[રરપ] હાજીથી દુઆ કરાવવાનો વખત કયાં સુધી

Chapter : હજ

(Page : 284-285)

સવાલ :– એક માણસનું વતન ટંકારીઆ છે અને તે મનુબરમાં નોકરી અર્થે છેલ્લા આઠ વર્ષોથી રહે છે, આ માણસ હજ પઢવા જનાર છે. ત્યારે પ્રથમ મનુબરથી ટંકારીઆ જવાનો છે અને ટંકારીઆમાં બે દિવસ રહી ટંકારીઆથી મુંબઈ થઈ જિદ્દહ જશે તો આ માણસની મુસાફરી મનુબરથી શરૂ થયેલી ગણાશે કે ટંકારીઆથી? એટલે કે કસર નમાઝ મનુબરથી જ પઢવાની કે ટંકારીઆ પછીથી? એ જ રીતે હજ પઢીને પાછો આવે ત્યારે (હાજી એનાં ઘરે પહોંચે ત્યાં સુધી એની દુઆ કબૂલ થાય છે એ હદીષ મુજબ) એની દુઆઓ મનુબર પહોંચતા સુધી કબૂલ થાય કે ટંકારીઆ પહોંચતા સુધી કબૂલ થાય?

જવાબ :– મજકૂર માણસની મુસાફરી ટંકારીઆથી શરૂ થયેલી ગણાશે, માણસ પોતાના વતનમાં પહોંચી મુસાફિર નથી રહી શકતો. ઈકામતની (એટલે કે ત્યાં ૧પ દિવસ અથવા તેથી વધુ રહેવાની) નિય્યત ન કરે તો પણ મુકીમ બની જાય છે, માટે ટંકારીઆથી નીકળ્યા પછી કસર પઢવાની રહેશે. (દુર્રે મુખ્તાર–૧/૭૩૬)

                અને વાપસી વખતે મનુબર પહોંચવાની ત્રણ સૂરતો છે, એક તો એ કે મુંબઈથી સીધા પોતાના મૂળ વતન એટલે કે ટંકારીઆ પહોંચે. અને ત્યાંથી મનુબર જાય તો આ સૂરતમાં મનુબર ચાહે વતને ઈકામત બની જશે પણ ટંકારીઆ પહોંચવાથી વતન પહોંચ્યા ગણાશે.

                બીજી સૂરત એ છે કે મુંબઈથી સીધા મનુબર પહોંચે અને મનુબર ઈકામતની નિય્યત વગર થોડી મુદ્દત રોકાયને ટંકારીઆ પહોંચે તો આ સૂરતમાં મનુબર વતને ઈકામત નહિ બને અને મજકૂર માણસ ટંકારીઆ પહોંચતા સુધી સફરમાં જ ગણાશે અને ટંકારીઆ પહોંચવાથી વતન પહોંચ્યો ગણાશે.

                ત્રીજી સૂરત એ છે કે મુંબઈથી સીધા મનુબર પહોંચે અને ત્યાં ઈકામતની નિય્યત કરી ઈકામતની મુદ્દત રોકાયને ટંકારીઆ પહોંચે તો આ સૂરતમાં મનુબર વતને ઈકામત બની જશે અને મનુબર પહોંચવાથી વતન પહોંચ્યો ગણાશે.

                પહેલી બે સૂરતોમાં તો ઝાહિર છે કે ટંકારીઆમાં પોતાના ઘેર પહોંચતા સુધી દુઆની તે ફઝીલત બાકી રહેશે જે હદીષ શરીફમાં આ પ્રમાણે છે કે ઈબ્ને ઉમર (રદિ.) ફરમાવે છે કે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ ફરમાવ્યું કે , જયારે કોઈ હાજીથી તમારી મુલાકાત થાય તો તેના પોતાના ઘરે એવણને પહોંચતા પહેલાં તેને સલામ કરો અને તેનાથી મુસાફહો કરો અને તેમનાથી દરખ્વાસ્ત કરો કે તમારા માટે મગફિરતની દુઆ કરે, કારણ કે તે હાજીની મગફિરતનો ફેંસલો થઈ ચૂકયો છે. (મિશ્કાત – રર૩)

                માટે તેમની દુઆની કબૂલિય્યતની મજબૂત આશા છે કારણ કે જેના માટે મગફિરત પામેલ માણસ દુઆ કરે તેની મગફિરત થઈ જાય છે.          (મિર્કાત – પ/ર૮૦)

                અને ત્રીજી સૂરતમાં ચાહે મનુબર વતને ઈકામત બની જાય છે પણ હદીષ શરીફના મુબારક શબ્દોમાં વિચાર કરવાથી એમ પણ આશા રાખી શકાય કે મજકૂર હાજીના પોતાના વતને અસલીમાં પહોંચતા સુધી તેમના માટે મજકૂર દુઆની ફઝીલત બાકી રહે.

Log in or Register to save this content for later.