Chapter : નિકાહ
(Page : 98-99)
સવાલ :– બાલિગ છોકરીના નિકાહ પઢાવવા માટે બાપે છોકરીની રજા લેવી જરૂરી છે કે નહિ? બાપ છોકરીની રજા વગર નિકાહ પઢાવી આપે તો દુરસ્ત ગણાશે કે નહિ? જયારે કે છોકરીને પહેલેથી ખબર છે કે મારા નિકાહ ફલાણા છોકરા સાથે થવાના છે.
જવાબ :– નિકાહ પૂર્ણ અને લાઝિમ થવા માટે બાપે પણ બાલિગ છોકરીની રજા લેવી જરૂરી છે. જો બાલિગ છોકરીના નિકાહ બાપે તેની રજા લીધા વગર પઢાવી આપ્યા તો તે નિકાહ લાઝિમ અને કામિલ નહિ ગણાય, બલ્કે છોકરીની મંજૂરી – નામંજૂરી ઉપર મવકૂફ રહેશે. છોકરી મંજૂર રાખે તો લાઝિમ અને કામિલ થઈ જશે અને તે નામંજૂર કરે તો રજા લીધા વગર કરેલા નિકાહ બાતિલ ગણાશે. ચાહે છોકરીને પહેલેથી એ વાતની જાણ હોય કે મારા નિકાહ ફલાણા છોકરા સાથે નકકી થયા છે. કારણ કે છોકરીની આવી જાણકારીને રજા ગણવામાં નહીં આવે.
બાપે રજા લીધા વગર નિકાહ પઢાવ્યા પછી બાપના સંદેશાથી અથવા કોઈ એક દીનદાર, વિશ્વાસપાત્ર માણસના પોતે ખબર આપવાથી છોકરીને એ વાતની જાણ થઈ કે મારા નિકાહ ફલાણા માણસ સાથે પઢાવવામાં આવ્યા છે અને તેણે મૌખિક મંજૂરી આપી દીધી અથવા એવું કોઈ કામ કર્યુ કે જેનાથી તેની રજામંદી સાબિત થઈ જાય; જેમકે મહર અથવા શાદીની મુબારકબાદીનો સ્વીકાર કર્યો અથવા શાદીની ભેટનો સ્વીકાર કર્યો અથવા પતિના ઘરે જવા સ્વેચ્છાએ વિદાય લીધી તો નિકાહ લાઝિમ અને કામિલ થઈ જશે. એવી જ રીતે જો છોકરી કુંવારી (બાકિરહ) હોય અને ઉપર પ્રમાણે ખબર મળ્યા પછી તુરત ચુપ રહી હોય અને આ નિકાહથી પોતાની નામંજૂરી અને નાખૂશી જાહેર ન કરી હોય તો કુંવારી છોકરીની આવી ચુપકીદી પણ મંજૂરી ગણાશે અને નિકાહ જાઈઝ અને દુરસ્ત થઈ જશે, ચાહે છોકરીને એ વાતની જાણ ન હોય કે આ પ્રમાણે ચૂપ રહેવાથી મંજૂરી સાબિત થઈ જાય છે.
બાપ માટે રજા લેવાનો સુન્નત તરીકો આ છે કે નિકાહ કરતાં પહેલાં તે પોતે અથવા ઘરની વિશ્વાસ પાત્ર ઓરતોના વાસ્તાથી છોકરીની રજા મેળવી લે.(શામી–ભાઃર, બાબુલ વલી)
Log in or Register to save this content for later.