Chapter : નમાઝ
(Page : 87-88)
સવાલ :– અમારે ત્યાં એક હાફિઝ સાહેબ બહારથી તરાવીહ પઢાવવા માટે આવે છે. તે ઘણી જગ્યાએ કિરાઅતમાં ઝબર–ઝેરની ભૂલ કરે છે. અમુક શબ્દો ભૂલથી છોડી દે છે પાછળ નમાઝ પઢનાર બીજા હાફિઝ સાહેબ લુકમો આપે ત્યારે કહે છે કે ઈમામે ત્રણ આયતો પઢી લીધી હોય તો લુકમો ન દેવાય, તેમજ જો મોટી ભૂલ હોય તો જ લુકમો દેવાય, અમુક વખતે લુકમો લેતા પણ નથી, તો તરાવીહના ઈમામને લુકમો દેવો કેવો છે ? ગલત પઢવા દેવું કેવું છે અને તેથી નમાઝમાં કોઈ ઉણપ આવશે કે નહિ ?
જવાબ :– તરાવીહની નમાઝમાં ચાહે ઝબર–ઝેરની ભૂલ હોય અથવા કોઈ શબ્દ કે આયત છૂટી જવાની ભૂલ હોય દરેક સૂરતમાં લુકમો આપવો જાઈઝ છે અને નમાઝમાં કિરાઅત દુરૂસ્ત કરવા માટે ધીરજપૂર્વક લુકમો આપવો જ જોઈએ. ઝબર–ઝેરની ભૂલથી પણ અમુક વખતે અર્થમાં એવો તફાવત થઈ જાય છે કે તેનાથી નમાઝ ફાસિદ થઈ જાય છે, માટે ઝબર–ઝેરની ભૂલને નાની સમજવી અને નાની મોટી ભૂલમાં લુકમો આપવા ન આપવાનો તફાવત કરવો એ દુરૂસ્ત નથી અને ત્રણ આયતો પઢી લીધા પછી ઈમામ કિરાઅત ચાલુ રાખે અને તેમાં ભૂલ થતી હોય તો લુકમો ન દઈ શકાય એ વાત ગલત છે; બલકે જયાં સુધી ઈમામ કિરાઅત કરે અને ગમે તેટલી આયતો પઢી લીધી હોય તો પણ ઈમામની ભૂલ વખતે લુકમો આપવો જોઈએ અને તે લુકમો દુરૂસ્ત હોય તો ઈમામે તે લુકમા મુજબ કિરાઅત દુરૂસ્ત પઢી પણ લેવી જોઈએ, ગલત કિરાઅતને ગલત બાકી રાખવી જાઈઝ નથી.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના સમયમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઈમામતવાળી નમાઝમાં લુકમાની જરૂરત વખતે સહાબએ કિરામ (રદિ.) જો લુકમો ન આપતા તો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) લુકમો આપવા ફરમાવતા હતા. અલબત્ત, મુકતદીઓએ લુકમો આપવામાં ઉતાવળ ન કરવી જોઈએ; બલકે જયારે ગાલિબ ગુમાન થઈ જાય કે ઈમામ પોતે હવે ગલત કિરાઅતની ઈસ્લાહ નહિ કરે ત્યારે લુકમો આપે. (‘કબીરી, ‘શામી ૧)
Log in or Register to save this content for later.