Chapter : નિકાહ
(Page : 142-143)
સવાલઃ– હું સાદિકા મારા ખૂદના પોતાના માટે આપથી એક ખુલાસો ચાહું છું, મારો મસ્અલો ”નિકાહ”ના બારામાં છે, હું જે શખ્સ સાથે નિકાહ કરવા ચાહું છું તે જનાબ સાહિબ એ તરીકાથી નિકાહ કરવા કહે છે કે નિકાહ જાહેર કરવા નથી, તે સબબે નિકાહ પઢાવનાર શખ્સ નહીં હોય, પણ મારા ભાઈ અને મારા મોટા બહેન ફકત આ બે વ્યકિત સમક્ષ અમો બન્ને એક બીજાને કુબૂલ કરીએ (જાત બક્ષીએ) તેમ કહે છે, હું એક મજબૂર ઓરત છું, આ જનાબ સાથે મને ર૦–રર વર્ષ થયા સંબંધ છે, મારા માટે મરી જવા સિવાય, ખૂદકશી કરવા સિવાય કોઈ રસ્તો હવે નથી, શું આ રીતે નિકાહ જાઈઝ છે કે કેમ? તેઓ કહે છે કે નિકાહ પઢાવનાર નહીં જોઈએ તે પોતે અને હું અમો બન્ને મારા ભાઈ અને મોટા બહેન એ બે સમક્ષ જાત બક્ષીએ. આ સૂરતમાં નિકાહ દુરસ્ત થશે?
જવાબઃ– પૂછેલી સૂરતમાં નિકાહના જાઈઝ થવા માટે અમુક વસ્તુઓ જરૂરી છે પ્રથમ એ કે નિકાહ કરનાર પુરુષ ઓરતને સંબોધીને કહે કે મેં તારાથી આટલી મહરના બદલામાં નિકાહ કર્યા અને તેના જવાબમાં ઓરત પુરુષને સંબોધીને કહે કે મેં આ નિકાહ કબૂલ કર્યા.
આ બન્નેના આ કોલકરાર વખતે કમથી કમ બે મુસલમાન મર્દ અથવા એક મુસલમાન મર્દ અને બે મુસલમાન ઓરતો એ રીતે મવજૂદ હોવી જરૂરી છે કે તે આ નિકાહ પઢનાર મર્દ – ઓરતના કોલ કરાર સાંભળે, આ ગવાહો ભાઈ અને બહેન પણ થઈ શકે છે, પણ એક ભાઈ સાથે બે ઓરતો જોઈએ એક ભાઈ અને બહેનની ગવાહી પૂરતી નથી, એટલી ગવાહીથી નિકાહ જાઈઝ નહીં થાય.
વળી, જો આ નિકાહથી ઓરતના પિતા અને દાદા હયાત ન હોય અને ભાઈ રાજી ન હોય તો નિકાહ પઢનાર પુરુષનું નવ મુસ્લિમ ન હોવું અને દીનદારી તથા આર્થિક ક્ષેત્રે અને ધંધાકીય રીતે મર્દ ઓરતનું સમકક્ષ હોવું જરૂરી છે. (શામી : ર)
Log in or Register to save this content for later.