[૮૧] નિકાહ કરેલ ઓરત જો ઈન્ડિયામાં ઈસ્લામ કબૂલ કરે તો તફરીકનો તરીકો

Chapter : નિકાહ

(Page : 117-118)

સવાલ :– એક મુસ્લિમ પુરુષ અને ગેર મુસ્લિમહ સ્ત્રીને આડ સંબંધ થઈ ગયો અને બન્‍નેવ ભાગી ગયા, મુદ્દતે બન્‍નેવ આવ્યા તો સ્ત્રીને એના ગેર મુસ્લિમ ધણીએ અપનાવી નહીં, એટલે બન્‍નેવ ભાગેડું સાથે રહેવા લાગ્યા અને ગેર મુસ્લિમહને કલિમો પઢાવી મુસલમાન બનાવી, ત્યાર પછી ત્રણ ચાર મહીને ઈસ્લામ સ્વીકારનું ૧૭/૧ર/૯૭ ના એફિકેવીટ થયું, હવે આ બન્‍નેવ શરીઅત પ્રમાણે નિકાહ પઢવા માંગે છે તો એ લોકો નિકાહ પઢી શકે છે કે નહિ ? નવમુસ્લિમહનો ધણી હયાત છે હવે એને ઈદ્દત ગુજારવી પડશે કે નહિ ? ઈદ્દત કેટલી ગુજારવી પડશે ? અને ઈદ્દત કયારથી ગણાશે એ મુસલમાન થઈ ત્યારથી કે પછી એફીડેવીટ કરાવ્યું ત્યારથી ? કે પછી કોઈ ત્રીજી સૂરત છે ? ખુલાસાવાર જવાબ આપશોજી.

જવાબઃ– નવ મુસ્લિમહ ઓરતે ભારત જેવા દેશમાં પોતાના ગેર મુસ્લિમ પતિના નિકાહમાંથી છુટા થવા માટે મુસલમાન થઈ તે દિવસથી ત્રણ હૈઝ આવતા સુધી પતિના મુસલમાન થવાની રાહ જોવી પડશે, ત્રણ હૈઝ પૂરા થયા પછી તે ગેર મુસ્લિમ પતિના નિકાહમાંથી અલગ થઈ જશે, હવે કોઈ મુસલમાન સાથે નિકાહ કરવા માટે ઈમામે આઝમ (રહ.) ના મંતવ્ય મુજબ તેણે ઈદ્દત ગુજારવી જરૂરી નથી અને ઈમામ સાહિબૈન (રહ.)ના મંતવ્ય મુજબ ઈસ્લામ સ્વીકારીને ત્રણ હૈઝ વીત્યા પછી અને ગેર મુસ્લિમ પતિના નિકાહમાંથી અલગ થયા પછી નવેસરથી તલાકની ઈદ્દત ગુજારવી પડશે, ઈદ્દત પહેલાં તે કોઈ મુસલમાનથી નિકાહ કરી શકતી નથી અને ઈમામ આઝમ (રહ.)ના મંતવ્ય મુજબ ત્રણ હૈઝ પછી ઈદ્દત ગુજાર્યા વગર કોઈ મુસલમાનથી નિકાહ કરવા જાઈઝ છે.                      (શામીઃ ર/૩૯૦,૩૯૧)

                ઈસ્લામ સ્વીકારવાથી તે મુસલમાન ગણાશે અને ત્યારથી જ તફરીકના ત્રણ હૈઝ શરૂ ગણાશે, એફિડેવીટ પછી નહિ ગણાય અને સાહિબૈન (રહ.)ના મંતવ્ય મુજબ ઈદ્દત ગુજારવી હોય તો ત્રણ હૈઝથી ઈદ્દત ગુજારવી પડશે.

Log in or Register to save this content for later.