[પ૦] કુર્આન શરીફમાં જોઈને તરાવીહ પઢાવવી

Chapter : નમાઝ

(Page : 94-95)

સવાલ : અરબસ્તાનમાં રમઝાનુલ મુબારકમાં ઈમામ સાહેબ કુર્આન શરીફમાં જોઈને તરાવીહની નમાઝ પઢાવે છે, તો આ રીતે કુર્આન શરીફમાં જોઈને તરાવીહ પઢાવવી કયા મસલકમાં જાઈઝ છે? અને આ પ્રમાણે તરાવીહ પઢાવનાર ઈમામ પાછળ હનફી નમાઝીની તરાવીહ સહીહ થશે કે નહિ ?

જવાબ : તરાવીહની નમાઝ કે અન્ય કોઈ નમાઝમાં કુર્આન શરીફમાં જોઈને કિરાઅત કરવી ઈમામ શાફઈ (રહ.)ના મંતવ્ય મુજબ વિના કરાહતે જાઈઝ છે, પરંતુ હનફી મસ્લક મુજબ ગેરહાફિઝ ઈમામે કુર્આન શરીફમાં જોઈને કિરાઅત પઢવાથી નમાઝ ફાસિદ થઈ જાય છે અને જો ઈમામ હાફિઝે કુર્આન હોય અને જે રુકૂઅ અને આયતો પઢતા હોય તે એવી પુખ્ત યાદ હોય કે કુર્આન શરીફમાં જોયા વગર પણ ભૂલ કર્યા વગર પઢી શકતા હોય અને તેઓ નમાઝમાં કુર્આન શરીફ હાથમાં ઉઠાવ્યા વગર અને સામે મૂકેલા કુર્આન શરીફના પાના ઉલ્ટાવ્યા વગર કુર્આનમાં જોઈને કિરાઅત પઢે તો હનફી મસ્લક મુજબ પણ નમાઝ ફાસિદ તો નહિ થાય, પરંતુ મકરૂહ થશે અને આવા પાકા હાફિઝને કુર્આન શરીફમાં જોઈને તરાવીહ પઢાવવાની અને નમાઝ મકરૂહ કરવાની જરૂરત નથી.

               હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ), ખુલફાએ રાશિદીન (રદિ.) અને અઈમ્મએ મુજતહિદીન (રહ.)નો તરીકો કુર્આન શરીફમાં જોયા વગર નમાઝમાં મોઢે કિરાઅત કરવાનો હતો. માટે વિના કારણે સુન્નત તરીકા મુજબ કિરાઅત ન છોડવી જોઈએ અને નમાઝ મકરૂહ ન કરવી જોઈએ.

               અલબત્ત, જો હાફિઝ ઈમામને કુર્આન શરીફ પુખ્ત યાદ હોય અને નમાઝમાં કુર્આન હાથમાં ઉઠાવીને તેમાં જોવે અથવા પાનાઓ ઉલટાવે અથવા તેને એવું પુખ્ત યાદ ન હોય કે કુર્આન શરીફમાં જોયા વગર મોઢે પઢી શકે તો આ સૂરતોમાં કુર્આનમાં જોઈને કિરાઅત કરવાથી નમાઝ ફાસિદ થઈ જશે અને આવા ઈમામ પાછળ હનફી મુકતદીએ તરાવીહ કે અન્ય નમાઝ પઢવી જાઈઝ નથી, જો પઢશે તો તેની નમાઝ ફાસિદ ગણાશે.           (‘શામી ૧/૪૧૯)

Log in or Register to save this content for later.