[૬૯] બીમારીની નમાઝોની કઝા અને ફિદયહ

Chapter : નમાઝ

(Page : 117-118)

સવાલ :– મને દમની બીમારી હોવાથી અને હાંફણી તથા ભયંકર ખાંસી થવાથી અઠવાડિયામાં ઘણી નમાઝો છૂટી જાય છે, અઠવાડિયામાં બે ત્રણ દિવસ પઢી શકાય છે, બાકી દિવસો ખાટલામાં ગુજરે છે. તો છૂટેલી નમાઝોનો કફફારો કેમ કરી આપવો ? ચાલુ મહિનાથી મેં રજીસ્ટર બનાવ્યું છે જેમાં નોંધ કરું છું કે કઈ કઈ નમાઝો પઢી હતી અને કઈ કઈ નમાઝો પઢી નથી ?

જવાબ :– પહેલા બીમારીની હાલતમાં નમાઝનો હુકમ સમજી લેવો જોઈએ કે બીમારીના લઈ કોઈ ચીજના સહારાથી પણ ઊભું ના રહી શકાતું હોય અથવા ઊભું રહેવામાં બીમારી વધી જવાનો અથવા ઘણી તકલીફ થવાનો ભય હોય તો બેસીને રુકૂઅ, સજદહ કરી નમાઝ પઢવી ઝરૂરી છે,જો બેસીને રુકૂઅ, સજદહ ન થઈ શકતો હોય તો કિબ્લા તરફ પગ કરી (ચત્તાપાટ) સીધું સૂઈ જવું અને ગુંઠણો ઊભા કરી લેવા અને માથા નીચે તકિયો અથવા કોઈ બીજી વસ્તુ મૂકી માથું થોડું ઊંચું કરી માથાના ઈશારાથી રુકૂઅ, સજદહ કરી નમાઝ પઢવી ઝરૂરી છે.

               જો ઉપર પ્રમાણે સૂઈને માથાથી ઈશારો પણ ન થઈ શકતો હોય તો હાલ નમાઝ છોડી આપી તંદુરસ્તીની રાહ જુએ.

               જો એક દિવસ–રાત પૂરા થતાં પહેલાં માથાથી ઈશારાની પણ તાકાત આવી જાય તો છૂટેલી નમાઝોની કઝા કરવી ઝરૂરી છે માટે કઝા કરી લે અને જો એવી જ અશકિતની હાલતમાં એક રાત–દિવસથી વધારે સમય વીતી જાય તો છૂટેલી નમાઝોની કઝા પણ માફ થઈ જશે અને કોઈ જાતનો ફિદયો પણ નહિ આપવો પડે.

(‘દુર્રે મુખ્તાર, ‘શામી ૧/૭૦૮–૭૧ર, ‘તહતાવી ર૩પ–ર૩૭)

               કોઈ માણસ પોતાની હયાતીમાં છૂટેલી નમાઝોનો ફિદયો આપી શકતો નથી. હયાતીમાં છૂટેલી નમાઝોની તો કઝા જ કરવી પડે અથવા ઉપર મુજબ કઝા પણ માફ થઈ જાય અને ફિદયો પણ ન આપવો પડે.

(‘શામી ૧/૭૧ર)

Log in or Register to save this content for later.