[૩૦૮] ઈમામ અને મુકતદી માટે નમાઝની નિય્યતનો હુકમ અને રીત

Chapter : નમાઝ

(Page : 346)

સવાલ :– જમાઅત સાથે પઢવામાં આવતી ફર્ઝ નમાઝમાં ઈમામ અને મુકતદી માટે નિય્યત કરવાનો શું હુકમ છે ? અને ઈમામ તથા મુકતદીએ ફર્ઝ નમાઝમાં કઈ રીતે નિય્યત કરવી જોઈએ ?

જવાબ :– જમાઅત સાથે પઢવામાં આવતી ફર્ઝ નમાઝમાં ઈમામે ઈમામત સહીહ થવા અને ઈમામ બનવા માટે અને પુરુષ મુકતદીઓની નમાઝ સહીહ થવા માટે પોતે ઈમામતની નિય્યત કરવી શર્ત અને જરૂરી નથી. જો તે ફકત મુનફરીદ નમાઝીની જેમ નિય્યત કરશે અને તેની પાછળ લોકો નમાઝ પઢશે તો પણ તે પુરુષ મુકતદીઓના ઈમામ બની જશે અને મુકતદીઓની નમાઝ સહીહ થઈ જશે.

                અલબત્ત ઈમામે ઈમામતનો સવાબ મેળવવા માટે ઈમામતની નિય્યત કરવી જરૂરી છે, એટલે ઈમામ માટે નિય્યત કરવાની અફઝલ અને બેહતર રીત આ છે કે તે આ પ્રમાણે નિય્યત કરે કે :

હું આજની ફજરની બે રકઆત ફર્ઝ નમાઝ મારી પાછળ નમાઝ પઢનાર મુકતદીઓનો ઈમામ બનીને મારું મોઢું કિબ્લા તરફ રાખીને અલ્લાહ તઆલાના વાસતે પઢવાની નિય્યત કરું છું અને પછી તુરત અલ્લાહુ અકબર કહે.(‘શામી ૧/ર૮૪)

                મુકતદીની નમાઝ ઈમામ સાહેબની પાછળ સહીહ થવા માટે તેણે ઈમામની ઈક્‌તિદામાં અને તાબેદારીમાં નમાઝ પઢવાની નિય્યત કરવી શર્ત અને જરૂરી છે, જો માત્ર જે તે ફર્ઝ નમાઝ પઢવાની નિય્યત કરશે અને ઈમામની પાછળ તેની તાબેદારીમાં નમાઝ પઢવાની નિય્યત નહિં કરે તો તેની નમાઝ સહીહ અને જાઈઝ નહિં ગણાય, માટે મુકતદીએ આ રીતે નિય્યત કરવી જરૂરી છે કે :

હું આજની ઝોહરની ચાર રકઆત ફર્ઝ નમાઝ આ ઈમામની પાછળ (તેની તાબેદારીમાં) મારું મોઢું કિબ્લા તરફ રાખીને અલ્લાહ તઆલાના વાસતે પઢવાની નિય્યત કરૂં છું.            (‘શામી ૧/ર૮ર)

Log in or Register to save this content for later.