Chapter : કુરબાની
(Page : 307-308)
સવાલ :– જે હાજીઓ સફર કરીને મકકહ મુકર્રમહ હજ માટે જાય છે તેઓ ઉપર માલદાર હોવાના લઈ ઈદની કુરબાની વાજિબ છે કે નહિ?
જવાબઃ– જે માલદાર હાજીઓ શરઈ સફર (એટલે કે કમ થી કમ ૭૮ કિલોમીટરનો સફર) કરીને હજ માટે જાય છે. તેઓ મોટા ભાગે મુસાફિર હોય છે અને મુસાફિર ઉપર ઈદની કુરબાની વાજિબ નથી. માટે એવા મુસાફિર માલદાર હાજી ઉપર પણ ઈદની કુરબાની વાજિબ નથી.
હા, જે માલદાર હાજી આઠમી ઝૂલહજ એટલે કે મીનામાં જવાના દિવસથી અથવા તેથી વધુ સમય પહેલાં મકકહ મુકર્રમહ પહોંચી જાય અને લગાતાર પંદર દિવસ અથવા તેથી વધુ મુદ્દત ત્યાં મકકહ મુકર્રમહમાં રહેવાની નિય્યત કરી મુકીમ બની જાય તો કુરબાનીના દિવસોમાં મુકીમ હોવાથી તેઓ ઉપર ઈદની કુરબાની વાજિબ થશે અને જો મીનામાં જવાની તારીખથી પંદર દિવસથી ઓછી મુદ્દત પહેલાં શરઈ સફર કરી મકકહ મુકર્રમહ પહોંચશે તો ચાહે મકકહમાં પંદર દિવસ રહેવાની નિય્યત કરશે તો પણ મુકીમ નહિ બને અને ઈદની કુરબાની વાજિબ નહિ થાય, કારણ કે આઠમી તારીખે મીના અને નવમી તારીખે અરફાત જવાનું નકકી હોવાથી મુસાફિર જ રહેશે. એવી જ રીતે જો લગાતાર પંદર દિવસ મકકહમાં રહેવાની નિય્યત નથી તો પણ ઈદના દિવસોમાં મુસાફિર જ રહેશે. એટલે ઈદની કુરબાની વાજિબ નહિ થાય. (ઝુ.મનાસિક –ર/૧ર૯)
નોટ :– હવે મિના, મુઝદલિફહ મકકહની આબાદીમાં શામેલ છે, એટલે મિના, મુઝદલિફહ, અરફાતમાં રહેવાના દિવસો પણ ઈકામતની મુદ્દતમાં ગણત્રીમાં લેવામાં આવશે.
Log in or Register to save this content for later.