[ર૩પ] નફલ હજની નિય્યતથી જમા કરેલ રકમ બીજા કોઈ નેક કામમાં ખર્ચ કરી શકાય

Chapter : હજ

(Page : 294-295)

સવાલ :– મારા વાલિદ સાહેબ દરરોજ થોડી રકમ બચત કરી એક વર્ષમાં ૧૦,૦૦૦/– રૂપિયા જમા કરે છે, આ રીતે ત્રણ વર્ષમાં ત્રીસ હજાર જમા થયા છે, મજકૂર બચત આ નિય્યતથી કરે છે કે પાંચ – છ વર્ષમાં જયારે હજના ખર્ચ માટે પૂરતી રકમ જમા થશે તો એવા ગરીબ મુસલમાનને જેના ઉપર હજ ફર્ઝ નથી તેને માલિકી ધોરણે આ રકમ આપીને હજ પઢવા મોકલશે. તો આ નિય્યત સહીહ છે કે નહિ? અથવા આ રકમ અન્ય દીની કામોમાં ખર્ચ કરવી અફઝલ છે? બીજાને હજ પઢાવવાની નિય્યતથી જમા કરેલી રકમ બીજા દીની કામોમાં વાપરી શકાય કે નહિ? અથવા હજની નિય્યતથી જમા કરેલ રકમ ઉપર કોઈ અસર પડશે?

જવાબ :– કોઈ ગરીબ મુસલમાનને હજ પઢાવવાની નિય્યતથી રકમ જમા કરવી અને તે જમા રકમ કોઈ ગરીબને માલિકી ધોરણે આપી હજ પઢવા મોકલવો એ જાઈઝ છે, બાકી માત્ર આ પ્રમાણે નિય્યત કરવાથી મજકૂર રકમ હજ માટે નક્કી થયેલી નહિ ગણાય, મજકૂર જમા રકમ હજના બદલે બીજા નેક કામોમાં પણ વાપરી શકાય છે, જો બીજા નેક કામો ગરીબની હજ કરતાં વધુ અગત્યના એન જરૂરી હોય તો બીજા કામોમાં મજકૂર રકમ ખર્ચ કરવી અફઝલ અને વધુ સવાબ પાત્ર છે અને હજની નિય્યતથી જમા કરવાથી રકમ ઉપર કોઈ અસર નહિ પડે અને તે હજ માટે નક્કી થયેલ નહિ ગણાય.  (શામીઃ ર, આલમગીરી–૪/૪૦૮)

Log in or Register to save this content for later.