Chapter : નિકાહ
(Page : 114-115)
સવાલ :– અહીં રહેતા એક છોકરાની શાદી કેનેડામાં રહેતી છોકરી સાથે માર્ચ ૧૯૯૬માં થઈ છે, છોકરીએ કેનેડાથી લેટર મોકલતા અહીં રહેતા એમના સગા કાકાએ નિકાહમાં હાજરી આપી, છોકરીની ઓથોરીટીની રૂએ છોકરી વતી ત્યાં સાક્ષી તરીકે નિકાહનામા પર બે અલગ અલગ સહી કરી છે, ત્યાર બાદ દુલ્હને ત્યાંથી સરકારમાં સ્પોન્સરનું ફોર્મ ભરી દુલ્હાને કેનેડા બોલાવવાનું કામ ચાલુ કર્યું, અહીં છોકરાનું મેડીકલ તથા ઈન્ટરવ્યુ થઈ ગયું, ત્યાર પછી કોઈ અગમ્ય કારણો સર છોકરીનો વિચાર બદલાતા એણે ત્યાંથી સરકારમાં સ્પોન્સરની અરજી વીથડ્રો કરી, જેથી દિલ્હીની કેનેડીયન એમ્બેસીએ જણાવ્યું કે છોકરીએ સ્પોન્સર વીથડ્રો કર્યા હોવાથી કેનેડાના પરમેનેન્ટ વીઝા મળી શકે નહિ. આ સૂરતમાં (૧)છોકરો તથા તેના વાલી કહે છે કે છોકરી ન બોલાવે તો વાંધો નહીં, પણ છોકરો છોકરીને ઈન્ડીઆ બોલાવી સંસાર વસાવવા તૈયાર છે. (ર) છોકરી તથા એમના વલી કહે છે કે છોકરીની મરજી ન હોવાથી ઈન્ડીઆ આવી સંસાર કરવા તૈયાર નથી, તેમજ એમના મત મુજબ છોકરા – છોકરીનું મિલન થયું ન હોવાથી અગર છોકરો તલાક ન આપે તો પણ છોકરીની બીજી શાદી બીજી જગ્યાએ થઈ શકે છે. એ બાબત શરીઅત અનુસાર છોકરો તલાક ન આપે તો પણ છોકરીની બીજી શાદી કરી શકે કે કેમ? જવાબ આપશોજી.
જવાબ :– જયારે છોકરીએ પોતાના કાકાને નિકાહ પઢાવવાની ઓથોરીટી લખી આપી, તેઓને વકીલ બનાવી આપ્યા અને કાકાએ છોકરીની રાજીખૂશીથી આપેલી સત્તા મુજબ નિકાહ પઢાવી આપ્યા તો છોકરી મજકૂર છોકરાના નિકાહમાં દાખલ થઈ ગઈ અને તેની પત્નિ બની ગઈ, હવે ચાહે તો પોતાના પતિને ત્યાં બોલાવવા પૂરી કોશિષ કરે, નહિ તો પતિના સ્થળે આવીને તેની સાથે રહે. એ વાત ગલત છે કે છોકરા છોકરીનું નિકાહ પછી મિલન થયું નથી એટલે છોકરી પોતાના પતિની તલાક વગર બીજી જગ્યાએ નિકાહ કરી શકે છે, શરીઅતમાં કુર્આન હદીષથી એવી કોઈ જોગવાઈ અને જવાઝ નથી. મજકૂર છોકરીએ પોતાના પતિના નિકાહમાંથી મુકિત મેળવવા તેની તલાક જરૂરી છે. જયાં સુધી પતિ તલાક ન આપે ત્યાં સુધી તે પતિના નિકાહમાંથી મુકત નહીં થાય અને બીજા નિકાહ કરવા જાઈઝ અને હલાલ નહિ ઠરે.જો પતિની તલાક વગર બીજી શાદી કરશે તો તે જાઈઝ અને હલાલ નહિ ગણાય અને એવી નાજાઈઝ શાદીથી તે બીજા પુરૂષની પત્ની નહીં બને, અલબત્ત જો છોકરીએ હાલના પતિના નિકાહમાં ન રહેવું હોય તો તેનાથી ખુલઅની માંગણી કરે, એટલે કોઈ રકમ આપી તેના નિકાહમાંથી ખુલઅનામી તલાક મેળવી મુકત થાય. પતિ– પત્ની અલગ અલગ દેશમાં રહેતા હોવાથી બન્નેમાં નિકાહ પછી એકાંતવાસો થયો નથી એટલે ખુલઅ કર્યા પછી તલાકની ઈદ્દત ગુજારવાની નથી. ખુલઅ પછી તુરત બીજા નિકાહ પઢી શકે છે. (શામી–ર)
Log in or Register to save this content for later.