહ ફસખ કરવામાં આવે એ અહકરની જાણમાં નથી, કાઝી પાસે સામાન્ય રીતે વિવાદાસ્પદ બાબતમાં બન્‍ને પક્ષોની જુબાની લઈ ફેસલો કરવામાં આવે છે.(શામી ભા.ર)

Log in or Register to save this content for later.