[૬૬] પગે મઅ્‌ઝૂર માણસની તરાવીહ વગેરેમાં ઈમામત

Chapter : નમાઝ

(Page : 112-113)

સવાલ :– અમારું ઈબાદતખાનું અંજુમને નુરૂલ હુદા નામે નાની દમણ ખાતે આવેલ છે. જેમાં પાંચેવ વખત જમાઅતની સાથે નમાઝ થાય છે અને સાથે મકતબ પણ ચાલે છે.

               એક વર્ષ થયું અમોએ એક ઈમામ સાહેબ રાખેલ છે જે મૌલ્વી તેમજ હાફિઝે કુર્આન છે. ઉપરોકત ઈમામ એક પગે મઅ્‌ઝૂર છે. (ડાબા પગમાં પોલીયાની અસર છે) જેથી ડાબો પગ આખો જમીન ઉપર મૂકી ન શકવાથી ફજરની નમાઝ પણ મુખ્તસર રીતે પઢાવે છે, જેનાથી નમાઝીઓને કોઈ એઅતેરાઝ નથી, કેમકે ઈમામ સાહેબનું કુર્આન શરીફ  પઢવાનું સહીહ અને સંતોષકારક છે.

               ઉપરોકત ઈમામ સાહેબ (જે એક પગ ઉપર વજન આવી જવાથી) રમઝાન મહિનામાં તરાવીહ ઊભા રહી પઢાવી ન શકતા હોય, બેસીને તરાવીહ પઢાવવા તૈયાર છે, સાથે બે હાફિઝ પણ છે જે એક હાફિઝ આઠ રકઆત અને બીજા ચાર રકઆત ઊભા રહીને તરાવીહ પઢાવે છે, તો ઉપરોકત મઅ્‌ઝૂર ઈમામ સાહેબ આઠ યા બાર રકઆત તરાવીહ બેસીને પઢાવી શકે અને નમાઝીઓ પાછળ ઊભા રહીને તરાવીહ પઢી શકે કે નહિ ?

               ઉપરોકત મઅ્‌ઝૂર ઈમામ સાહેબ આગળ પાલનપૂરમાં ઈમામત કરતા હતા અને ત્યાં બે વર્ષ સુધી તરાવીહ બેસીને પઢાવી હતી અને પાછળ આશરે ત્રણસોથી ચારસો નમાઝીઓ ઊભા રહીને તરાવીહ પઢતા હતા.

જવાબ :– મઝકૂર ઈમામ સાહેબ જે બેસીને સજદહ કરી શકતા હોય તેમની પાછળ ઉભા રહેનાર નમાઝીઓની નમાઝ અને તેમની ઈમામત જાઈઝ અને દુરૂસ્ત છે, પરંતુ જો સહીહ રીતે કુર્આન પઢનાર, ઊભા રહીને નમાઝ પઢાવનાર હાફિઝ સાહેબ  હોય તો તેમની પાછળ તરાવીહ વગેરેની નમાઝ પઢવી બેહતર છે.(શામી–૧ / ૩૭૮/૩૯૬)

Log in or Register to save this content for later.