Chapter : નમાઝ
(Page : 113-114-115)
સવાલ :– મારો પરસેવો દુર્ગર્ંધીત છે. સફમાં સાથે નમાઝ પઢનારને તકલીફ થાય છે. આના ઉપાય તરીકે હું કોશીશ કરું છું કે જમાઅતમાં સાવ છેલ્લે, છેલ્લા કાયદામાં જાવું, છતાં લોકોને તકલીફ તો થાય છે. એ અલગ વાત છે કે કોઈ બોલતું નથી.
રમઝાનમાં ઈશાની નમાઝ તથા તરાવીહ અને વિત્ર બધું જમાઅત સાથે અદા કરવું હોય તો લોકોને તકલીફ આપવી જ પડે અથવા બધું ઘરે અદા કરો. શું કરું , શું ન કરું, કશું નકકી નથી કરી શકતો.
બેઠા – બેઠા નમાઝ પઢી શકાય? મારી ઉંમર ૪૮ વર્ષ છે. દાઢીના વાળ પણ ઘણા –ખરા સફેદ થઈ ગયા છે.
જવાબઃ– કુર્આન મજીદ અને હદીષ શરીફથી આ હુકમ સાબિત છે કે મસ્જિદમાં સાફ, સ્વચ્છ, સારા અને પાક કપડાં પહેરીને અને પોતાનું શરીર નાપાકી, ગંદકી, દુર્ગંધથી પાક – સાફ કરીને આવવું જોઈએ, માટે જો તમે દરરોજ ઈશાથી પહેલાં ગુસલ કરીને, કપડાં બદલીને અને અત્તર લગાડીને ઈશા અને તરાવીહની નમાઝ માટે મસ્જિદમાં જઈ શકતા હોય અને આ રીતે મસ્જિદના નમાઝીઓને પોતાના પરસેવાની બદબૂથી બચાવી શકતા હોય, તો આ રીતે બદબૂ દૂર કરવાનો ઉપાય કરી તમારા માટે મસ્જિદમાં જવું કરાહત વગર જાઈઝ છે. અને જો આ રીતે નમાઝીઓને પોતાના શરીર અને કપડાંની બદબૂથી ન બચાવી શકતા હોય તો તમારે ઈશા અને તરાવીહ વગેરે નમાઝો ઘર ઉપર પઢવી જોઈએ, કારણ કે હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.)એ બદબૂદાર વસ્તુ ખાયને મોઢાની બદબૂ સાથે મસ્જિદમાં આવવાની મનાઈ ફરમાવી છે. અને ફુકહાએ કિરામ (રહ.)એ દરેક પ્રકારની બદબૂનો એ જ હુકમ બતાવ્યો છે, કારણ કે દરેક પ્રકારની બદબૂથી મુસ્લિમ નમાઝીઓ અને ફરિશ્તાઓને તકલીફ થાય જ છે અને આવી હાલતમાં તમે મઅઝૂર ગણાશો અને ઉઝરના કારણે મસ્જિદની જમાઅત છોડવાનો ગુનાહ તમોને લાગુ નહિ પડે. (શામીઃ ભા.ર/૪૩પ–ઝક.)
ફર્ઝ – વાજિબ અને ફજરની સુન્નત નમાઝ ઉભા રહીને પઢવી ઝરૂરી છે, અલબત્ત, તરાવીહ અને બીજી સુન્નત નમાઝો ઉભા રહીને પઢવાની શકિત હોવા છતાં રુકૂઅ સજદહ સાથે જમીન પર બેસીને પઢવી જાઈઝ છે. ઈશારાથી સજદહ કરવો જાઈઝ નથી.
(શામીઃ ભા.ર/૪પ૪,૪૮૩–ઝક.)
Log in or Register to save this content for later.