[૮૩] નિકાહમાં વકીલથી ઓરતના નામમાં ભૂલ થઈ જાય

Chapter : નિકાહ

(Page : 121-122-123)

સવાલઃ– જુમ્અહના દિવસે નાચીઝે નિકાહ પઢાવ્યા, રજીસ્ટર્ડમાં છોકરીનું નામ ઝુબેદા લખવામાં આવ્યું, બીજા દિવસે વકીલ સાહેબ આવ્યા અને કહેવા લાગ્યા કે રજીસ્ટર્ડમાં ઝુબેદાના બદલે ઝુલેખાં નામ લખી આપો, ઝુબેદા તો બીજી છોકરીનું નામ છે, તો ઉપરોકત સૂરતમાં ઝુલેખાંના બદલે ઝુબેદાના નામથી નિકાહ પઢાવવામાં આવ્યા, તે નિકાહ સહીહ થશે કે કેમ ? અગર નિકાહ પઢાવવાની જરૂરત પડે તો ફરી રજા લેવી પડશે ?

જવાબઃ– ઝુબેદાના નામથી નિકાહ પઢાવ્યા તો ઝુલેખાના નિકાહ સહીહ અને મુઅતબર નહિ ગણાય, બલ્કે જો આ નિકાહથી પહેલાં ઝુબેદાના નિકાહ કોઈ બીજા છોકરા સાથે પઢાવવામાં નહિ આવ્યા હોય અને વકીલે ઝુબેદા સામે જે છોકરા સાથે તેના નિકાહ કરવાના હતા તે છોકરાનું નામ લીધા વગર ઝુબેદાથી નિકાહની ઈજાઝત લીધી હતી તો ઝુબેદાનું નામ લઈ આ નિકાહ જે છોકરા સાથે પઢાવવામાં આવ્યા તે છોકરા સાથે જ ઝુબેદાના નિકાહ દુરસ્ત થઈ જશે, માટે જો ઝુબેદાના નિકાહ બીજા કોઈ છોકરા સાથે પઢાવવાના હોય તો પહેલા નિકાહ વાળા છોકરાએ ઝુબેદાને તલાક આપેલી હોવી જરૂરી છે, જયાં સુધી તે તલાક નહીં આપે ઝુબેદાના બીજા નિકાહ દુરસ્ત નહીં થાય અને તલાક આપ્યા પછી તે અડધી મહરની હકદાર પણ બનશે અને મજકૂર છોકરાના નિકાહ ઝુલેખાં સાથે દુરસ્ત થવા માટે ફરીવાર ઝુલેખાનું નામ લઈ નિકાહ પઢાવવા જરૂરી છે. અને ઝુલેખાથી વકીલે ઈજાઝત લઈ લીધી હતી અને તે જ વકીલ બીજા નિકાહમાં હાજર રહયા અને પોતે ઝુલેખાના વકીલ તરીકે નિકાહના કોલ કરાર કર્યા તો હવે ઝુલેખાથી ફરીવાર ઈજાઝત લેવાની જરૂરત નથી પહેલી ઈજાઝત પુરતી છે.      (શામી. ર/ર૭પ)

તા.ક.– જો ઝુલેખાં ઝુબેદાની સગી બહેન છે અને ઉપરોકત વિગત મુજબ ઝુબેદાના નિકાહ તે છોકરા સાથે દુરસ્ત થઈ ચુકયા છે કે જે છોકરા સાથે ઝુલેખાના નિકાહ પઢાવવાના હતા, તો જયાં સુધી તે છોકરો ઝુબેદાને તલાક આપી પોતાના નિકાહથી અગલ ન કરે ત્યાં સુધી તેની સાથે ઝુલેખાંના નિકાહ પઢાવવા દુરસ્ત નથી.     (શામી – ર)

Log in or Register to save this content for later.