Chapter : હજ
(Page : 228-229)
સવાલ :– એક ભાઈએ પોતાના મામાને જે રિયાઝ – સઉદી અરબિયામાં રહે છે તેમના ઉપર લખ્યું કે તમો મારા મર્હૂમ વાલિદ સાહેબ તરફથી હજ્જે બદલ પઢી લેશો – તેમાં મદીનહ મુનવ્વરહ જવા વિષે કોઈ ખુલાસો ન હતો અને આ વિષે કોઈ નિય્યત પણ ન હતી. હવે એ ભાઈના મામા હજ્જે બદલના સફરમાં મદીનહ મુનવ્વરહ પણ ગયા તો મદીનહનો ખર્ચ હજ્જે બદલના ખર્ચમાં ગણવો કે નહિ?
જવાબ :– મદીનહ મુનવ્વરહ જઈ મસ્જિદે નબવીમાં નમાઝ પઢવી એ મુસ્તહબ છે અને મસ્જિદે નબવીમાં નમાઝ પઢવાનો સવાબ બીજી મસ્જિદોમાં નમાઝ પઢવા કરતાં વધુ મળે છે એવી જ રીતે મદીનહ મુનવ્વરહ જઈ રવઝએ મુબારકહ (અલા સાહિબિહસ્સલાતુ વસ્સલામ)ની ઝિયારત મુસ્તહબ કામોમાં બધાંથી અફઝલ છે.
પરંતુ એ અમલ ન કરવામાં આવે તો પણ હજ વગર શંકાએ પૂરી અદા થઈ જાય છે કારણ કે મજકૂર નેક અમલ એક અલગ ઈબાદત છે. માટે હજ્જે બદલ કરનારને હજ પછી ઝિયારતે મદીનહ માટે જવા બાબત જે કંઈ ખર્ચ થયો છે તે એમના પોતાના શિરે રહેશે.
જો મકકહ મુકર્રમહથી તેઓની વાપસી પહેલેથી એવી તારીખે નક્કી હતી કે તે તારીખ પહેલાં તેઓ મકકહ મુકર્રમહથી પોતાની જગ્યાએ પાછા ન જઈ શકતા હતા તો હજથી ફારિગ થયા પછી મકકહથી વાપસીના સમય સુધીનો ખાવા પીવાનો એવો ખર્ચ કે જો મકકહમાં રોકાયા હોત તો પણ તે ખર્ચ કરવો જરૂરી હતો, તે ખર્ચ હજ્જે બદલના ખર્ચમાં ગણાશે અને મદીનહ મુનવ્વરહ જવાથી જે વધારાનો ખર્ચ થયો છે તે પોતાના શિરે રહેશે.
અને જો હજથી ફારિગ થઈ તુરત પોતાની જગ્યાએ પાછા ફરી શકતા હતા તો હજથી ફારિગ થયા પછીથી પોતાના સ્થળે પાછા ફરતા સુધીના બધા દિવસોનો ખર્ચ પોતાના શિરે રહેશે. અલબત્ત, હજથી ફારિગ થયા પછી મકકહ મુકર્રમહમાં રહેવાનો ફકત એટલા દિવસોનો ખર્ચ હજ્જે બદલના ખર્ચમાં ગણાશે. જેટલા દિવસ બહારના હાજીઓને મકકહમાં રહેવાનો સામાન્ય રિવાજ હોય છે.
જો પોતાની જગ્યાએથી મદીનહ મુનવ્વરહ માટેનો સફર ઝુલહજ શરૂ થતાં પહેલાં કર્યો હતો તો પણ ઝુલહજનો પહેલો દસકો શરૂ થતાં સુધીનો ખર્ચ હજ્જે બદલ કરનારના પોતાના શિરે રહેશે અને ત્યાર બાદનો ખર્ચ મોકલનારના ઝિમ્મે રહેશે. (આલમગીરી – ૧, ફતહુલ કદીર – ૩/૬૯)
Log in or Register to save this content for later.