[૪૦ર] જમાઅત છોડી શોપીંગ સેન્ટરમાં જમાઅત કરવી

Chapter : નમાઝ

(Page : 426-430)

[૪૦ર] જમાઅત છોડી શોપીંગ સેન્ટરમાં જમાઅત કરવી

સવાલ :– આજકાલ શોપિંગ સેન્ટરો ઘણા મોટા પ્રમાણમાં બંધાવા લાગ્યા છે, મસ્જિદમાં બાજમાઅત નમાઝ પઢવા જવા કરતાં શોપિંગ સેન્ટરમાં જ જમાઅત કરી લે છે, આવું જ અમારા આણંદમાં શરૂ થયું છે. અમો કવિતા શોપિંગ સેન્ટરથી ચાલીને જઈએ તો ઝકરિય્યહ મસ્જિદ આઠ મિનિટમાં આવી જાય છે, ત્યાં ઝોહરની નમાઝનો જમાઅતનો ટાઈમ ૧–૧પ  રાખેલ છે. શોપિંગ સેન્ટરથી ચાલીને જઈએ તો જુમ્અહ મસ્જિદ પાંચ મિનિટમાં આવી જાય, ત્યાં ઝોહરની નમાઝનો જમાઅતનો ટાઈમ ર–૦૦ વાગ્યાનો રાખેલ છે, અમારા શોપિંગ સેન્ટરમાં અલ્લાહના ફઝલથી બધા જ દઅવતની લાઈનથી વાકિફ છે, ચીલ્લા, ત્રણ ચીલ્લા જેવો વખત આપેલ એવા સમજદાર માણસો છે.

                અમારા શોપિંગ સેન્ટરમાં એક સાહેબે દુકાન ઈબાદતખાના માટે ખાલી રાખેલ છે, ત્યાં ઝોહર, અસર અને મગ્રિબની નમાઝ જમાઅત સાથે થાય છે, ઉપર મુજબ વર્ણન કરેલા સમજદાર લોકો દુકાનમાં ઘરાક ન હોય તેમજ બે–બે, ત્રણ–ત્રણ માણસ હાજર હોય છતાં નજીકની મસ્જિદોમાં જમાઅતના ટાઈમ અલગ હોવા છતાં એક એક માણસને બન્ને મસ્જિદોમાં જમાઅત સાથે નમાઝ પઢવા મોકલવાની કોશિષ કરતા નથી, ઉપરથી એવી દલીલ થાય છે કે અહિં જમાઅત થાય તો લારીવાલા તેમજ બીજી દુકાનવાળા પણ જમાઅતનો લાભ લે. માટે અહિં જમાઅત કરીએ છીએ. આ તો એક નફસને સમજાવવાની શયતાની ચાલ છે, જમાઅત કરવાનો ઈન્કાર નથી. પરંતુ બન્ને મસ્જિદો નજીકમાં જ છે, તેના જમાઅતના ટાઈમ અલગ અલગ છે, તો ઘરાક ન હોય, ફુઝૂલ વાતોમાં વખત વિતાવતા હોય, તેવા ટાઈમે તો દુકાનના એકાદ – બે માણસોએ મસ્જિદમાં જમાઅત સાથે નમાઝ પઢવાની ફિકર કરવી એવું મારું માનવું છે. મસ્જિદમાં જમાઅત સાથે નમાઝ પઢવાની અહમિયત એટલી બધી દિલમાંથી નિકળી ગઈ છે કે મસ્જિદના દરવાજા આગળ આવા સમજદાર માણસ મળે, જમાઅતની તૈયારી હોય, ફકત પાંચ મિનિટ જમાઅત ઉભી થવાને બાકી હોય છતાં તે સાહેબ તરફથી જવાબ મળે કે શોપિંગ સેન્ટરમાં જમાઅત કરી લઈશું, ત્યાં નમાઝ પઢી લઈશું, એવું પણ નથી કે તેમના સિવાય ત્યાં જમાઅત કરનાર યા નમાઝ પઢાવનાર બીજું કોઈ નથી, અલ્લાહના ફઝલથી તેમના સિવાય નમાઝ પઢાવી શકે એવા બીજા ઘણાં છે, બીજું શોપિંગ સેન્ટરની બહાર ચાર–પાંચ નવજુવાન હંસી મઝાક કરતાં હોય, ફુઝૂલ વાતો કરતા હોય, આપણે ત્યાંથી પસાર થતાં તેમને કહીએ કે ભાઈ ચાલો ફુઝૂલ વાતો કરો છો, ઘરાક પણ નથી, ચાલો મસ્જિદમાં જમાઅત મળી જશે, તો તેમના તરફથી જવાબ મળે છે તમો જાવ અમો અહિં જમાઅત કરી લઈશું, તેમાં હાફિઝ પણ શામિલ હોય.

(૧) શું આવું બનતું હોય તો શોપિંગ સેન્ટરના ઈબાદતખાનામાં જમાઅતથી નમાઝ પઢવી કેવી છે, તે નમાઝ અદા થશે કે નહિ? તેનો સવાબ મળશે કે નહિ?

(ર) શોપિંગ સેન્ટર ના જમાઅતખાનામાં કોઈ પણ નમાઝનો ટાઈમ મુકર્રર નથી. દા.ત. ઝોહર ની નમાઝ ૧–૩૦ થાય, ર–૦૦ વાગે થાય, જયારે ટાઈમ મળે ત્યારે જમાઅત થાય.

(૩) એક નમાઝની જમાઅત થઈ, સલામ ફેરવી અને તરત જ પાછળને પાછળ બીજી જમાઅત થાય.

(૪) દુકાનમાં પૂરતા માણસો હોય ઘરાક પણ ન હોય છતાં બન્ને મસ્જિદમાંથી એક પણ મસ્જિદમાં જમાઅતથી નમાઝ પઢવા માટે કોઈ એકને પણ મોકલવાની કોશિષ કરવામાં આવતી ન હોય તો શોપિંગ સેન્ટરમાં જમાઅત કરી નમાઝ પઢવાથી નમાઝ અદા થઈ જશે કે નહિ.

(પ) આ બન્ને મસ્જિદોમાં જમાઅતના ટાઈમમાં જમાઅત સાથે નમાઝ પઢવા જવાની કોશિષ કર્યા પછી બાકી રહે તેમણે શોપિંગ સેન્ટરમાં જમાઅત કરવી જોઈએ કે પછી મસ્જિદમાં જવાની તસ્દી ન લેતાં અહિંજ નમાઝ પઢી લે તો એ માટે શું હુકમ છે?

(૬) બન્ને મસ્જિદના જમાઅતના ટાઈમ વીતી ગયા બાદનો ટાઈમ અહિં માટે રાખવો જોઈએ? દરેક નમાઝનો ટાઈમ મુકર્રર હોવો જોઈએ કે નહિ?

જવાબ :– તંદુરસ્ત વેપારી માણસ માટે જો એકલો હોય તો પોતાની દુકાન બંધ કરી અથવા બીજો માણસ મસ્જિદમાં નમાઝ પઢવા જઈ શકે એમ હોય તો વારા ફરતી દુકાન ખુલ્લી રાખીને મસ્જિદની જમાઅત સાથે નમાઝ પઢવા જવું જરૂરી છે. શરીઅતે માન્ય રાખેલા કારણો વગર મસ્જિદની જમાઅત છોડી દુકાનમાં જમાઅત કરવાથી જમાઅતનો સવાબ નહિં મળે બલકે આ પ્રમાણે શરીઅત માન્ય કારણ વગર દુકાનમાં જમાઅત કરવી બિદઅત અને મકરૂહે તહરીમી છે, વળી આવી આદત બનાવી લેવી તો સખત મકરૂહ છે.  (અહ.ફતાવા –૩, શામી –૧/ર૬પ)

                મુસ્લિમ શરીફમાં હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.) નો ઈરશાદ નકલ છે કે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું કે મને વિચાર થયો કે હું મારા નવજવાનોને લાકડાંનો ભારો ભેગો કરવાનો હુકમ આપું અને પછી તે લોકો પાસે જાઉં જે પોતાના ઘરોમાં નમાઝ પઢે છે, હાલાં કે તેઓને કોઈ ઉઝર (અવરોધ) નથી અને તેઓના ઘરો સળગાવી દઉ.

                મુસ્લિમ શરીફમાં જ હઝરત ઈબ્ને મસઉદ (રદિ.)થી મનકૂલ છે કે મેં અમારી હાલત જોઈ કે જાહેર નિફાકવાળા મુનાફિક સિવાય અને બીમાર સિવાય કોઈ બીજું જમાઅતની નમાઝ છોડતું નથી અને બીમાર પણ બે માણસોના સહારે ચાલીને જમાઅતની નમાઝમાં પહોંચે છે અને ફરમાવ્યું કે અમોને હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.)એ સુનનુલ્‌ હુદા શીખવાડી છે અને સુનનુલ્‌ હુદા પૈકી એક સુન્નત આ છે કે તે મસ્જિદમાં નમાઝ પઢવી જયાં અઝાન આપવામાં આવતી હોય.

                બીજી એક હદીષ શરીફમાં છે કે જેને એ વાત પસંદ હોય કે કાલે મુસ્લિમ હોવાની હાલતમાં અલ્લાહ તઆલાથી મળે તો આ નમાઝોને તે જગ્યાએ પઢવાની પાબંદી કરે જયાં તેના માટે અઝાન આપવામાં આવે છે, અલ્લાહ તઆલાએ તમારા નબી (સલ.) માટે સુનનુલ્‌ હુદા નકકી ફરમાવી છે અને મજકૂર નમાઝો સુનને હુદામાંથી છે અને જો તમો જમાઅત છોડીને પોતાના ઘરમાં બેસી રહેનારની જેમ ઘરોમાં નમાઝ પઢશો તો તમો તમારા નબી (સલ.)ની સુન્નતનો ત્યાગ કરશો અને જો તમો તમારા નબી (સલ.)ની સુન્નતનો ત્યાગ કરશો તો તમો ગુમરાહ થઈ જશો.                                  (શર્હે મુન્યહ કબીર – પ૦૮)

                હઝરત ઈબ્ને ઉમ્મે મકતૂમ (રદિ.) એ પોતાની નેત્રહીનતા (અંધાપા) અને મસ્જિદથી ઘર દૂર હોવાના કારણે ઘર ઉપર નમાઝ પઢવાની ઈજાઝત માંગી તો આપે મસ્જિદની અઝાન સાંભળવાની પૂછપરછ કરી ફરમાવ્યું કે

હું તમારા માટે ઘર પર નમાઝ પઢવાની (એવી) છૂટ નથી સમજતો કે મસ્જિદની જમાઅતમાં હાજર થયા વિના તમોને જમાઅતનો સવાબ મળે.                               (ફતહુલ કદીર ભાગ – ૧ / ૩૦૦)

                હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.) અને ખુલફાએ રાશિદીન (રદિ.) અને તે પછીના યુગમાં પણ એ વાતનું કોઈ ઉદાહરણ નથી મળતું કે ઉઝર વગર મસ્જિદની જમાઅત છોડીને મસ્જિદ સિવાય બીજી કોઈ જગ્યાએ જમાઅત કરવામાં આવી હોય, અને તેને કાયમ માટેની આદત બનાવી લેવામાં આવી હોય.                        (અહ.ફતાવા ભાગ–૩/ર૭ર)

                ફુકહાએ કિરામ લખે છે કે ઉઝર (અવરોધ) વગર અમૂક લોકોને ભેગા કરીને મસ્જિદની નિયમિત જમાઅત છોડીને જમાઅતથી નમાઝ પઢવામાં આવશે તો જમાઅતનો સવાબ નહિં મળે.    (અશ્બાહ : ૧૬૯)

                ઉપરની વિગતથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે વગર કારણે મસ્જિદની જમાઅત છોડીને શોપિંગ સેન્ટરમાં કોઈ એક દુકાનમાં જમાઅતથી નમાઝ દૈનિક અને કાયમી વ્યવસ્થા કરવી અને જમાઅત કરવી એ હદીષ શરીફ અને ફિકહના મસાઈલના વિરૂધ્ધ છે અને મોટા મોટા ફકીહોએ હદીષ અને ફિકહની રોશનીમાં આવી જમાઅતને બિદઅત, મકરૂહે તહરીમી અને સવાબથી ખાલી બતાવી છે. અલબત્ત, જો શોપિંગ સેન્ટરમાં એ હેતુથી કોઈ દુકાનમાં વ્યવસ્થા કરવામાં આવે કે લોકો સુન્નતો અને નફલો પઢે, ફુરસદના સમયે કુરઆન શરીફની તિલાવત કરે અને ફઝાઈલની તાલીમ કરે, મુસાફરીમાં જવા આવવાથી મસ્જિદની જમાઅત છુટી જાય અને આવા કારણસર કોઈક વાર મસ્જિદની જમાઅત છુટી ગયા પછી ત્યાં અમુક સાથીઓના ભેગા થવાથી જોગાનુજોગ જમાઅત  કરી લેવામાં આવે તો વાંધો નથી.       (શામી ભાગ –૧)

Log in or Register to save this content for later.