Chapter : નમાઝ
(Page : 431)
સવાલ :– (૧) સવાબે જારિયહ માટે મસ્જિદમાં આપેલા બે વકફ મકાનો મસ્જિદની તામીર માટે વેચીને એની તામીરમાં લઈ નથી શકતા, તો જે અગાઉના બુઝુર્ગોએ નકકી કરેલ જગ્યા જયાં આજ સુધી જમાઅત સાથે નમાઝ પઢતા હતા, તે નિય્યત અગાઉના બુઝુર્ગોએ કરેલી, તે બદલી શકાય કે કેમ?
(ર) બે માળની મસ્જિદમાં અફઝલ જગ્યા કઈ? જમીન કે ઉપરનો મઝલો, શું અફઝલને છોડી ગુંજાઈશ પકડી શકાય? હુઝૂર (સલ.) અને સહાબાઓએ કયાં નમાઝ પઢી હતી ?
(૩) ઉપરના માળે જમાઅત કરવાથી ઘરડા માણસોને તકલીફ થાય અને ચઢવામાં જમાઅત સાથેની નમાઝ જાય તો જવાબદારી કોની ?
(૪) શું નીચેનું જમાઅતખાનું કાયમ માટે ખાલી રાખી શકાય ? ઘણા આલિમોનું કહેવું છે કે જમાઅત નીચે જ કરવી જોઈએ, નીચે ભરાય જાય ત્યારે ઉપર જવું જોઈએ.
જવાબ :– મસ્જિદની પ્રથમ બુનિયાદ વખતે ઉપર કે નીચે મસ્જિદને લગતી બીજી કોઈ વસ્તુની નિય્યત ન કરવામાં આવી હોય તો પાતાળથી લઈ આકાશ સુધીની બાંધકામ વાળી અને બાંધકામ વગરની જમીન અને ખુલ્લી ફિઝા શરઈ દ્રષ્ટિએ મસ્જિદ જ ગણાશે, માટે બે માળી મસ્જિદનો બીજો માળ પણ મસ્જિદ જ ગણાશે. પરંતુ મસ્જિદના નીચલા જમીનવાળા ભાગમાં નમાઝ પઢવી એ સર્વ સંમતિથી અફઝલ છે અને હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.)ના સમયથી ચાલ્યો આવતો ઉમ્મતનો પ્રણાલિકાગત તરીકો પણ નીચે જમીનવાળા ભાગ પર નમાઝ પઢવાનો છે અને અમુક સહાબાએ કિરામ, તાબિઈન (રદિ.) અને મુફતિયાને કિરામના મંતવ્ય મુજબ કરાહત મુકત પણ છે. અને હદીષ શરીફમાં જમાઅતની નમાઝમાં ઘરડા, બીમાર અને અશકત માણસોની રિઆયત કરવાનો હુકમ પણ છે.
માટે ઉકત બધી બાબતોને ધ્યાનમાં લઈ જમાઅતની નમાઝ મસ્જિદના નીચલા ભાગમાં પઢવી જોઈએ. અલબત જો નમાઝીઓની ભીડના કારણે નીચેનું જમાઅત ખાનું પૂર થઈ જાય તો બાકીના લોકો માટે ઉપરના માળે ઉભા રહી, નીચેના ભાગમાં ઉભા રહી નમાઝ પઢાવતા ઈમામની ઈકિતદામાં જમાઅતથી નમાઝ પઢવી સર્વાનુમતે વિના કરાહતે જાઈઝ છે. (શામી–૧, ઉમ.કારી–ર/ર૮૪, અહ.ફતાવા–૩ ફ.દારૂલ ઉલૂમ – ૪, ફતાવા મહમૂદિય્યહ –૬)
Log in or Register to save this content for later.