Chapter : નિકાહ
(Page : 196-197)
સવાલ :– એક ભાઈએ એક ગેર મુસ્લિમ ઓરતને નિકાહ વગર બે વર્ષથી પોતાના ઘરમાં રાખી છે અને હાલ તે ઓરતને હમલ પણ છે અને હવે તે ઓરત સ્વેચ્છાએ પોતાની રાજીખૂશીથી મુસલમાન થવા માંગે છે અને ઈસ્લામ સ્વીકાર્યા પછી મજકૂર માણસ સાથે નિકાહ કરવા પણ રાજી છે, તો શું આવા હમલની હાલતમાં ઈસ્લામ સ્વીકારી શકે છે? અને મજકૂર માણસ સાથે તેના નિકાહ થઈ શકે છે અને આ હમલથી જન્મ લેતી અવલાદ કેવી ગણાશે?
જવાબ :– જો મજકૂર નવ મુસ્લિમા ઓરત પરિણીત ન હોય તો તેના ઈસ્લામ સ્વીકાર્યા પછી તુરત સગર્ભા હાલતમાં જ તેના નિકાહ મજકૂર માણસ સાથે જાઈઝ છે અને નિકાહ પછી તુરત પતિએ તેની સાથે દેહ સંબંધ કરવો પણ જાઈઝ છે. કારણ કે આ ગલત હમલ તે પતિના જ છે અને આ હમલથી જન્મ પામનાર બાળક જો નિકાહ પછી છ મહિનાની મુદ્દત પૂરી થયા પછી જન્મે તો તે બાળક આ પતિનું કાયદેસરનું બાળક ગણાશે અને જો નિકાહ થયા પછી છ મહિનાની મુદ્દતના અંદર અંદર તે બાળક જન્મે તો તે બાળક આ માણસની કાયદેસરની અવલાદમાંથી નહિ ગણાય, બલ્કે ઝિનાનું ગણાશે. (દુ.મુખ્તાર, શામી–૩/ર૯ર)
અને જો મજકૂર નવ મુસ્લિમા ઓરત કોઈ બીજા માણસની પરિણીત પત્ની હોય તો ઈસ્લામ સ્વીકાર્યા પછી તુરત નિકાહ કરવા જાઈઝ નથી. ઈસ્લામ સ્વીકાર્યા પછી જયારે તે બાળકને જન્મ આપી દે ત્યારે મજકૂર માણસના તે ઓરત સાથે નિકાહ કરવા જાઈઝ થશે અને બેહતર આ છે કે બાળકને જન્મ આપ્યા પછી ઓરત ત્રણ માસિક વડે ઈદ્દત પૂરી કરે અને ઈદ્દત પૂરી થયા બાદ તેનાથી નિકાહ કરવામાં આવે અને આ સૂરતમાં પેદા થનાર બાળક ઓરતના આગલા પતિનું ગણાશે, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ તે બાળક પોતાની માતાના તાબે ગણેશે. (શામી –ર/૩૯૦)
Log in or Register to save this content for later.