Chapter : હજ
(Page : 168-169)
સવાલ :– હજ પઢવા જનાર સાહિબે નિસાબ હાજી ઉપર હજની કુરબાની નિય્યત વખત ઉપર અને ચોક્કસ સ્થળ ઉપર આપવી વાજિબ છે. તો હવે. મજકૂર કુરબાની સિવાય બીજી કુરબાની જે પોતે સાહિબે નિસાબ હોવાથી દર વર્ષે કુરબાનીના દિવસોમાં આપતા હતા તે કુરબાની પણ હજ પઢવા જનાર સાહિબે નિસાબ હાજી ઉપર શું વાજિબ છે?
અમદાવાદથી પ્રગટ થયેલી એક ”હજ ગાઈડ”માં અમોએ આ પ્રમાણે વાંચ્યું છે કે હાજીઓ બે કુરબાની કરે, એક હજની કુરબાની અને બીજી બકરી ઈદ પર વાજિબ થતી કુરબાની, જે દર વર્ષે પોતાના શહેરમાં કરતા હતા તે, પરંતુ જો પોતાની પાસે ઝાઝા પૈસા ન હોય તો એક કુરબાની ત્યાં મક્કહમાં જરૂર કરે અને બીજી કુરબાની પોતાના શહેરમાં કોઈ સગા પર પત્ર લખી કરાવી લેવી, તો મજકૂર ગાઈડમાં આ રીતે હાજી માટે હજની કુરબાની સિવાય બીજી કુરબાની કરવાનું પણ લખેલ છે અને આ લખાણથી ઈદની કુરબાનીનું હાજી માટે વાજિબ હોવું સમજાય છે, જુમ્અહના દિવસે જુમ્અહની નમાઝ બાજમાઅત પઢવાથી ઝોહરની ફર્ઝ નમાઝ અદા કરવાનું માથે રહેતું નથી તેમ શું હજની કુરબાની કરવાથી સાહિબે નિસાબ હાજી ઉપર ઈદની કુરબાની અદા કરવાની બાકી રહેતી નથી? અથવા તે છતાં પણ તેની ઉપર ઈદની કુરબાની વાજિબ રહે છે?
જવાબ :– જયારે હજ પઢવા જનાર હાજી તમત્તુઅ અથવા કિરાન પ્રકારની હજ અદા કરે તો તેની ઉપર હજની કુરબાની વાજિબ થાય છે, હજે ઈફરાદ અદા કરનાર હાજી ઉપર હજની કુરબાની વાજિબ થતી નથી. જો કે લાંબા અને દૂરના અંતરેથી આવેલા હાજીઓ સામાન્ય રીતે તમત્તુઅ અથવા કિરાન પ્રકારની હજ અદા કરતા હોય છે, એટલે સામાન્ય રીતે તેઓ ઉપર હજની કુરબાની વાજિબ હોય છે. અને આ હજની વાજિબ કુરબાની ત્યાં મિનામાં (હરમમાં) જ કરવી જરૂરી છે.
સાહિબે નિસાબ, માલદાર હાજી ઉપર ઈદની કુરબાની વાજિબ થવા વિશે વિગત આ પ્રમાણે છે કે જો તે કુરબાનીના દિવસોમાં મુકીમ હોય, એટલે કે લગાતાર પંદર દિવસ અને રાતો મક્કહ મુકર્રમહમાં રહેવાની નિય્યતથી રોકાયો હોય અને તે પંદર દિવસો દરમ્યાન મક્કહથી બહાર જઈ બીજા કોઈ સ્થળે કોઈ રાત ગુજારવાની તેની નિય્યત ન હોય જેમ કે આઠમી ઝુલહજથી પંદર દિવસો પહેલાં મક્કહ મુકર્રમહમાં આવનાર હાજીની નિય્યત આઠમી તારીખ પહેલાં મિના, અરફાત, મુઝદલિફહ જવાની અને મિના તથા મુઝદલિફહમાં રાત ગુજારવાની તેની નિય્યત હોતી નથી, તો આવો હાજી કુરબાનીના દિવસોમાં મુકીમ ગણાશે, કારણ કે ઉપર મુજબ મક્કહમાં મુકીમ થયા પછી આઠમી તારીખના મિના, અરફાત અને મુઝદલિફહ માટે સફર કરવાથી તે મુસાફિર નહિ બને અને આવા મુકીમ માલદાર હાજી ઉપર તમત્તુઅ અથવા કિરાન હજની વાજિબ કુરબાની સિવાય એક બીજી ઈદની કુરબાની પણ વાજિબ થશે અને આ ઈદની કુરબાની ત્યાં મિનામાં જ કરવી જરૂરી નથી. બલ્કે આ ઈદની કુરબાની હાજી પોતાના વતનમાં પણ કરાવી શકે છે.
જો સાહિબે નિસાબ, માલદાર હાજી કુરબાનીના દિવસોમાં મુસાફિર હોય એટલે કે લગાતાર પંદર દિવસ અને રાતો મક્કહ મુકર્રમહમાં રહેવાની તેની નિય્યત ન હોય, જેમકે કોઈ હાજી આઠમી ઝુલહજથી પંદર દિવસથી ઓછી મુદ્દત પહેલાં મક્કહ મુકર્રમહ પહોંચે અને જાહેર છે કે હજના અને કુરબાનીના દિવસોમાં હજના આ’માલની સહીહ તરતીબ મુજબ તેની નિય્ય્ત આઠમી ઝુલહજના મિનામાં જવાની અને નવમીના ત્યાંથી અરફાતમાં જવાની અને અમુક રાતો મિના તથા મુઝદલિફહમાં ગુજારવાની હોય છે, એટલે આવો હાજી કુરબાનીના દિવસોમાં મુસાફિર હોય છે, માટે તેના ઉપર ઈદની કુરબાની વાજિબ નહિ થાય. એવી જ રીતે જે હાજી આઠમી ઝુલહજથી પંદર દિવસો પહેલાં મક્કહ મુકર્રમહ પહોંચે, પરંતુ આઠમી ઝુલહજ પહેલાં મક્કહથી મદીનહ મુનવ્વરહ જવાની તેની નિય્યત હોય અથવા આઠમી ઝુલહજ પહેલાં મક્કહ મુકર્રમહથી બીજા કોઈ સ્થળે જવાની તેની નિય્યત હોય જે મક્કહ મુકર્રમહથી ૭૮ કિ.મી.થી નજીકના સ્થળે જઈ ત્યાં રાત ગુજારવાની નિય્ય્ત હોય તો આવા હાજી પણ કુરબાનીના દિવસોમાં મુસાફિર જ ગણાશે અને માલદાર હોવા છતાં તેની ઉપર ઈદના દિવસોમાં મુસાફિર હોવાના કારણે ઈદની કુરબાની વાજિબ નહિ થાય, બલ્કે તમત્તુઅ અથવા કિરાન હજની ફકત એક જ કુરબાની વાજિબ થશે.
મક્કહ મુકર્રમહથી ૭૮ કિ.મી. અથવા તેથી વધુ દૂરના શહેરોમાંથી આવનારા સઉદી અરબના હાજીઓ અને સઉદી સિવાય બીજા દેશોમાંથી આવતા હાજીઓ મોટા ભાગે મુસાફિર જ હોય છે, કારણ કે આજકાલ બીજા દેશોના હાજીઓની સામાન્ય રીતે કુલ ૩પ કે ૪૦ દિવસોની સફર હોય છે અને સઉદી હાજીઓની સફર તો આથી પણ ઓછી મુદ્દતની હોય છે અને મજકૂર મુદ્દત દરમ્યાન હજથી પહેલાં અથવા પછી મદીનહ મુનવ્વરહ જવાનું હોય છે અને આઠમી ઝુલહજ પછી મિના, અરફાત અને મુઝદલિફહ જવાનું હોય છે, એટલે એવા હાજીઓ બહું જ ઓછા હોય છે કે જેઓને આઠમી ઝુલહજથી પહેલાં લગાતાર પંદર દિવસ – રાત મક્કહ મુકર્રમહમાં રહેવાનું થાય અથવા બારમી ઝુલહજના ગુરૂબે આફતાબ પહેલાં મક્કહ પહોંચીને ત્યાં લગાતાર પંદર દિવસ – રાત રહેવાનું થાય.
ખુલાસો આ છે કે જે માલદાર હાજી આઠમી ઝુલહજ પહેલાં લગાતાર પંદર દિવસો મક્કહ મુકર્રમહમાં રહેવાની નિય્યત કરી ત્યાં રહે તો તે મુકીમ છે અને તેની ઉપર ઈદની કુરબાની વાજિબ થશે. એવી જ રીતે જે માલદાર હાજી બારમી ઝુલહજે મિના રવાના થઈ તે જ દિવસે ગુરૂબે આફતાબ પહેલાં મક્કહ મુકર્રમહ પહોંચી જાય અને ગુરૂબે આફતાબ પહેલાં જ ત્યાં મક્કહ મુકર્રમહમાં લગાતાર પંદર દિવસ – રાત રહેવાની નિય્યત કરી લે તો તે પણ મુકીમ છે અને તેની ઉપર પણ ઈદની કુરબાની વાજિબ થશે. (શામી–ર/૧૮૧)
Log in or Register to save this content for later.