Chapter : નમાઝ
(Page : 407)
સવાલ :– અમારા ગામમાં અમુક માણસોની જમાઅત છૂટી જાય છે ત્યારે જમાઅતની ફઝીલત નજર સમક્ષ રાખી ઘણી વખત બીજી જમાઅત કરે છે, ઘર આંગણે હોવા છતાં બીજી જમાઅત કરે છે તો બીજી જમાઅતના વિશે વિગતવાર વર્ણન કરશો ?
જવાબ :– વસતીની મસ્જિદમાં સમયસર થતી જમાઅતને શરઈ કારણ વગર છોડવી જોઈએ નહિં અને વારંવાર (વિના ઉઝરે) પહેલી જમાઅત છોડવાની આદત બનાવી લેવી સખત ગુનાહનું કામ છે. હુઝૂરે અકરમ (સલ.) અને ખુલફાએ રાશિદીન (રદિ.)ના સમયમાં મુનાફિક અને સખત બીમારીવાળા મુસલમાન સિવાય કોઈ નમાઝી વિના ઉઝરે મસ્જિદની પહેલી જમાઅત છોડતા ન હતા.
જો કોઈ વાર શરીઅત માન્ય કારણસર મસ્જિદની જમાઅત છૂટી જાય અને થોડા માણસો ભેગા થઈ જાય તો મસ્જિદે શરઈને છોડીને બીજી કોઈ જગ્યાએ કદી કદી જમાઅત કરવી જાઈઝ છે. જો આબાદીમાં એક જ મસ્જિદ હોય અથવા બીજી હોય, પરંતુ ત્યાં પણ જમાઅત થઈ ચૂકી હોય તો બેહતર એ છે કે પોતાના ઘરે પાછા ફરી પોતાના ઘરના માણસોને ભેગા કરી જમાઅતથી નમાઝ પઢે અથવા તો પછી એકલી જાતે જમાઅત વગર મસ્જિદમાં પઢે.
હઝ. રસૂલુલ્લાહ (સલ.)થી એક વાર મસ્જિદની જમાઅત કારણસર છૂટી ગઈ તો ઘરમાં જઈ જમાઅત ફરમાવી હતી અને સહાબાએ કિરામ (રદિ.)થી જમાઅત છૂટી જાય તો પોતપોતાની નમાઝ એકલા અલગ પઢી લેતા હતા.
બાકી શરઈ ઉઝર વિના ફક્ત પોતાના કારોબારને લઈ મસ્જિદની જમાઅત છોડી દઈ બીજી જમાઅત કરવી અને તેની આદત બનાવી લેવી મકરૂહે તહરીમી અને બિદઅત છે અને જમાઅતના હેતુ, હિકમતો વિરૂધ્ધ છે અને મસ્જિદની પહેલી જમાઅતની મહત્ત્વતા લોકોના દિલોમાંથી ઘટાડવી છે અને મસ્જિદની જમાઅતને નાની કરવાનો સબબ છે. (શામી : ૧/ર૬પ–૩૭૧)
Log in or Register to save this content for later.