Chapter : નિકાહ
(Page : 69-70-71-72-73)
સવાલ :– એક છોકરો અહીંથી ઈંગ્લેન્ડ શાદીના હેતુથી ગયો. છોકરીના મા – બાપ પર એમના રિશ્તેદારોના દબાણથી છોકરીની ના મંજૂરી હોવા છતાં આ રિશ્તો નકકી કર્યો, ઉપરાંત શાદી પણ કરાવી. એના પરિણામ રૂપે એમની વચ્ચે સુમેળ રહેતો નહીં અને વારંવાર ઝઘડા થતા, છોકરી પોતાને ચાહતી નથી એમ માની છોકરો પણ એને મનાવવાને બદલે છોકરી પર ઝુલ્મ ગુજારતો એને કડવાવેણ બોલતો અને ઢોર માર મારતો, પોતાના પતિના આવા ઝુલ્મથી છોકરી કંટાળી ગઈ, અંતે એક વાર છોકરાએ ઝઘડો કર્યો અને મારી, ઉપરાંત છોકરીને કહયું કે ‘તું હવે કાયમ માટે તારા બાપને ત્યાં ચાલી જા મારે તારી જરૂર નથી’ અને પોતાના ઘરેથી કાઢી મુકી ઉપરાંત છુટી કરી દેવાની ધમકી આપી, ત્યાંની ગવર્મેન્ટને આ હકીકતની જાણ થતાં આ શાદીને ગેરકાયદેસર ઠેરવી છોકરાને ઈંગ્લેન્ડ છોડવાનો હુકમ કર્યો, છોકરાને અપીલ કરવાનો ચાન્સ હોવાથી એણે અપીલ કરી. છોકરાના ભવિષ્યનો ખ્યાલ કરી બન્ને વચ્ચે શરતી સમાધાન કરાવ્યું, એમાં છોકરાએ જણાવ્યું કે આ છોકરી મારી બહેન સમાન છે. હું એને અપીલની સુનાવણી પછી છુટી કરી આપીશ. છોકરાના કમનસીબે ફરી એ અપીલમાં હાર્યો અને ઈન્ડિયા પાછું આવવું પડયું, અત્યારે છોકરો ઈન્ડિયામાં અને છોકરી ઈંગ્લેન્ડમાં છે, છોકરી એની સાથે રહેવા તૈયાર નથી અને એ અશકય પણ છે. પુરા બનાવમાં છોકરી કરતાં છોકરો વધુ ગુનેહગાર છે, બન્ને વચ્ચે શરતી સમાધાન કર્યુ હતું, છતાં હવે છોકરો છુટી કરતો નથી, સારા માણસોના સમજાવવા છતાં માનતો નથી, પૈસાની ઓફર કરવા છતાં એ માનતો નથી, એ તો એમ જ બોલે છે કે કોઈ સંજોગોમાં આ કામ નહિ બને.
આમ, આ પ્રશ્નનો ઉકેલ મળતો નથી તો અમારે શું કરવું? જયારે છોકરો છોકરીને બહેન માની લે તો શું નિકાહના સંબંધો રહે છે? ગુસ્સામાં આવી બોલે કે તું તારા બાપને ત્યાં ચાલી જા મારે તારી જરૂર નથી, હું તને છુટી કરી આપીશ, તો નિકાહ સલામત રહે ખરો? એક ઝુલ્મી પતિ શરતી સમાધાન કરી ફરી જઈ છુટી ન કરી છોકરી પર એક વધુ ઝુલ્મ ગુજારે એ ઠીક છે ખરું? છોકરો ઈન્ડિયામાં છે છોકરી ઈંગ્લેન્ડમાં. છોકરો ત્યાં જઈ શકતો નથી, છોકરી અહિં રહી શકતી નથી, ઉપરાંત આવા ઝુલ્મી દગાબાજ પતિ સાથે ન રહેવાનો છોકરીનો દ્દઢ નિર્ણય છે તો શરઈ દ્રષ્ટિએ છુટી કરવી હોય તો શું ખુલાસો છે? તે જણાવશો.
નોંધ :– છોકરાએ છોકરીને તથા એના મા – બાપને વારંવાર ધમકી આપી હતી કે મારો હક થઈ જવા દો, પછી હું તમારું કરું છું, તો છોકરી કઈ રીતે એની સાથે રહી શકે? છોકરીને કેટલીય વાર ખોટા શકમાં લઈ ઘરમાં બુરી દઈ તાળુ મારી ચાલ્યો જતો આવા અગણ્ય ઝુલ્મ એણે ગુજાર્યા છે.
જવાબઃ– બાલિગ છોકરીના નિકાહ દુરસ્ત થવા માટે છોકરીની મંજૂરી મેળવવી જરૂરી છે. જો છોકરી રિશ્તો કરતી વખતે તો ના પાડતી હતી પણ નિકાહ કરતી વખતે અથવા તે પછી રજા આપી દીધી હતી, તો નિકાહ દુરસ્ત થઈ ગયા અને તે છોકરી નિકાહ પઢનાર મર્દની ઓરત બની ગઈ. (દુર્રે મુખ્તાર શામી ર૯૮ – ૩૦૦ ભા.ર)
મર્દે જે શબ્દો ઉચ્ચાર્યા છે કે (૧)તુ હવે કાયમ માટે તારા બાપને ત્યાં ચાલીજા, (ર) મારે તારી જરૂર નથી. (૩) આ છોકરી મારી બહેન સમાન છે. આ શબ્દો કિનાયાત વાકયો છે, જો મર્દે તલાક દેવાની નિય્યતથી ઉચ્ચાર્યા હોય તો તલાક પડશે અને ત્રણેવ શબ્દોથી એક તલાકે બાઈન પડશે અને જો તલાકની નિય્યતથી આ શબ્દો નથી બોલ્યા તો આ શબ્દોમાંથી કોઈ પણ શબ્દથી ઓરતને તલાક પડશે નહિ, ચાહે સામાન્ય હાલતમાં ઉચ્ચાર્યા હોય કે ગુસ્સાની હાલતમાં ઉચ્ચારવામાં આવ્યો હોય. (દુ. મુખ્તર શામીઃ ૪૬પ – ૪૭૪ /૪પ૩/પ૭૬/૪૭૦ ભા.ર)
ત્યાંની સરકારના નિકાહને ગેર કાયદેસર ઠેરવવાથી નિકાહ પર કોઈ અસર પડશે નહિ, હવે હાલના સંજોગોમાં મર્દ માટે જરૂરી છે કે તે મજકૂર ઓરતના પત્ની તરીકેના બધા હકકો અદા કરે અને સદવર્તન કરી તેને પોતાના નિકાહમાં રાખે અને જો પોતે ઓરતના હકકો અદા કરવા ન ચાહતો હોય તો ઓરતને આ તકલીફ ભરી હાલતથી શરીઅતે બતાવેલ તરીકા મુજબ તલાક આપી મુકિત આપે અને જો ઓરત જ નિકાહમાં રહેવાથી ઈન્કાર કરતી રહે, હાલાંકે શોહર હકકો પૂરા કરી સદવર્તનથી રાખવા તૈયાર હોય તો મર્દ માટે યોગ્ય છે કે ઓરતથી કોઈ માલ આપવાનું નકકી કરી ‘ખુલઅ’ કરી લે પણ ખુલઅ કરવું મર્દ પર જરૂરી નથી. (દુ. મુખ્તાર શામી ૪૧૬ / પપ૮ ભા.ર)
જો મર્દ તલાક દેવા કે ખુલઅ કરવા તૈયાર હોય તો તેના શિરે જરૂરી છે કે લંડનથી ઓરતને અહિંઆ બોલાવવા માટે ટિકીટ ખર્ચ આપે અને ઓરત કોઈ મહરમ સાથે સફર કરી અહિંઆ આવે, જો કોઈ મહરમ પોતાના ખર્ચે અહિંઆ આવવા તૈયાર ન હોય તો તે મહરમનો સફર ખર્ચ પણ શોહરે આપવો પડશે અને ઓરત માટે જરૂરી છે કે શોહર જયાં રાખવા ચાહે ત્યાં રહે અને ખાસ કરી સવાલની સૂરતમાં, કારણ કે શોહર માટે ઓરતને તેની જગ્યાએ રહેવા દઈ પોતે ત્યાં જઈ રહેવું મુશ્કેલ છે, જો શોહર અહિંઆ બોલાવવા ન ઈચ્છતો હોય અને પોતે ત્યાં જવા ઈચ્છતો હોય તો ઓરત પર જરૂરી છે કે સરકારી રાહે જે કઈ કહેવા લખવાના સંબંધ તેની સામે હોય તે કરી શોહર માટે સરળતા પેદા કરે અને શોહર હવે પછીનો ભરણ પોષણ ખર્ચ ઓરતને આપવા બંધાયેલો છે જો શોહર અહિંઆ બોલાવવા ટિકિટ ખર્ચ અને ત્યાં રહેવા ભરણપોષણ ખર્ચ નથી આપતો, હાલાંકે ઓરત અહિંઆ આવી છે, ત્યાં લંડનમાં રહી તેની સાથે રહેવા તૈયાર છે અને ઓરત આવી હાલતમાં જિંદગી ગુજારી શકતી નથી, ગુનાહમાં સંડોવાય જવાનો તેને સખત ભય છે તો પ્રથમ તો ઓરત માટે હુકમ એ જ છે કે કોઈ રીતે શોહરથી ખુલઅ કરી તલાક મેળવે, જો શોહર ”ખુલઅ” કરવાથી ઈન્કાર જ કરતો રહે તો આવી સૂરતમાં ”શરઈ પંચાયત” સામે પોતાનો કેસ રજૂ કરે, શરઈ પંચાયત શરીઅત મુજબ જો ગુંજાઈશ નીકળતી હશે તો તલાકનો ફેસલો કરી આવા શોહરના નિકાહમાંથી મુકિત અપાવશે. ”શરઈ પંચાયત” કોને કહેવાય તેની શું શરતો છે તે કેવી રીતે કેસ ચલાવશે એ બધી વિગત ”અલહીલતુન્નાજિઝહ” નામી ઉર્દુ કિતાબમાંથી મળશે.
(શામી ૬૪૭ /૬૪૮ /૩૬૦ ભા.ર / અલહિલહ ૮૧)
Log in or Register to save this content for later.