[૧૭૮] ઉમરહ કરનાર માટે હજ

Chapter : હજ

(Page : 238-239-240)

સવાલ :–  સામાન્ય રીતે અહિંઆ રિયાઝ (સ.અરબ)માં કામ કરનારાઓને વર્ષમાં બે જ તહેવારની છુટ્ટીઓ મળે છે (૧)ઈદુલ ફિત્રની છુટ્ટી પહેલી શવ્વાલથી ચોથી શવ્વાલ સુધી (ર) ઈદુલ અદહાની છુટ્ટી.

        હવે ઘણા લોકો તરફથી એવું જાણવા મળ્યું છે કે પહેલી શવ્વાલ પછી ઉમરહ કરે તો હજ કરવી લાઝિમ થઈ જાય છે અને ઘણીવાર એમ બને છે કે શવ્વાલ મહિનાની છુટ્ટીઓમાં ઉમરહ કરી લીધો, પરંતુ પાછલા વર્ષોમાં હજ અદા કરી લીધેલી હોવાથી અથવા બીજા કોઈ કારણસર ઉમરહ પછી હજ ન થઈ શકે તો આ સંજોગોમાં એ બાબત જાણવી છે કે શવ્વાલ અથવા ઝુ કઅદહ મહિનામાં ફકત ઉમરહ થઈ શકે કે નહિ?

જવાબ  :– જે માણસ મીકાતની બહારથી શવ્વાલ અથવા ઝુ કઅદહ મહિનામાં ઉમરહ કરવા જાય તેવા દરેક માણસ ઉપર હજ કરવી લાઝિમ થઈ જાય છે, આ મંતવ્ય દુરસ્ત નથી. કારણ કે શવ્વાલ અથવા ઝુ કઅદહ મહિનામાં મીકાતની બહારથી ઉમરહ માટે આવનાર ભાઈઓની હાલત હજની અદાયગીની દ્રષ્ટિએ અને આર્થિક દ્રષ્ટિએ અલગ અલગ હોય છે, તમામની હાલત એક સરખી હોતી નથી અને દરેકની હાલત મુજબ હજ લાઝિમ થવા ન થવાનો હુકમ લાગુ પડે છે માટે મજકૂર સમયમાં ઉમરહ કરનાર માણસ જો એવો હોય કે ઉમરહ કરતાં પહેલાં તેના ઉપર હજ ફર્ઝ થઈ ચૂકી હતી અને ઉમરહ કરતાં પહેલાં તેણે પોતાની ફર્ઝ હજ અદા પણ કરી લીધી હોય તો શવ્વાલ અથવા ઝુ કઅદહમાં ઉમરહ માટે આવનાર આવા માણસ પર હજ કરવી લાઝિમ નહિ થાય. એવી જ રીતે જે માણસ એવો સાહિબે માલ હોય કે ઉમરહ માટે આવતાં પહેલાં જ તેના ઉપર હજ ફર્ઝ થઈ ગઈ હોય અને હજુ સુધી પોતાની ફર્ઝ હજ અદા ન કરી હોય તેવા માણસ ઉપર પણ મજકૂર સમયમાં ઉમરહ કરવાથી કોઈ બીજી હજ લાઝિમ નહિ થાય,  બલ્કે ઉમરહ કરતાં પહેલાં સાહિબે માલ હોવાથી જે હજ ફર્ઝ થઈ ચૂકી છે ફકત તે જ હજ અદા કરવી ફર્ઝ ગણાશે.

                અલબત્ત, મીકાતની બહારથી શવ્વાલ અથવા ઝુ કઅદહમાં ઉમરહ માટે આવનાર માણસ આર્થિક દ્રષ્ટિએ એવો હોય કે મજકૂર ઉમરહ માટે આવતાં પહેલાં હજ માટે મીકાતની બહારથી આવવા જવાનો, હજના સ્થળોએ રહેવાનો, ખાવા – પીવાનો ખર્ચ અને હજમાં મશગૂલ રહે એટલા દિવસો સુધી પોતાની ફેમિલીના ખર્ચની વ્યવસ્થા તેની પાસે ન હતી, મતલબ કે હજ ફર્ઝ થાય એવો સાહિબે માલ માણસ ન હતો, પરંતુ તે છતાં આવો માણસ શવ્વાલ અથવા ઝુ કઅદહમાં ઉમરહ માટે પહોંચી ગયો તો આવા માણસ પાસે જો હજના દિવસો સુધી ત્યાં રોકાવાનો પોતાનો ખર્ચ અને હજ કરીને પાછા ફરતાં સુધી પોતાની ફેમિલીનો ખર્ચ તેની પાસે હોય તો ઉમરહ માટે હરમમાં પહોંચવાથી તેના ઉપર હજ પણ ફર્ઝ અને લાઝિમ થઈ જશે તો ફરીવાર પોતાની ફર્ઝ હજ અદા કરવા આવવું પડશે. જો આવો માણસ ઉમરહ પછી હજ માટે ત્યાં રેહવા ચાહે, પરંતુ સઉદી સરકાર તેને ઉમરહ પછી તે જ વર્ષે હજ માટે રોકાવા ન દે અને ઉમરહ પછી પોતાના સ્થળે પાછા જઈ આવતા વર્ષે હજ માટે આવવાની હાલ તેની આર્થિક શકિત ન હોય તો આવા ગરીબ માણસ ઉપર પણ શવ્વાલ અથવા ઝુ કઅદહમાં ઉમરહ કરવાથી હજ લાઝિમ નહિ થાય.  (શામી–ર/૧૪ર,ર૪૧)

                ઉપરની વિગત મુજબ મીકાતની બહારથી આવનાર માણસ શવ્વાલ અથવા ઝુ કઅદહ મહિનામાં વિના કરાહતે ઉમરહ અદા કરી શકે છે અને મીકાત તથા હરમની અંદરનો રહેવાસી માણસ પણ જો તે વર્ષે હજ ન પઢવાનો હોય તો વિના કરાહતે ફકત ઉમરહ અદા કરી શકે છે.  (શામી–ર/૧પર)

Log in or Register to save this content for later.