Chapter : હજ
(Page : 271-272)
સવાલ :– એક બયાનમાં સાંભળવામાં આવ્યું હતું કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની પેશીનગોઈ હતી કે એક જમાનો એવો આવશે કે એક ઔરત હીરા પર્વતથી મકકહ શરીફ સુધી એકલી હજ કરશે અને એ પેશીનગોઈ પૂરી પણ થઈ ગઈ, આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નું ફરમાન છે, કિસ્સો બરહક છે, એમાં કોઈપણ જાતનો શક નથી અને એ કિસ્સામાં આગળ એવું પણ ફરમાન છે કે ઔરત અમન વ અમાન સાથે પાછી ફરશે અને એક મસઅલો એ પણ વાંચવામાં આવ્યો છે કે ઔરત મહરમ વગર બીજો કોઈ સફર તો શું સફરે હજ પણ નથી કરી શકતી તો ઉપર જણાવેલ કિસ્સામાં અને મસઅલામાં વિરોધાભાસ જણાય છે, તો કિસ્સાની અને મસ્અલાની છણાવટ કરશો.
જવાબ :– મજકૂર ભવિષ્યવાણી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી સાબિત છે, બુખારી શરીફ ભા.૧,પે.નં પ૦૭ ઉપર આ હદીસ શરીફ મવજૂદ છે અને હદીસના રાવી હઝરત અદી બિન હાતિમ (રદિ.) કહે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ની આ ભવિષ્યવાણી મુજબ મેં જોયું કે ઊંટની કાઠડીમાં સવાર એ ઔરત હીરહ શહર (જે કૂફાની નજીક એક વસ્તી છે હીરા પર્વત સમજવું ગલત છે) થી સફર કરે છે અહિંઆ સુધી કે તે કઅબહનો તવાફ કરે છે.
પરંતુ મજકૂર હદીસની ભવિષ્યવાણીને ઔરત માટે વગર મહરમે હજ કરવાની દલીલ માનવી અને સમજવી દુરસ્ત નથી કારણ કે કોઈ વાતના અસ્ત્તિવની ખબર આપવાથી તેનું જાઈઝ હોવું સાબિત થતું નથી. (ફ.બારી ૪૬ર/૬ પ્રકા. દેવબંદ)
વિશેષ રીતે જયારે બીજી હદીસોમાં ઔરત માટે વગર મહરમે હજ અથવા બીજા કોઈ હેતુથી લાંબો સફર કરવાની મનાઈ સાફ શબ્દોમાં મવજૂદ છે.
હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) નકલ કરે છે કે હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ ફરમાવ્યું કે કોઈ ઔરત મહરમ વગર સફર ન કરે અને કોઈ પરાયો પુરૂષ ઔરત પાસે તેના મહરમ વગર દાખલ ન થાય. (બુખારી શરીફ)
દારે કુતનીની હદીસમાં છે કે કોઈ ઔરત મહરમ વગર હજ ન કરે. (ફ.બારી ૭૬/૪ પ્રકા. બૈરૂત)
Log in or Register to save this content for later.