[પ૪] તરાવીહની આઠ રકઆતનો સુબૂત નથી

Chapter : નમાઝ

(Page : 98-99-100-101)

સવાલ :– મંગણાદી ભાગોળ જંબુસરથી નિદાએ હક માસિક આવે છે, તેમાં ૧/૩/૯રના અંકમાં લગભગ ૧૦ પેજમાં બરાબર તફસીલ સાથે એ લોકોએ આઠ રકઆત તરાવીહ પર ખૂબ જોર લગાવ્યું છે, ચારેવ ઈમામો તથા હઝરતજી મવલાના યુસૂફ સાહેબના હવાલાથી એ સાબિત કર્યું છે કે વીસ રકઆત અદા કરનારાઓ ગલતી પર છે. એ લોકોનું કહેવું છે કે ર૦ (વીસ) રકઆતવાળી હદીષ ઝઈફ છે, એનું મહત્વ ખાસ નથી, માટે બુખારી શરીફની કવી હદીષોથી તેને સાબિત કરવું જરૂરી છે. આપણા આલિમોનું કહેવું છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એક – બે દિવસે ન આવ્યા. પછી હઝરત ઉમર (રદિ.)થી ર૦ રકઆત શરૂ થઈ. ખાસ વાત એ છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એક – બે દિવસ તરાવીહ માટે આવ્યા, તે દિવસોમા ર૦ રકઆત અદા કરી કે કેમ?  તેનો ખુલાસો આપણા આલિમો કેમ નથી આપતા? નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી ફકત બે દિવસ માટે પણ ર૦ રકઆત સાબિત નથી એમ મુખાલિફોનું કહેવું છે.

જવાબ :– તરાવીહના મસ્અલા ઉપર હનફી ઉલમાએ કિરામ તરફથી ફારસી, અરબી અને ઉર્દૂમાં અનેક પુસ્તિકાઓ છપાઈ ચૂકી છે. જેમાં દલીલોથી ર૦ રકઆત તરાવીહ સાબિત કરવામાં આવી છે, હઝરત ઉમર રદિ.ની ખિલાફતના સમયે તમામ સહાબાએ કિરામ (રદિ.)એ સર્વ સમંત થઈને ર૦ રકઆત તરાવીહ પઢી છે અને સહીહ હદીષમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે મારી અને હિદાયત પામેલ ખુલફાએ રાશિદીન (રદિ.)ની સુન્નતને લાઝિમ પકડો અને તેને મઝબૂતીથી થામી રાખો.   (અહમદ, અબૂ દાઉદ, તિર્મિઝી, ઈબ્નેમાજહ)

               ગેર મુકલ્લિદો બુખારી શરીફની કોઈ હદીષ સ્પષ્ટ આઠ રકઆત તરાવીહ માટે ન પેશ કરી શકયા છે અને ન તો પેશ કરી શકે છે. જે હદીષ તેઓ પેશ કરે છે તેમાં આઠ રકઆત રમઝાન અને ગેર રમઝાન બન્નેવમાં પઢવાનું વર્ણન છે જે તરાવીહનું વર્ણન નથી, તહજ્‌જુદનું બયાન છે અને જાહેર છે કે ગેર રમઝાનમાં ગેરમુકલ્લિદો પણ તરાવીહને નથી માનતા અને નથી પઢતા એટલા માટે જ ગેર મુકલ્લિદોના મોટા મોટા આલિમો તો આઠ રકઆતને પણ તરાવીહ માટે હદીષથી સાબિત નથી માનતા. ઈબ્ને તય્મિય્યહ (રહ.) લખે છે જે માણસ રમઝાનની રાત્રીમાં નમાઝ માટે રકઆતોની કોઈ નિશ્ચિત સંખ્યા હોવાનું અને તેનાથી વધતી ઓછી પઢવાને નાજાઇઝ માનતા હોય તો તે માણસ ભૂલ કરે છે.

               અલ્લામા સુબકી (રહ.) લખે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી રમઝાનની રાતોમાં નમાઝોની રકઆતોની કોઈ ખાસ ગણત્રી સાબિત નથી.   (શર્હે મિન્હાઝ)

               અલ્લામા શવકાની (રહ.) લખે છે કે તરાવીહ નામી નમાઝની રકઆતોની કોઈ નિશ્ચિત સંખ્યા સુન્નતથી સાબિત નથી. (નય્લુલ્‌ અવતાર–૧/૪૬)

               મવલાના વહીદુઝ્‌ઝમાં લખે છે કે રમઝાનની રાતોની નમાઝ એટલે તરાવીહની નમાઝોની કોઈ ખાસ સંખ્યા નકકી નથી.

(નુઝુલુલ્‌ અબરાર–૧/૧ર૬)

               મીર નુરૂલ હસનખાન સાહેબ લખે છે કે તાત્પર્ય એ કે (તરાવીહની રકઆતોની) કોઈ નિશ્ચિત સંખ્યા મરફૂઅ હદીષથી સાબિત નથી.         (અલ્‌–ઉર્ફૂલ્‌ જાદી–૮૪)

               નવાબ સિદ્દીક હસનખાન લખે છે કે સહીહ મરફૂઅ્‌ હદીષોમાં (તરાવીહની રકઆતોની) કોઈ નિશ્ચિત સંખ્યા આવેલી નથી, પરંતુ આ હદીષ કે ”હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) રમઝાન (ની ઈબાદતોમાં) એવી મહેનત કરતા હતા જેટલી ગેર રમઝાનમાં ન કરતા હતા. (મુસ્લિમ શરીફ) આનાથી માલૂમ પડે છે કે તરાવીહની રકઆતો ઘણી હતી. (અલ ઈન્તિકાદ–૬૧) મીર નુરૂલ હસન (ગેર મુકલ્લિદ આલિમ) લખે છે કે તરાવીહની વીસ અથવા તેથી વધુ રકઆતોથી મનાઈ કરવી કોઈ વસ્તુ નથી.  (અલ્‌ ઉર્ફૂલ્‌ જાદી–૮૪)

               નવાબ સિદ્દીક હસન ખાન સાહબ (ગેર મુકલ્લિદોના આલિમ) લખે છે કે અગિયાર રકઆતથી વધારે તરાવીહ પઢનાર પણ સુન્નત ઉપર અમલ કરનાર છે.                (હિદાયતુસ્‌ સાઈલ – ૧૮૩)

               વિચારવાની વાત એ છે કે ગેર મુકલ્લિદોના મોટા મોટા આલિમોએ શું બુખારી શરીફ ન પઢી હતી? કે તેઓ તરાવીહની આઠ રકઆત સુન્નત હોવાનો ઈન્કાર કરે છે અને વીસ રકઆત તરાવીહ પઢનારને સુન્નત પર અમલ કરનાર કહે છે?

               ”ખૈરુલ મસાબીહ” નામની કિતાબમાં હઝરત મવલાના ખૈર મુહંમદ સાહબ (રહ.) લખે છે કે ”બે સૈકાઓ પૂર્વે પૂરા બારસો વરસ સુધી પૂર્વ–પશ્ચિમ અને ઉત્તર દક્ષિણની બધી જ મસ્જિદોમાં તરાવીહની વીસ અથવા વીસથી વધારે રકઆતો થતી હતી. હરમૈન શરીફૈનમાં અત્યાર સુધી વીસ અથવા વીસથી વધુ રકઆતો પઢતા આવ્યા છે. શું અહલે હદીષના સિવાય સમગ્ર ઉમ્મત ગુમરાહીમાં પડેલ છે અથવા વિના સબૂતે જ વીસ અથવા વીસથી વધુ રકઅતો પઢતા રહયા. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના સમયથી બારમા સૈકા સુધી કોઈ પણ મસ્જિદમાં જો આઠ રકઆત તરાવીહની નમાઝ પઢવામાં આવી હોય તો એ વાતનો પુરાવો રજૂ કરવામાં આવે.  (અહસનુલ ફતાવા – ૩)

Log in or Register to save this content for later.