[૩૧] અવલાદની પ્રાપ્તી માટે બીજી શાદી કરવી અને બન્નેહ પત્નીઓને એક જ મકાનમાં રાખવી

Chapter : નિકાહ

(Page : 60-61-62)

સવાલઃ– મારા લગ્ન થવાને અઢી વર્ષ થયા છે અને મારે કોઈ અવલાદ નથી, મારા ઘરમાં હું સૌથી મોટો છું અને ઘરમાં મારા જ હમણા સુધી લગ્ન થયા છે અને ઘરમાં કોઈ બાળક નથી, તે માટે ઘરવાળા બાળક માટે બહુ આતુર થઈ ગયા છે અને મારી બીવીને થોડી તકલીફ છે, એનો ઈલાજ પણ ચાલુ છે પણ ઉમ્મીદ બહુ ઓછી છે, જોકે બાળક આપવાવાળો તો અલ્લાહ જ છે, ઈન્સાનના હાથમાં કશું જ નથી, બધુ જ કરવાવાળો તો અલ્લાહ જ છે, અલ્લાહના હુકમ વગર કશુય થવાનું નથી. હવે જો હું બીજા લગ્ન કરી લઉં અને બીજા મારા લગ્ન માટે મારી બીવી પણ હા પાડે છે, તેની તરફથી મને રજા છે  અને હું તેને ના પાડું છું કે બે ઓરતો વચ્ચે ઈન્સાફ કરવો બહુ મુશ્કેલ છે, વધારે પડતો તે મને આગ્રહ કરે છે અને મારી રાય એ છે કે આપણે એક દત્તક બાળક લઈ લઈએ, પરંતુ એ કહે છે કે આપણું બાળક એ આપણું, મેં પણ આજુ બાજુ નજર કરી પણ એવું કોઈ બાળક નથી, બાળક છે તો પાછળવાળા બરાબર નથી, હવે વાત એ છે કે હું બીજા લગ્ન કરી શકું અને બીજા લગ્ન કરીને બંને ઓરતોને સાથે રાખી શકું અને એક જ ઘરમાં રાખી શકું છું? મારા ઘરમાં મારો એક રૂમ છે, તેમા પાર્ટીશન થઈ શકે છે અને બે રૂમ થઈ શકે છે અને બીજું ઘર પણ લઈ શકું, પરંતુ બીજું ઘર લઉં તો મારે થોડા સમય માટે પહેલી બીવી પાસે રહેવું પડે અને થોડા સમય માટે બીજી ઓરત સાથે રહેવું પડે અને એમાં એવું થાય કે થોડો સમય ત્યાં અને થોડો સમય અહિંઆ રહેવામાં પહેલી બીવી એકલી પડે તો બીજી બીવી એકલી પડે એ મને પસંદ નથી, તો શું હું બન્‍ને બીવીઓને જોડે એક ઘરમાં રાખી શકું છું, યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબઃ– જો તમો રાત ગુજારવામાં કે બન્‍ને ઓરતો પાસે સરખા પ્રમાણમાં રાતવાસો કરો (જો કે હમ બિસ્તરીમાં સમતોલ જાળવવું જરૂરી નથી) અને ખાવા પીવા – પહેરવામાં અને રહેઠાણ આપવામાં બરાબરી અને ઈન્સાફ કરી શકો તો બીજી શાદી કરવામાં કોઈ વાંધો નથી અને એક ઘરમાં બન્‍ને ઓરતો સાથે રાખી શકાય છે, પરંતુ બન્‍નેવને સુવાના રૂમ અલગ હોવા જોઈએ, બન્‍ને સાથે એક રૂમમાં ન સુઈ શકાય. (શામી –ર) અને કોઈનું બાળક દત્તક લેવા કરતાં પોતાની અવલાદ હોવી એ અફઝલ છે અને એમાં ઘણી ખરાબીઓથી છૂટકારો પણ રહે છે અને જયારે તમારી હાલની બીવી ખુશ પણ છે, તો આ ઘણું અનુકુળ વાતાવરણ કહેવાય, માટે જો આપ બે ઓરતોના ભરણ પોષણ કરવા શકિત ધરાવતા હોય અને બન્‍નેના હુકૂકમાં ઉપર લખવા મુજબ બરાબરી કરી શકતા હોય તો બીજી શાદી અવલાદ પ્રાપ્તિના હેતુથી કરવી શરીઅતની દ્વષ્ટિએ ઈચ્છનીય છે.                                                                   (શામી : ર)

Log in or Register to save this content for later.