Chapter : હજ
(Page : 204-205-206)
સવાલઃ– એક માણસ પોતાના મર્હૂમ બાપની હજ કરવા માટે જાય છે અને તેના બાપે હજ માટે કોઈ વસિય્યત કરી નથી તો તે માણસ પોતાના બાપની હજ અને ઉમરહ સાથે કરવા ચાહે છે તો બન્ન ઈબાદતો સાથે જમા કરી શકે છે કે નહિ અને કરી શકે તો તેની નિય્યત કેવી રીતે કરે? અને એહરામ પહેલાં કોની નિય્યત કરી અદા કરે અને એહરામનું કેટલું કપડું જોઈએ? ઔરતને એહરામની કેવી રીતે તરકીબ કરવાની રહેશે?
જવાબ :– બાપની વસિય્યત નથી એટલે એક સફરમાં કિરાન અને તમત્તુઅ બન્ન સૂરતોમાં હજ અને ઉમરહ બંને ઈબાદતોને જમા કરી શકે છે. જો કિરાનની સૂરતમાં એક સાથે ઉમરહ અને હજનો એહરામ બાંધે અને બાપ ઉપર હજ ફર્ઝ હતી પરંતુ પોતાની જીંદગીમાં ન કરી શકયા તો એહતિયાત એ છે કે તેઓ તરફથી ઉમરહ અને હજની નિય્યત કરે અને એહરામ બાંધે, નિય્યત આ પ્રમાણે થશે હું વાલિદ સાહેબ તરફથી ઉમરહ અને હજની નિય્યત કરું છું અને અલ્લાહ તઆલા વાસ્તે તેઓના તરફથી ઉમરહ અને હજનો એહરામ બાંધું છું. અરબી શબ્દો આ પ્રમાણે છે.
(અલ્લાહુમ્મ ઈન્ની ઉરીદુલ્ ઉમરત વલ્ હજ અન્ વાલિદી વ અહરમતુ બિહિમા લિલ્લાહિ તઆલા અન્હુ)
અને જો તમત્તુઅની સૂરતમાં ઉમરહ અને હજ કરવાના હોય તો ઉપર પ્રમાણે ઉમરહની નિય્યત વાલિદ સાહેબ તરફથી કરવામાં આવે અથવા પોતાની નિય્યતથી ઉમરહ કરી પાછળથી વાલિદ સાહેબને ઈસાલે સવાબ કરવામાં આવે એ પણ જાઈઝ છે, જેમ કુર્આન શરીફ પઢીને પાછળથી દુઆ કરી ઈસાલે સવાબ કરીએ છીએ અને હજનો એહરામ વાલિદ સાહેબની નિય્યતથી કરવામાં આવે, જો વાલિદ સાહેબ મર્હૂમ ઉપર હજ ફર્ઝ ન હતી તો ઉમરહ અને હજ બન્ન પોતાની નિય્યતથી કરી પાછળથી ઈસાલે સવાબ કરી દેવામાં આવે એ પણ જાઈઝ છે અને એ પણ જાઈઝ છે કે શરૂથી જ વાલિદ સાહેબ તરફથી કરવાની નિય્યત કરવામાં આવે જેમ કે શરૂમાં લખવામાં આવ્યું છે અને એ અફઝલ અને બેહતર છે. હજ અને ઉમરહની આસાની માટેની દુઆમાં પણ તેઓ તરફથી કબૂલ થવાની દુઆ કરવામાં આવે. એહરામના તલબિય્યહમાં પણ લબ્બયક પછી અન્ વાલિદી બોલવામાં આવે. (ઝુ. મનાસિક–ર/૧પ૬, શામી–૧)
પુરૂષના એહરામ માટે એક ખુલ્લી લુંગી જોઈએ જે સીલાઈ કરી ગોળ ન બનાવવામાં આવી હોય અને એક એટલી લાંબી ચાદર જોઈએ કે જમણા ખભા પરથી પસાર કરીને ડાબા ખભા ઉપર આસાનીથી નાખી શકાય અને આ પ્રમાણે બે જોડ એહરામ હોય તો બેહતર છે તાકે જરૂરત પડે બદલવાની અગવડ સમયે તકલીફ ન પડે. (મુ. હુજ્જાજ –૩૯/૧૦પ)
ઔરતને એહરામ માટે સીવેલા કપડાં ત્યાગ કરવાના નથી બલકે જે પ્રમાણે મુહરિમ બનતા પહેલાં શરીઅત પ્રમાણે બદન ઢાંકી શકે તેવા સીવેલાં કપડાં પહેરવા જરૂરી છે. તે જ પ્રમાણે મુહરિમ બનવા પછી પણ તેવાં જ કપડાં પહેરવાના છે. હા, મુહરિમ બન્યા પછી ઔરતે ચહેરા ઉપર ચહેરાને લાગે એ પ્રમાણે કપડું નાખવું મના છે. માટે પેશાની ઉપર કોઈ ચીઝ મુકીને કપડું ચહેરાથી અલગ રહે એ પ્રમાણે કપડું નાખવું જોઈએ કારણ કે મર્દોથી ચહેરો ઢાંકવો પણ જરૂરી છે.
બાકી બદન સફાઈ ગુસલ કે વુઝૂ નિય્યત, દુઆ, તલબિય્યહ તો ઔરતે પણ તે જ પ્રમાણે કરવાના છે. જે પ્રમાણે મર્દને કરવાના છે. હા, ઔરતે તલબિય્યહ જોરથી પઢવો મના છે. (ઝુ. મનાસિક–૧/૮૧)
Log in or Register to save this content for later.