[૪૬] પત્ર વડે નિકાહની રીત

Chapter : નિકાહ

(Page : 81-82)

સવાલઃ– મેં મારી ઓરતને ”તલાકે બાઈન” આપી હતી અને લગભગ ચાર વર્ષ પછી એ જ ઓરત સાથે ઘણા ઉલમાની રાય  લઈ રજિસ્ટરથી (પોસ્ટ દ્વારા) નિકાહ કર્યા હતા અને ત્યાર પછી હું એની સાથે પતિ – પત્ની જેવું જીવન ગુજારું છું, પરંતુ હજી સુધી મને આ બનાવમાં કંઈક શંકા જેવું થયા જ કરે છે કે હું કંઈક ખોટું કરી રહયો છું, વળી ટપાલથી નિકાહ કરી તેમાં ઓરતની એના પિતાની અને મવલાનાની સહી પણ હતી અને એ સર્ટીફિકેટ ઉપર પછી મેં સહી કરી આપી, તો શું આ ઈસ્લામિક રીતે સચોટ છે, તો તમો મને વિગતવાર પ્રશ્નનો જવાબ આપશો અને આ સહીહ નથી તો મારે શું કરવું તે પણ સાથે દર્શાવશો.

જવાબ :– પત્ર લખી નિકાહ પઢવાની આ સૂરત જાઈઝ છે કે મર્દ – ઓરતમાંથી કોઈ બીજા ઉપર એ પ્રમાણેનો કાગળ લખે કે હું ફલાણો અથવા ફલાણી (મર્દ અથવા ઓરતનું પૂરું નામ) તમો ફલાણા સાથે આટલી મહરના બદલામાં મારી જાતના નિકાહ કરું છું. જયારે બીજા પક્ષને એ કાગળ પહોંચી જાય તો એ નિકાહની ગવાહી માટે કમથી કમ બે મુસલમાન મર્દ અથવા એક મર્દ અને બે ઓરતોને બોલાવી નિકાહની મજલિસ કાયમ કરી જો નિકાહનો ખુત્બો પઢી શકાય તો તે પઢીને, નહીં તો તે પઢયા વગર તે ગવાહોની સામે કાગળ લખનાર પહેલા પક્ષનું પૂરું નામ – કામ બતાવી તેઓ તરફથી આવેલા કાગળનું લખાણ વાંચી સંભળાવે અને તે પછી તુરંત ગવાહોને સંબોધીને કહે કે તમો ગવાહ રહો કે હું નામે ફલાણા (પૂરું નામ) મારી જાતના નિકાહ, ફલાણા (પૂરું નામ – કામ)ના સાથે આટલી મહેરના બદલામાં કબૂલ મંજૂર કરું છું, તો પત્રની લેખિત કાર્યવાહી સાથે આ પ્રમાણે નિકાહની મજલિસમાં ગવાહો બોલાવી મજકૂર વિગત પ્રમાણે મૈાખિક કાર્યવાહી એટલે નિકાહના ઈજાબ – કબૂલ કરવાથી નિકાહ જાઈઝ ગણાશે. જો મર્દ – ઓરતે ફકત લેખિત કાર્યવાહી જ કરી એ પ્રમાણે કે એક પક્ષે બીજાને લખ્યું કે હું તારાથી નિકાહ કરું છું, બીજાએ જવાબમાં લખ્યું કે હું મંજુર કરું છું. ફકત લેખિત કાર્યવાહી કરવાથી નિકાહ થતાં નથી, માટે જો અત્યાર સુધી ઉપરોકત વિગત મુજબ મૌખિક કાર્યવાહીથી નિકાહ ન થયા હોય તો અત્યાર સુધીની જહાલતના આધારે વીતાવેલી જિંદગીથી બન્‍નેએ તવબહ–ઈસ્તિગ્ફાર કરવો જોઈએ અને વહેલી તકે પોતાના જ ઘરમાં નિકાહની મજલિસ કાયમ કરી ગવાહો સમક્ષ નિકાહ પઢી લેવા જોઈએ.(શામી :ર/ર૬પ,ર૭ર)

Log in or Register to save this content for later.