[૧પ૩] મોકલનારની રજાથી તમત્તુઅ હજ

Chapter : હજ

(Page : 210-211-212-213)

સવાલ :– ‘ઈસ્લામી અરકાન’ કિતાબના હજ્જે બદલ વિભાગના ૧૯૭ પેજ પર આ પ્રમાણે લખ્યું છે કે વસિય્યત વગર હજ્જે બદલને મોકલનારની પરવાનગીથી હજે તમત્તુઅ પઢવી જાઈઝ છે, હવે સવાલ એ થાય છે કે મસાઈલે હજ નામની કિતાબમાં મુફતી બેમાત સા. પે. ૧૧૯ પર લખે છે કે જે માણસ મોકલે છે તેની પરવાનગીથી પણ તમત્તુઅ કરવું જાઈઝ નથી અગર મોકલનાર તમત્તુઅની રજા આપશે તો હજ કરનાર ઉપર તાવાન લાઝિમ આવશે નહિ પરંતુ મોકલનારની હજ અદા થશે નહિ, મુફતી સઈદ અહમદ સા. લખે છે કે હજ્જે બદલ કરનાર મોકલનારની રજા વગર તમત્તુઅ કરી શકતો જ નથી, સર્વે ઉલમાએ કિરામ મના કરે છે પરંતુ મોકલનારની રજા હશે તો અમુક ઉલમાના મત મુજબ  જાઈઝ છે, પરંતુ મુહકિકકીન ઉલમાના મત મુજબ મોકલનારની રજા હશે તો પણ તમત્તુઅ જાઈઝ નથી. મુલ્લા અલી કારી (રહ.) અને મવ. રશીદ અહમદ ગંગોહી (રહ.) એ તમત્તુઅના નાજાઈઝ હોવા બાબત ફતવો આપ્યો છે, માટે હજ્જે બદલ જનારા લોકોએ પોતાની રાહત અને એહરામના લાંબા થઈ જવાની બીકથી મોકલનારના હજને ખરાબ નહિ કરવું જોઈએ, મોકલનાર જનારને ખાસ સૂચના આપે કે તમત્તુઅ ન કરે.     (મુઅલ્લિમુલ હુજ્જાજ–૩૦૭)

                બીજુ ફતાવા રહીમિય્યહ –ર/૭ર, ફતવા. નં –૯૪ હજ્જે બદલ જનાર કેવો એહરામ બાંધેઃ

સવાલ :– હજ્જે બદલમાં જનાર માણસ માટે શું એ જરૂરી છે કે તે ઈફરાદનો એહરામ બાંધે, તમત્તુઅનો એહરામ બાંધી શકે છે કે કેમ?

જવાબ :– હજ્જે બદલ કરનાર ઈફરાદ એટલે માત્ર હજનો એહરામ બાંધે જેના તરફથી હજ કરે અગર તેણે કિરાનની ઈજાઝત આપી હોય તો કિરાન કરી શકે છે, પણ દમે કિરાન (કુર્બાની) પોતે આપવી પડશે તમત્તુઅ કરવામાં ઈખ્તિલાફ છે. સહીહ એ છે કે ઈજાઝત આપી હોય છતાં તમત્તુઅનો એહરામ બાંધી શકાય નહિ.

                હવે હમોને પરેશાની છે કે હમારે ત્યાંથી એક ભાઈ પોતાની માની હજ્જે બદલ માટે (વસિય્યત વગરના) જાય છે તો કેવા હજની નિય્યત કરે કિરાન–ઈફરાદ કે તમત્તુઅ, એ ભાઈનું કહેવું છે કે મારાથી કિરાન થઈ શકે એમ નથી ઈફરાદ – તમત્તુઅ કરી શકું. તમત્તુઅ વિશે ‘ઈસ્લામી અરકાન’ માં જાઈઝ લખ્યું અને મુફતી બેમાત સાહેબ તથા મુહકકકીન ઉલમા અને મુફતી લાજપૂરી સાહેબ (દા.બ.) તમત્તુઅ ના લખે છે, તો એ વિશે ખુલાસો કરશો. અને જો ઈફરાદની નિય્યત કરે તો કયારે એહરામ બાંધે અને કયાંથી બાંધે?

જવાબ :–જયારે કોઈ માણસ પોતાની ફર્ઝ માટે બીજાને હજ્જે બદલ કરવા માટે મોકલે અથવા કોઈ મર્હૂમ તરફથી હજ્જે બદલ ફર્ઝની વસિય્યત હોય અને તેના વારસદારો કોઈને હજ્જે બદલ ફર્ઝ કરવા માટે મોકલે અથવા કોઈ વારસદાર પોતે મર્હૂમની વસિય્યત મુજબ હજ્જે બદલ ફર્ઝ માટે જાય તો આ બધી સૂરતોમાં હજ્જે બદલ ફર્ઝ માટે મોકલનારની ઈજાઝતથી હજે તમત્તુઅ કરી શકાય કે નહિ તેમાં ઉલમાએ કિરામનો મતભેદ છે. હઝરત મુફતી મુહમ્મદ શફીઅ સા. (રહ.), હઝ. મવલાના મુફતી અબ્દુર્રહીમ સા.(રહ.) કહે છે કે જો હજે કિરાન કરવામાં એહરામમાં રહેવાનો સમય લંબાઈ જવાથી તકલીફ થવાનો ભય હોય અથવા બીજી કોઈ મજબૂરી હોય તો આ સૂરતમાં મોકલનારની ઈજાઝતથી હજ્જે તમત્તુઅ કરવી જાઈઝ છે. હઝ. મવ. મુફતી કિફાયતુલ્લાહ સા. (રહ.) અને મવ. શેર મુહંમદ સા.નું પણ એ જ મંતવ્ય છે, બાકી જો હજના દિવસોના કરીબ હોવાથી એહરામના લંબાણની તકલીફ અથવા બીજી કોઈ તકલીફ ન હોય તો ઉકત ત્રણ સૂરતોમાં ફર્ઝ હજ્જે બદલ કરી છે માટે એહતિયાત એજ છે કે મોકલનારની ઈજાઝત છતાં હજે તમત્તુઅ ન કરવામાં આવે.

                જયારે કોઈ માણસ પોતાની હજ્જે બદલ નફલ માટે બીજાને મોકલે અથવા મર્હૂમની વસિય્યત ન હોવા છતાં પોતે તેઓ તરફથી હજ્જે બદલ કરે અથવા બીજાને તેઓની હજ્જે બદલ માટે મોકલે તો હજ્જે બદલ નફલની આ ત્રણેય સૂરતોમાં હજે તમત્તુઅ કરવી બધા જ ઉલમાએ કિરામની સર્વ સંમતિથી જાઈઝ છે, પરંતુ જો બીજાના  મોકલવાથી જતો હોય તો તમત્તુઅ માટે  મોકલનારની ઈજાઝત હોવી જરૂરી છે અને પૂછેલી સૂરતમાં પોતાની મર્હૂમા વાલિદહની હજ્જે બદલ માટે પોતે પોતાના તરફથી જનાર બહેન વાલિદહ તરફથી વસિય્યત ન હોવા છતાં જઈ રહયા છે તો તે હજ્જે બદલ નફલ ગણાશે  માટે તેઓ માટે મજકૂર હજ્જે બદલ હજ્જે તમત્તુઅની સૂરતમાં અદા કરવી વિના સંકોચે જાઈઝ છે.  (જ. ફિકહ–૧/પ૧૬, ઉમદતુલ મનાસિક –ર/૧પ૮, ફ. રહીમિય્યહ ઉર્દુ –ર/૬૦)

                મજકૂર બહેન જો હજ્જે તમત્તુઅ કરવા ચાહતાં હોય તો કરી શકે છે માટે હજ્જે તમત્તુઅ કરવાની સૂરતમાં જો વિમાનથી જવાના હોય તો મુબંઈથી ઉમરહનો એહરામ બાંધે અને આઠમી ઝુલહજ અથવા તેથી પહેલાં મકકહમાંથી હજનો એહરામ બાંધે અને જો વહેલું જવાનું હોય તો મદીનહથી મકકહ પાછા આવતાં રસ્તામાં આવતા મીકાત ઉપરથી અથવા મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી ઉમરહ અથવા હજનો એહરામ બાંધે. (જ ફિકહ–૧, ઉ.મનાસિક –૧)

Log in or Register to save this content for later.