Chapter : નિકાહ
(Page : 62-63-64)
સવાલ :– એક મા પોતાના વારસદારોમાં ફકત એક છોકરાને છોડીને ઈન્તિકાલ કરી ગઈ છે તે છોકરો પણ ગાંડા જેવો છે. અકકલ, હોશિયારી કાંઈ નથી. હવે તેની માએ તેના એક સગા સંબંધીને અમુક તોલા સોનું આપી એમ કહયું હતું કે આ સોનાને વેચી મારા આ છોકરાને શાદી કરાવશો. વારસામાં ઘર પણ મળ્યું છે, પરંતુ છોકરો પણ નામર્દ જેવો છે, જેથી શાદી કરનાર બાઈ પણ માલ – મિલ્કત સમક્ષ રાખી નિકાહ કરવા તૈયાર થાય એવું છે અને મજકૂર છોકરાની વફાત બાદ કોઈ એનો વારસદાર નથી, તો પૂછવાનું એ કે
(૧) આ છોકરાની શાદી કરાવી શકાય ? હાલમાં છોકરો પોતાના તે સંબંધીને ત્યાં જ રહે છે.
(ર) જેને એની માએ સોનું આપ્યું હતું તો તે માણસ આ સોનું વેચી તે ખાધા ખોરાકી તથા કપડા લત્તાનો ખર્ચ તેમાંથી લઈ શકે; કારણ કે છોકરાની ઈજાઝત લેવાનો કોઈ સવાલ થતો નથી.
(૩) એના મરણ બાદ એની મિલ્કતનું શું કરવું ?
જવાબ :– ગાંડા છોકરાની માએ જે ભાઈને પોતાના મજકૂર છોકરાની શાદી કરાવવાનું સોપ્યું છે, તે ભાઈ માટે મજકૂર છોકરાના નિકાહ કરાવવાનો શરીઅતની રૂએ અધિકાર નથી, ગાંડા છોકરાના નિકાહ કરાવવાનો અધિકાર તેના વલીને છે અને તેનો કોઈ વલી ન હોય તો તેના નિકાહનો મઆમલો શરઈ પંચાયતના હવાલે કરવો જોઈએ.(શામી : ર/૩૧૪, નો’માની)
મજકૂર સોનામાંથી છોકરાની ખાધા ખોરાકી અને કપડા લત્તાનો ખર્ચ કરી શકાય છે, પરંતુ તે માટે પણ વલીની અથવા શરઈ પંચાયતથી મંજૂરી મેળવવી જરૂરી છે. (શામી–ર/૩૧૧)
મજકૂર છોકરાના મરણ બાદ તેના શરઈ વારસદારો નકકી કરીને તેની મિલકતની વહેંચણી કરવામાં આવશે.
Log in or Register to save this content for later.