[૧૩૩] તવાફના અમુક ચક્કરો છૂટી જવાનો હુકમ

Chapter : હજ

(Page : 188-189)

સવાલ :– તવાફના અનેક પ્રકાર છે, તો કોઈ પણ પ્રકારના તવાફમાંથી અમુક ચક્કરો છૂટી જાય તો શું હુકમ છે?

જવાબ :– જો તવાફે ઝિયારત કે અન્ય કોઈ પણ પ્રકારના તવાફમાં ચાર ચક્કરોથી ઓછા ચક્કર અદા કર્યા તો તવાફ જ નહિ થાય અને જો તવાફે ઝિયારતમાં ચાર ચક્કરો અદા કર્યા પછી બાકીના ત્રણ કે તેથી ઓછા ચક્કર છોડી દીધા અને પાછળથી આ છૂટેલા ચક્કરો લોટાવ્યા પણ નહિ તો દમ આપવો વાજિબ થશે, પરંતુ જો તવાફે વિદાઅ કુરબાનીના દિવસોમાં કર્યો હોય તો તવાફે વિદાઅના ચક્કરોમાંથી તવાફે ઝિયારતના ત્રણ કે તેથી ઓછા ચક્કરો ગણવામાં આવશે અને તવાફે વિદાઅના તેટલા ચક્કરો લોટાવી લેવામાં આવશે અને નહિ લોટાવે તો દરેક ચક્કરના બદલામાં સદકહ આપવો વાજિબ થશે અને જો તવાફે વિદાઅ કુરબાનીના દિવસો પછી કર્યો હોય (અને સામાન્ય રીતે હાજી તવાફે વિદાઅ કુરબાનીના દિવસો પછી જ કરે છે) તો પણ તવાફે ઝિયારતના ચક્કરોની કમી તવાફે વિદાઅમાંથી પૂરી કરવામાં આવશે અને તવાફે ઝિયારતના આ ચક્કરોની કુરબાનીના દિવસોથી તાખીર બદલ છૂટેલા ચક્કર દીઠ એક સદકએ ફિત્રના પ્રમાણમાં સદકહ આપવો પડશે અને તવાફે વિદાઅના ચક્કરો પૂરા કરવામાં આવશે, જો પૂરા નહિ કરે તો ચક્કર દીઠ સદકહ આપવો પડશે અને તવાફે ઝિયારત સિવાય હજના બીજા પ્રકારના તવાફના જેમકે તવાફે વિદાઅ કે તવાફે કુદૂમના ત્રણ કે તેથી ઓછા ચક્કરો છોડી દીધા અને પાછળથી લોટાવ્યા પણ નહિ તો તવાફના પાછલા ત્રણ વાજિબ ચક્કરોમાંથી છોડેલા દરેક ચક્કરના બદલે સદકહ આપવો પડશે, એટલે કે ચક્કર દીઠ એક કિલો ૬૪૦ ગ્રામ ઘઉં અથવા તેની કિંમત મુસ્લિમ ગરીબને આપવી વાજિબ થશે. જો ઉમરહના તવાફમાં ચાર ચક્કરો અદા કર્યા પછી ત્રણ કે તેથી ઓછા ચક્કરો છોડી દીધા અને પાછળથી તેને લોટાવ્યા પણ નહિ તો તવાફે ઝિયારતની જેમ દમ આપવો વાજિબ થશે, જો તવાફે કુદૂમ અથવા નફલ તવાફ શરૂ કર્યા પછી ચાર કે તેથી વધુ ચક્કરો છોડી દીધા અને પાછળથી તેને લોટાવ્યા પણ નહીં તો દમ આપવો વાજિબ થશે અને જો ત્રણ કે તેથી ઓછા ચક્કરો છોડી દીધા અને લોટાવ્યા નહિ તો છૂટેલા દરેક ચક્કર દીઠ ઉપર મુજબ સદકહ આપવો વાજિબ થશે. જો છૂટી ગયેલા ચક્કરો પાછળથી લોટાવી લેવામાં આવશે તો દમ કે સદકહ કોઈ વસ્તુ વાજિબ નહિ થાય, અલબત્ત તવાફે ઝિયારતના છૂટેલા ચક્કરો કુરબાનીના દિવસોમાં લોટાવી લેવા ઝરૂરી છે, પરંતુ તેને લોટાવતાં પહેલાં તવાફે વિદાઅ કરી લીધો હોય તો તેમાંથી તવાફે ઝિયારતના છૂટેલા ચક્કરોની ગણત્રી પૂરી કરવામાં આવશે અને તવાફે વિદાઅના તેટલા ચક્કરો છૂટેલા ગણાશે અને તે પૂરા કરવામાં આવશે.             (ઉમ. ફિકહ – ૪)

Log in or Register to save this content for later.