[૩પ] નામુનાસિબ શબ્દો બોલવાથી નિકાહનું નવીનકરણ

Chapter : નિકાહ

(Page : 64-65)

સવાલ :–  મર્દ અને ઔરતમાં ઝઘડો થવાના કારણે પતિ બોલ્યો કે ”હું હિન્દુ થઈ જઈશ” હવે આવા શબ્દો બોલવાથી ઔરત તે પતિ સાથે રહેવાથી પોતાનો દીન બરબાદ થઈ જવાનો ભય રાખે છે અને નિકાહનું નવીનકરણ કરવા પતિ સંકોચાય છે તો નિકાહનું નવીનકરણ કરવું જોઈએ કે નહિ અને તે નવીનકરણ કંઈ રીતે કરવું.

જવાબ :– જે મર્દનો પોતાની ઓરત સાથે ઝઘડો થયો અને ઉગ્ર રૂપ ધારણ કરતાં પતિ એવા શબ્દો બોલ્યો કે ”હું હિદું થઈ જઈશ” એ ઘણા ખતરનાક શબ્દો કહેવાય, મુસલમાને આવા શબ્દો બોલવાથી ખૂબ જ બચવું જોઈએ અને ભૂલથી તથા વાસ્તવિક ઈરાદા વગર પણ આવા શબ્દો ઉચ્ચારવા ન જોઈએ અને હાલ આવા શબ્દો બોલવા બદલ સાચા દિલથી તવબહ અને ઈસ્તિગ્ફાર કરવો જોઈએ અને આવા શબ્દો બોલવાથી આ પુરુષની પત્નીને પોતાના પતિનો દીન બરબાદ થવાનો જે ભય ઉત્પન્‍ન થયો છે અને પરસ્પર નિકાહ તૂટી જવાની જે શકયતા સમજાઈ છે તે ભય અને શકયતાના નિવારણ માટે અને શરીઅતના એહતિયાતી હુકમને અનુસરવા માટે આ પતિ પત્નીને મહરનું કોઈ પ્રમાણ નકકી કરી, બે મુસ્લિમ ગવાહોની રૂબરૂ નવેસરથી નિકાહ પઢી લેવા જોઈએ, નિકાહનું નવીનકરણ એ મોટા મોટા બુઝુર્ગોનો અમલ છે, માટે તેમાં બંને પક્ષોએ કોઈ સંકોચ અનુભવવાની જરૂરત નથી, પતિ આવા અપશબ્દો બોલવાથી તવબહ ઈસ્તિગફાર કરે અને પતિ – પત્ની બન્‍ને રાજી ખુશીથી નિકાહની તજદીદ (નવીકરણ) કરી સુખશાંતિથી રાબેતા મુજબ પોતાનું લગ્ન જીવન શરૂ કરે એ ખૂબ જ હિતાવહ છે અને એક બીજાને દીની જીવન ગુજારવા સહાયરૂપ બનવા સમાન છે.      (શામી ભા.ર)

Log in or Register to save this content for later.