[ર૪૦] હજ, ઝકાત અને કુરબાનીનો નિસાબે વુજૂબ

Chapter : કુરબાની

(Page : 304-305-306-307)

સવાલઃ– મારી પાસે સત્તાવીસ (ર૭) એકર જમીન છે જે મારી પોતાની માલિકીની છે, ઉપરાંત મારી પાસે બે મકાન પાકા છે, એક મકાન રૂપિયા ૭પના ભાડાથી ભાડે આપેલું છે. બીજું મારા પોતાના વપરાશ માટે છે. મારી પાસે તાંબા પિત્તળના વાસણો આજની કિંમત પ્રમાણે રૂ. ર૦,૦૦૦/–ના છે, જેનો વપરાશ થતો નથી.

                બીજું મારો બાલિગ પુત્ર છે, જે લગભગ સાત મહિનાથી સઉદી છે, જેના તરફથી મને પરવરદિગારની મહેરબાનીથી દર મહિને રૂપિયા ૩૦૦૦/– જેટલી રકમ મળે છે. અત્યાર સુધીમાં એના તરફથી રૂપિયા ર૦,૦૦૦/– (વીસ હજાર) મળ્યા છે. એને સઉદી મોકલવામાં મને લગભગ ૧૬,૦૦૦/– (સોળ હજાર) જેટલો ખર્ચ પણ થયો છે.

                મારા માથા પર અમારી સોસાયટીનું રૂપિયા વીસથી પચ્ચીસ હજાર જેવું દેવું છે, સીઝન પણ લગભગ ૧ર વર્ષથી બરાબર થતી નથી એટલે કે સોસાયટીનું દેવું ભરપાય થઈ શકે તેવી પાકતી નથી. હું હાલ અત્રેની કન્યાશાળામાં નોકરી કરું છું .

                ઉપરની હકીકત ધ્યાનમાં લઈ ચાલુ સાલે મારે હજમાં જવાનો ઈરાદો છે, તો મારાથી જઈ શકાશે કે કેમ? તેનો શરઈ હુકમ મુજબ જવાબ આપશો અને મારા ઉપર ઝકાત વાજિબ થશે કે કેમ તેમાં પણ શરઈ હુકમ મુજબ જવાબ આપશો.

                આવી પરિસ્થિતિ હોવા છતાં અલ્લાહ તઆલાની મહેરબાનીથી હું હર સાલ કુરબાની આપું છું, તો તે બરાબર ગણાશે કે કેમ? તેનો ખુલાસાવાર જવાબ આપશો. હજ મારા પુત્રના પૈસામાંથી પઢવાનો વિચાર છે. મારા પુત્રના પૈસાનો ઉપયોગ મારાથી તેની રજા સિવાય કરી શકાય કે કેમ? તેનો જવાબ આપશો.

                આમ તો મેં એને પૈસા માટે લખેલું તો એના જવાબમાં તેણે લખેલું કે હું તમને જે રકમ મોકલું છું એ મારુંં તમારા પર અહેસાન નથી, પરંતુ એને મારી ફરજ સમજું છું અને તમારા માટે અલ્લાહ તઆલાએ મને એ ફરજ પૂરી કરવાની શકિત આપી એ બદલ ખુદાપાકનું અહેસાન માનુ છું કે મને આવી તૌફીક આપી.

                ખુદાપાકના ફઝલથી મારી નિય્યત પણ  એવી નથી કે કર્ઝ અદા ન કરવું. ખેતી પાકે તો એ કર્ઝ જરૂરથી ભરી દેવાની નિય્યત છે અને હવે પછી દુઆ છે કે અલ્લાહ પાક હરામની રોજીથી બચાવે.

જવાબ :– આપના સવાલમાં પોતાની માલી સ્થિતિ બતાવ્યા સહિત હજ, ઝકાત અને કુરબાની વિષે પૂછવામાં આવ્યું છે, તો સર્વ પ્રથમ છોકરાની આવક વિષે સમજી લેવું જોઈએ કે જો તમોએ ખર્ચ કરેલા સોળ હજાર રૂપિયા છોકરાને બક્ષિશ તરીકે આપી દીધા હતા તો છોકરાની આવકમાંથી એટલા રૂપિયા તમારી મિલ્કતમાં ગણાશે નહિ અને જો એમ સમજી આપ્યા હતા કે છોકરો કમાશે એટલે પરત મળી જશે તો તમારી ખર્ચ કરેલ જેટલી રકમ તે છોકરાની આવકમાંથી તમારી મિલ્કતમાં ગણાશે. (શામી ભા–૪)

                હવે છોકરો દર મહિને જે કંઈ મોકલે છે જો તમારી મિલ્કત તરીકે મોકલે છે તો એ આવક પણ તમારી મિલ્કતમાં ગણાશે અને જો ફકત અમાનત તરીકે મોકલે છે તો એ છોકરાની જ મિલ્કત ગણાશે અને છોકરાની રજા સિવાય તમો એની રકમ ખર્ચ નથી કરી શકતા, કારણકે તમો પોતે પોતાના ભરણ પોષણ માટે શકિતમાન છો.(શામી, બાબે નફકહ ભા.ર)

                 શરીઅતના હુકમ મુજબ તમારા ગુજરાનની જમીનની આવકમાંથી જે બચત થતી હોય તે અને આજની કિંમતથી બિન ઉપયોગી વાસણો જેટલી રકમના હોય તે અને હાલ તમારા ઉપયોગમાં ન લેવાતા મકાનની કિંમત અને બીજો જે કંઈ બિન ઉપયોગી સામાન હોય તેની કિંમત અને તમારી પોતાની માલિકીનું પોતાની પાસે કે બેંકમાં જે કંઈ રોકડ ભંડોળ હોય તે કુલ મળી સોસાયટીનું જે કંઈ દેવું હોય તે બાદ કરતાં વધારાના એક ઘર, વાસણો અને અન્ય ફાઝલ સામાનની કિંમત તથા રોકડમાંથી એટલી રકમ વધે છે કે તેનાથી પોતાની હજનો શરઈ જરૂરી ખર્ચ અને હજમાં ગયાથી પાછા આવતા સુધી તે વ્યકિતઓનો ભરણપોષણ ખર્ચ જેમનું ભરણપોષણ શરઈ દ્રષ્ટિએ તમારા શિરે વાજિબ છે (જેમકે  ઔરત, નાબાલિગ અવલાદ, બિન પરિણિત છોકરીઓ અને મા–બાપ ગરીબ હોય તો તે (શામી – ર/૬૭૧,૬૭ર) પૂરો થઈ શકે છે તો તમારા ઉપર હજ ફર્ઝ છે. જો ઉપરની કુલ મિલ્કતમાંથી દેવું બાદ કરતાં એટલા પ્રમાણમાં ન બચે તો હજ ફર્ઝ નથી. છોકરાની આવકનો ખુલાસો ઉપર લખેલ વિગતથી સમજીને હજ વાજિબ થવા પાત્ર મિલ્કતનું ટોટલ લગાવવામાં આવે એ જરૂરી છે. (શામી ભા. ર /૧૪૩)

                તમારી કુરબાની વિષેનો હુકમ આ છે કે પોતાની હજ વાજિબ થવા પાત્ર ઉપર હજમાં લખેલ મિલ્કતમાંથી દેવું બાદ કર્યા પછી એટલી મિલ્કત વધે કે સાડા બાવન તોલા ચાંદીની કુરબાનીના દિવસોમાં ચાલતી કિંમત બરાબર હોય તો કુરબાની અને સદકએ ફિત્ર વાજિબ થશે, નહિ તો તમારી આપેલી કુરબાની નફલી ગણાશે. (દુર્રે મુખ્તાર શામી સાથે– ભા.ર)

                ઝકાત ફર્ઝ હોવા વિષે હુકમ આ પ્રમાણે છે કે તમારી પાસે જે કંઈ સોનું ચાંદી અને રોકડ રકમ હોય તેમાંથી પોતાનું દેવું બાદ કર્યા પછી ફકત સાડા સાત તોલા સોનું અથવા સોનું ચાંદી મળી સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર અથવા સોનું રોકડ રકમ સાથે મળી અથવા ચાંદી અને રકમ મળી અથવા સોનું ચાંદી અને રકમ મળી સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર બાકી રહે અને તે નિસાબ પર ઈસ્લામી વર્ષ પુરું વીતી ચુકયું હોય તો ઝકાત ફર્ઝ છે અને જો એટલા પ્રમાણમાં બાકી ન બચે તો ઝકાત ફર્ઝ નથી. ઝકાતના નિસાબના હિસાબમાં વધારાનું બીજું ઘર અને વાસણો કે અન્ય કોઈ જરૂરતથી ફાઝલ બિન તિજારતી સામાન ગણવામાં આવશે નહિ. (શામી – ર/૯ )

Log in or Register to save this content for later.