[૪૭] શરૂની તરાવીહમાં ઉતાવળથી અને વધુ કુર્આન પઢવું

Chapter : નમાઝ

(Page : 89-90-91-92)

સવાલ :– રમઝાન મુબારકમાં તરાવીહની નમાઝ પઢવામાં આવે છે તેમાં શરૂઆતના આઠ દિવસ સુધી દરરોજ દોઢ પારો પઢવામાં આવે છે અને આ તરીકો વર્ષોથી પ્રચલિત છે. દોઢ પારો પઢવાના કારણે કુર્આન શરીફ તજવીદ સાથે પઢવામાં આવતું નથી, ઘણી મસ્જિદોની તરાવીહમાં કુર્આન એટલું ઉતાવળથી પઢવામાં આવે છે કે ઘણા અક્ષરો (હુરૂફ) ચોખ્ખા પઢાતા નથી, અમારી મસ્જિદમાં તરાવીહ પઢાવનાર હાફિઝોને અમોએ જણાવેલ કે દરરોજ ર૦ રકઆતોમાં ર૦ રુકૂઅ પઢવામાં આવે તો ર૭ મી તરાવીહના કુર્આન પાક ખત્મ થઈ શકે છે. હાફિઝ સાહેબોએ જણાવેલ કે વર્ષોથી ૮ તરાવીહ સુધી દોઢ પારો પઢવાની જે તરતીબ ચાલે છે તે તરતીબથી જ અમો પઢાવીશું. આ તરતીબ સિવાય અમોને ફાવતું નથી, મસ્જિદ કમીટી તરફથી શરૂ તરાવીહથી લઈ  ર૭ મી તરાવીહ સુધી દરરોજ એકસરખા પ્રમાણમાં કુર્આન પઢવા ઉપર દબાણ રહેતાં હાફિઝોએ તરાવીહ પઢાવવાનું છોડી દીધું, તો શું શરૂઆતમાં આઠ તરાવીહ સુધી દોઢ પારો પઢવો એ હદીસ શરીફથી સાબિત છે ? અગર સાબિત ન હોય તો આ રીતે વર્ષોથી પઢવામાં આવે છે તે તરતીબ બિદઅત ગણાશે ? તજવીદની રિઆયત વગર કુર્આન ઉતાવળથી પઢવું કેવું છે ?

જવાબ :– તરાવીહમાં એકવાર કુર્આન મજીદ પૂરું કરવું એ સુન્નત છે, પરંતુ પૂરા મહિનાની તરાવીહોમાં એકવાર કુર્આન મજીદ પૂરું કરવા માટે દરરોજની ર૦ રકઅત તરાવીહની દરેક રકઅત માટે ફુકહાએ કિરામ (રહ.)એ કોઈ ચોકકસ પ્રમાણને ઝરૂરી હોવાના દરજામાં બતાવ્યું નથી અને તરાવીહની દરેક રકઅતની કિરાઅતનું કોઈ ચોકકસ પ્રમાણ હદીસ શરીફથી સાબિત હોય એ વાત કોઈ કિતાબમાં નજરે પડી નથી.

               અલબત્ત શામીમાં ઈમામ અબૂ હનીફહ (રહ.)થી મનકૂલ છે કે,

દરેક રકઅતમાં લગભગ દસ આયતો પઢવામાં આવે.

               અલ્લામા ઝય્‌લઈ (રહ.) આ મંતવ્યને સહીહ બતાવી લખે છે કે,

આ પ્રમાણે પઢવાથી આસાની સાથે પૂરી તરાવીહમાં એકવાર કુર્આન શરીફ પૂરું થઈ જશે.

               અગર હાફિઝ સાહેબો કોઈ મસ્લિહતના કારણે પહેલી આઠ તરાવીહમાં દોઢ દોઢ પારો કિરાઅતના આદાબ અને ઉસૂલની પાબંદી સાથે પઢે તો કિરાઅતનું આ પ્રમાણ પણ જાઈઝ છે, તેને બિદઅત અને નાજાઈઝ નહિં કહેવાય અને મજકૂર પ્રમાણને સુન્નત પણ નહિં કહેવાય.

               તરાવીહ પઢાવનાર હાફિઝ સાહેબોએ એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે ફર્ઝ નમાઝોની જેમ તરાવીહની નમાઝમાં પણ અફઝલ એ જ છે કે દરેક રકઅતમાં એટલા પ્રમાણમાં કિરાઅત કરવામાં આવે કે લોકો માટે બોજરૂપ ન બને. કારણકે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે,

 ‘જ્યારે તમારામાંથી કોઈ લોકોને નમાઝ પઢાવે તો આસાન (હલકી) નમાઝ પઢાવે કારણકે નમાઝીઓમાં કમઝોર, બીમાર અને ઘરડા લોકો પણ હોય છે.       (હદીસ)

               એટલા જ માટે લાંબી કિરાઅત પઢીને જમાઅતની નમાઝ એટલી લાંબી કરવી કે જેથી મુકતદીઓને તકલીફ થાય એ મકરૂહે તહરીમી છે.

               એવી જ રીતે તરાવીહના ઈમામ સાહેબોએ એ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે શરૂની અમુક તરાવીહમાં વધુ કુર્આન પઢી લેવાના હેતુથી અથવા સામાન્ય રીતે દરેક તરાવીહને જલદી પૂરી  કરવાના હેતુથી એટલી તેજ ગતિએ અને ઉતાવળે કિરાઅત ન કરે કે, સાંભળનારા મુકતદીઓ કિરાઅતને સમજી પણ ન શકે કે ઈમામ સાહેબ શું પઢી રહ્યા છે. અને ઉતાવળના કારણે અમુક અક્ષરો અથવા શબ્દો છૂટી જાય અને મખરજ અને મદ પણ અદા ન થવા પામે, આટલા ઝડપથી કુર્આન શરીફ પઢવાને ‘હરામ લખવામાં આવ્યું છે.

               ‘દુર્રે મુખ્તારમાં છે કે, ફર્ઝ નમાઝોમાં એક એક અક્ષર (હર્ફ) છૂટો પાડીને કિરાઅત કરે અને તરાવીહમાં ઝડપી અને ધીમી ગતિની દરમિયાની ગતિથી કિરાઅત કરે અને રાતની નફલ નમાઝમાં કિરાઅત સમજી શકાય એટલે કે મદ્દોની કમથી કમ મિકદાર અદા કરીને પઢે. આ બધી વિગત શામીમાં મૌજૂદ છે. (‘શામી ૧/૩૬૩,૩૭૯,૪૭પ)

               હઝરત મૌલાના થાનવી (રહ.) રમઝાન મુબારકની ગલત વાતો વર્ણન કરતાં લખે છે કે,

“કુર્આન મજીદ જલદી પૂરું કરવાને અથવા વધુ પ્રમાણમાં કુર્આન મજીદના ખત્મો કરવાને ગર્વ સમજે છે અને આ હેતુને પ્રાપ્ત કરવા માટે ઘણું જ જલ્દી પઢે છે કે હુરૂફ પણ સાફ અદા નથી થતા, કુર્આન મજીદમાં તરતીલને ફર્ઝ ફરમાવ્યું છે. આ ફર્ઝનો ત્યાગ કરવો ગુનાહનું કામ છે, ખાસ કરી જયારે રિયાકારી અને ગર્વ માટે હોય તો ડબલ ગુનાહ છે. અમુક (ઈમામો) એટલું વધારે પઢે છે કે મુકતદીઓ ગભરાય જાય છે, હદીસ શરીફમાં ઈમામ માટે નમાઝને હલકી કરવાનો હુકમ આવ્યો છે. (આ પ્રમાણે વધુ પઢવામાં) આ હુકમનો ત્યાગ લાઝિમ આવે છે એ પણ બૂરી વાત છે. સારાંશ કે મુકતદીઓની સહનશકિતના પ્રમાણમાં કુર્આન પઢવું જોઈએ અને તે પણ સાફ સાફ (પઢવું જોઈએ) ચાહે અનેક ખત્મો ન થાય. (‘ઈસ્લાહુર્ર રુસૂમ ૧૪૭)

Log in or Register to save this content for later.