[૪૦૮] કેટલી ઉમરના બાળકોને મસ્જિદમાં લાવી શકાય ?

Chapter : નમાઝ

(Page : 435)

સવાલ :– અહીં નગીના મસ્જિદમાં જુમ્આના દિવસે તથા પાંચ નમાઝોમાં નાના છોકરાઓ (બચ્ચાઓ) નમાઝ માટે આવે છે, તેમના તરફથી ફરીયાદો મળે છે. તો આપ ખુલાસાથી જવાબ આપશો કે કેટલી ઉંમરે બચ્ચાઓ મસ્જિદમાં આવી શકે?

જવાબ :– જે બાળકો પાકી, નાપાકીને અને મસ્જિદના અદબ, ઈહતિરામને સમજી શકતા ન હોય, જો તેઓને મસ્જિદમાં લાવવામાં આવે તો મસ્જિદમાં પેશાબ, પાખાનું કરવાનો અને બુમો પાડવાનો, વાતો કરવાનો અને રડવાનો ભય હોય, તો એટલી નાની ઉંમરના બાળકોને મસ્જિદમાં લાવવા નાજાઈઝ અને હરામ છે. અને સામાન્ય રીતે પાંચ – છ વર્ષથી ઓછી ઉંમરનું બાળક ના સમજ હોય છે અને તે મસ્જિદના અદબ, ઈહતિરામથી ગાફિલ હોય છે, હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.)નું ફરમાન છે કે તમારી મસ્જિદોને તમારા નાના બાળકો અને પાગલોથી બચાવો.       (શામી–ર/૪ર૯)

                જે બાળકો ઉપર લખેલા મસાઈલને સમજાવવાથી સમજી શકે છે અને મસ્જિદનો અદબ ઈહતિરામ જાળવી શકે છે, તેવા બાળકોને મસ્જિદના આદાબ, પાકી–નાપાકીની વાતો વગેરે વાલીઓ સમજાવે અને તેઓને મસ્જિદમાં આવવા દે તો વાંધો નથી, જાઈઝ છે. અને ૬ થી ૭ વર્ષની ઉંમરના બાળકો મસ્જિદના અદબ અને ઈહતિરામને સમજી શકે છે.                                    (તકરીરાતે રાફઈ : ભાગ–૧/૮૬)

                હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.)એ નાની અવલાદના વાલીઓને હુકમ આપ્યો છે કે સાત વર્ષની ઉંમર થાય તો તમારી અવલાદને નમાઝનો હુકમ આપો.                              (મરાકિયુલ ફલાહ : ૯૩)

                માટે ફુકહાએ કિરામે મસ્જિદની જમાઅતની સફોની તરતીબમાં બાળકોની સફનું પણ વર્ણન કર્યુ છે કે બાલિગ મર્દો પાછળ તેઓની સફ બનાવવામાં આવે. અલબત્ત, એ વાત પર ખાસ ધ્યાન આપવામાં આવે કે મસ્જિદમાં આવતા સમજદાર મોટા બાળકોની તરબિયતની જવાબદારી તેઓના વાલીઓ ઉપર છે, માટે દરેક વાલી પોતાની અવલાદને મસ્જિદનો અદબ જાળવવાની ખૂબ તાકીદ કરે.

Log in or Register to save this content for later.