Chapter : હજ
(Page : 181-182)
સવાલ :– એક ભાઈએ ધંધા અર્થે લગભગ અઢી વર્ષેાથી મકકહ શરીફમાં વસવાટ કર્યો છે, આ સમયગાળા દરમ્યાન પહેલી હજ પોતાની અદા કરી ત્યાર બાદ પોતાના ખર્ચે મર્હૂમ વાલિદ સાહેબની હજ્જે બદલ કરી ચાલુ વર્ષે પોતાની મર્હૂમહ ઔરત તરફથી હજ્જે બદલ કરવા ગયા, અરફાતમાંથી મિનામાં આવ્યા પછી તેમની તબીયત એકદમ ગભરાટ ભરી બીમારીમાં પલટાઈ ગઈ અને બીમારીમાં ૧૦ – ૧ર દિવસો બેહોશીના કારણે તવાફે ઝિયારત ચૂકી ગયા અને મિનામાંથી ઘર પર આવ્યા બાદ આઠ દિવસ સુધી બેહાલ રહ્યા. આ સૂરતમાં હજ્જે બદલ બાબત એટલું જ પૂછવાનું કે આ માણસ મરહૂમહ ઔરત તરફથી કોઈ વસિય્યત વગર સ્વેચ્છાએ તેમની તરફથી હજ્જે બદલ કરવા ગયા હતા તો હવે બાકી રહેલા અરકાન માટે શું હુકમ છે? કારણ કે તેઓ ઈન્ડિઆ આવવા માંગે છે, તે બદલ એમણે શું કરવું જોઈએ અને અરકાન બાકી રહેવાનો ગુનાહ તેઓને લાગુ પડશે કે નહિ? અગર ગુનાહ લાગુ પડતો હોય તો તેઓએ શું કરવું જોઈએ ? તેમની હાલત એવી નથી કે ઈન્ડિયા પાછા આવ્યા બાદ ફરી હજ માટે જઈ શકે.
જવાબ :– પૂછેલી સૂરતમાં ચાહે મરહૂમહ ઔરત તરફથી હજ્જે બદલની વસિય્યત ન હતી અને મજકૂર ભાઈ સ્વેચ્છાએ જ મરહૂમહ તરફથી હજ્જે બદલ કરી રહ્યા હતા તો પણ આ હજનો એહરામ બાંધ્યા પછી અને વુકૂફે અરફાત કરી લીધા પછી તેઓ માટે આ હજની અદાયગી પૂરી કરવી જરૂરી અને લાઝિમ છે અને મજકૂર હાલતમાં હજની અદાયગી પૂરી કરવાની સૂરત આ છે કે તે ભાઈ તવાફે ઝિયારત જે હજના ફર્ઝોમાંથી એક ફર્ઝ છે તેને અદા કરી લે, ચાહે તવાફે ઝિયારત અદા કરવાના દિવસો ૧૦થી૧ર ઝુલહજ છે પરંતુ બીમારીના કારણે મોડું થવાથી કોઈ વાંધો નહિ આવે અને બીમારીના કારણે મોડું થવાથી દમ વગેરેનો કોઈ કફફારો આપવો પણ વાજિબ નથી અને બીમારીના કારણે હજના આ’માલમાંથી રમી અને સઈ છૂટવાથી પણ કોઈ દમ આપવો વાજિબ નહિ થાય, જો બીમારીના કારણે પોતે ચાલીને તવાફે ઝિયારત ન કરી શકાય તો ડોલીમાં બેસીને તવાફ કરવો પણ જાઈઝ છે. (શામી – ર/ર૩પ, ઝુબ્દહ – ર/૧૪૪)
Log in or Register to save this content for later.