[૩૦૬] ઘૂંટીથી નીચે પાટલૂન પહેરનારની ઈમામત

Chapter : નમાઝ

(Page : 333)

સવાલ :–  આજકાલ ઘણા હુફફાઝે કિરામ જે પૂરા વર્ષ દરમ્યાન ઘૂંટીથી નીચે પેન્ટ પહેરે છે અને રમઝાન શરીફમાં પણ ફકત તરાવીહ વખતે પેન્ટ ઘૂંટીથી ઉંચે ચઢાવી લઈ તરાવીહ પઢાવે છે. તો આ પ્રમાણે કરનાર હાફિઝ સાહેબોની તરાવીહ પઢાવવા વિશે શું હુકમ છે ? અને ઘૂંટીથી નીચે લટકતો હોય એવો પેન્ટ, પાયજામો કે કુર્તો પહેરવાનો શું હુકમ છે ? શું એવા હુફફાઝે કિરામ તરાવીહ પઢાવી શકે છે ? અને જો લિબાસ વગેરેની દ્રષ્ટિએ શરીઅતના પાબંદ હોય એવા હુફફાઝે કિરામ ન મળે તો ફકત અલમ્‌તરની તરાવીહ બેહતર છે અથવા આવા હુફફાઝે કિરામ તરાવીહ પઢાવે એ બેહતર છે ?

જવાબ :– ઘૂંટીથી નીચે લટકતો પેન્ટ, લેંગો, લુંગી, કુરતો પહેરવો પુરુષો માટે નાજાઈઝ છે. હદીસ શરીફમાં ઘૂંટીથી નીચે કપડું લટકાવનાર પુરુષો માટે ઘણી સખત વઈદો આવેલી છે.

(૧) હઝરત અબૂ હુરયરહ (રદિ.)થી રિવાયત છે કે,

એક માણસ પોતાની ઈઝાર ઘૂંટીથી નીચે લટકાવીને નમાઝ પઢી રહ્યો હતો, તો હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે તેને ફરમાવ્યું કે,

‘જા અને વુઝૂ કર, તે માણસે જઈને વુઝૂ કર્યું અને પાછો આવ્યો.

આ બધું જોઈને એક બીજા માણસે કહ્યું કે,

‘‘યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ! આપે તેને વુઝૂનો હુકમ શા માટે આપ્યો ?

તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ જવાબ આપ્યો કે,

‘‘તેણે ઘૂંટીથી નીચે પોતાની ઈઝાર લટકાવીને નમાઝ પઢી હતી અને અલ્લાહ તઆલા એવા માણસની નમાઝ કબૂલ નથી ફરમાવતા, જે પોતાની ઈઝાર ઘૂંટીથી નીચે લટકાવે. (‘અબૂ દાવૂદ, ‘મિશ્કાત ૭૩)

(ર)     હઝરત અબૂ હુરયરહ (રદિ.)થી નકલ છે કે,

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,

‘‘અલ્લાહ તઆલા કિયામતના દિવસે તે માણસ તરફ રહમતની નઝર નહિ કરે જે ઘમંડની હાલતમાં ઘૂંટીથી નીચે પોતાની ઈઝાર લટકાવશે.              (‘સહીહૈન, ‘મિશ્કાત ૩૭૩)

(૩)     હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)એ કહ્યું કે,

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે,

‘‘એક માણસ એ હાલતમાં કે તે પોતાની ઈઝાર ઘમંડથી ઘૂંટીથી નીચે લટકાવી રહ્યો હતો, તેને જમીનમાં ધસાવી દેવામાં આવ્યો અને તે કિયામત સુધી જમીનમાં ખૂંપતો રહેશે.  (‘બુખારી, ‘મિશ્કાત ૩૭૩)

(૪)     હઝરત અબૂ હુરયરહ (રદિ.) નકલ કરે છે કે,

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે,

                ‘‘જે ઈઝાર ઘૂંટીઓથી નીચે હોય તે આગમાં જશે. (‘બુખારી, ‘મિશ્કાત ૩૭૩)

(પ)     હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી નકલ કરે છે કે,

આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે,

‘‘ઘૂંટીથી નીચે કપડું લટકાવવું લુંગી, લેંગા, કુરતા અને પાઘડીમાં હોય છે, જે પુરુષ તેમાંથી કોઈ કપડું ઘમંડથી ઘૂંટી નીચે લટકાવશે, અલ્લાહ તઆલા કિયામતના દિવસે તેની તરફ નજરે રહમત નહિ ફરમાવે.                         (‘મિશ્કાત ૩૭૪)

                આ હદીસથી માલૂમ પડયું કે, ઘૂંટીથી નીચે કપડું લટકાવવાની મનાઈ લુંગી, લેંગા અને પાટલૂન સુધી જ મર્યાદિત નથી બલ્કે મજકૂર મનાઈ કુરતો, પાઘડી, અચકન બધાને જ લાગુ પડે છે.

(૬)     હઝરત ઈબ્ને ઉમર (રદિ.) કહે છે કે,

હું હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસેથી એવી હાલતમાં પસાર થયો કે મારી લુંગી નીચે લટકેલી હતી. આ જોઈને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,

‘અબ્દુલ્લાહ! તમારી લુંગી ઉંચી કરી લો.

મેં લુંગી ઉંચી કરી તો આપે ફરમાવ્યું કે,   ‘‘વધુ ઉંચી કરો.

                તો મેં વધારે ઉંચી કરી, તે પછી હું હંમેશા લુંગી ઉંચી રાખવાની ફિકર અને કોશિશ કરતો રહ્યો. (મિશ્કાત શરીફ : ૩૭૬)

(૭)     હઝરત આઈશહ (રદિ.) એક વિસ્તૃત હદીસમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે,

શબે બરાઅતમાં અલ્લાહ તઆલા કોઈ મુશરિક તરફ અને કોઈ કિન્નાખોર તરફ અને કોઈ રિશ્તેદારી તોડનાર તરફ અને કોઈ ઘૂંટીથી નીચે કપડું લટકાવનાર પુરુષ તરફ અને કોઈ વાલિદૈનના નાફરમાન તરફ અને કોઈ શરાબી તરફ નજરે રહમત નથી ફરમાવતા.(‘બયહકી)

                ઉકત હદીસોના આધારે ફુકહાએ કિરામે પુરુષ માટે ઘૂંટીથી નીચે પાટલૂન, લેંગો, લુંગી, અરબી કુરતો પહેરવાને નાજાઈઝ અને મકરૂહે તહરીમી કહ્યું છે.              (‘શામી પ, ‘અલબહર ૮/૧૯૦)

                કાઝી સનાઉલ્લાહ પાનીપતી (રહ.) લખે છે કે,

                લુંગી, લેંગા વગેરે અડધી પિંડી સુધી મસનૂન છે અને ઘૂંટી સુધી જાઈઝ છે અને ઘૂંટીથી નીચે સુધી પુરુષ માટે હરામ છે. (‘માલાબુદ મિન્હૂ ૧૦૩)

                શાહ અબ્દુલ અઝીઝ મુહદ્દિસ દહેલવી (રહ.) લખે છે કે,

                પુરુષ માટે લેંગો, લુંગી ઘૂંટીથી નીચે સુધી પહેરવી હરામ બરાબર મકરૂહ છે, બલ્કે કુરતાનો દામન પણ ઘૂંટીથી નીચે સુધી રાખવો મકરૂહ છે.   (‘ફતાવા અઝીઝી ૧/પ૧)

                હકીમુલ ઉમ્મત હઝરત થાનવી (રહ.) લખે છે કે,

                પુરુષો માટે ઘૂંટીથી નીચે કુરતો, લેંગો અથવા લુંગી પહેરવી મના છે. (‘તઅલીમુદ્દીન ૯૦)

                હાફિઝ ઈબ્ને હજર (રહ.) લખે છે કે,

                આ હદીસોમાં એ વાતની ચોખવટ છે કે ઘમંડ અને તકબ્બુરથી ઘૂંટીથી નીચે કપડું પહેરવું કબીરહ ગુનાહ છે અને આ હદીસોથી તકબ્બુરની નિય્યત વગર પણ ઘૂંટીથી નીચે કપડું પહેરવું હરામ જાહેર થાય છે.

                હાફિઝ ઈબ્ને હજર (રહ.) પુરુષ માટે ઘૂંટીથી નીચું કપડું પહેરવાની મનાઈના અનેક કારણો દર્શાવતા લખે છે કે,

ઘૂંટીથી નીચું કપડું પહેરવું ઈસરાફના કારણે મના છે, જે હરામ સુધી પહોંચી જાય છે અને ઓરતો સાથે જે મળતાપણું હોવાના કારણે પણ મના છે.

                હાકિમ (રહ.) એ સહીહ સનદથી હઝરત અબૂ હુરયરહ (રદિ.)ની હદીસ નકલ કરી છે કે,

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ઓરત જેવો લિબાસ પહેરનાર પુરુષ પર લઅનત ફરમાવી છે અને એ કારણે પણ મના છે કે નીચા કપડાં સાથે કોઈ નાપાકી લાગી જવાનો ભય રહે છે. અને એ કારણથી પણ મના છે કે ઘૂંટીથી નીચું કપડું પહેરવામાં પહેરનાર વિશે ઘમંડનો ગુમાન થઈ શકે છે.

  ઈબ્ને અરબી (રહ.) કહે છે કે,

                કોઈ પુરુષ માટે ઘૂંટીથી નીચું કપડું પહેરવું અને એમ કહેવું જાઈઝ નથી કે હું તો ઘમંડના કારણે નીચું કપડું નથી પહેરતો. બલ્કે નીચું કપડું પહેરવું ઘમંડની દલીલ છે. કારણકે ઈબ્ને ઉમર (રદિ.)ની હદીસમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે,

‘‘ઘૂંટીથી નીચે લુંગી પહેરવાથી બચો, કારણ કે તે ઘમંડના કારણે હોય છે.       (ફત્હુલ બારી ભાગ–૧૦)

                  શૈખુલ હિંદ હઝરત મૌલાના મહમૂદુલ હસન (રહ.) લખે છે કે,

                ઘમંડની હાલત વગર પણ ઘૂંટીથી નીચે લુંગી, લેંગો, કુરતો પહેરવો નાજાઈઝ છે. કારણકે એવો પહેરવેશ ઘમંડીઓનું ઓળખ ચિન્હ અને તેઓનો મખસૂસ લિબાસ છે. અને માણસ જે તે જમાઅતનું અનુકરણ કરે છે, તેમાંથી ગણાય છે.     (‘તકરીરે તિરમિઝી ૪૯)

  હઝરત મૌલાના ખલીલ અહમદ સહારનપુરી (રહ.) લખે છે કે,

                (પુરુષનું) જે કપડું ઘૂંટીઓથી નીચે હોય તે જહન્નમની આગમાં જશે. કારણકે એવું કપડું પહેરવું હરામ છે, જે જહન્નમને સાબિત કરે છે, અને આ ઘૂંટીથી નીચા કપડાંની મનાઈ પુરુષો માટે છે, ઓરતો માટે નથી. (‘બઝલુલ મજહૂદ પ/પ૭)

                કોઈ હાફિઝ સાહેબ ઘૂંટીથી નીચે પાટલૂન અથવા લેંગો પહેરવાની આદત બનાવી લે અને તેનાથી તવબહ ન કરે અને ફકત નમાઝ પઢતાં પઢાવતાં સુધી જ ઘૂંટીથી ઉંચું ચઢાવી લે તો ઉકત નકલ કરવામાં આવેલી હદીસો અને ફિકહના મસાઈલના આધારે તેઓ ફાસિક ઠરે છે, અને તેઓ જયાં સુધી આવા કૃત્યથી સાચી તવબહ ન કરે અને કાયમ માટે ઘૂંટીથી નીચે પાટલૂન અથવા લેંગો પહેરવાનું ન છોડે ત્યાં સુધી તેઓની ઈમામત નાજાઈઝ અને મકરૂહે તહરીમી છે અને એવા હાફિઝ પાછળ પૂરા કુર્આનની તરાવીહ પઢવા કરતાં શરઈ તરીકા મુજબ લિબાસ પહેરનાર આલિમ પાછળ ‘અલમ્‌તરની તરાવીહ પઢવી બેહતર છે અને એવા ફાસિક માણસને ફર્ઝ કે તરાવીહના ઈમામ બનાવવા નાજાઈઝ છે.

                હઝરત મૌલાના મુફતી અઝીઝુર્રહમાન સાહેબ (રહ.) આવા ઈમામ વિશે લખે છે કે,

‘ઈમામે મઝકૂરકો ઐસા ન કરના ચાહિએ, કયૂં કે અવ્વલ તો ટખનોંસે નીચા પજામા ખારિજે નમાઝમેં પહેનના ભી હરામ ઓર મમનૂઅ હે, યે અમ્ર મુજિબે ફિસ્કે ઈમામ હે ઓર ફાસિક કે પીછે નમાઝ મકરૂહ હે, ઓર ઈમામ બનાના ફાસિકકો બિદોન તવબહ કે મકરૂહ હે.(‘ફતાવા દારુલ ઉલૂમ ૩/૧૧૭)

                હઝરત મૌલાના મુફતી સય્યિદ અબ્દુર્રહીમ લાજપૂરી (દા.બ.) ફેશનવાળો લિબાસ પહેરનાર હાફિઝ સાહેબને તરાવીહનો ઈમામ બનાવવા વિશે લખે છે કે,

‘ખુલાસા યે કે અગર હાફિઝ અપની ઈન કબીહ આદતોં કે તર્ક કર દેનેકા અહદ કરે, તો ઉસકો ઈમામે તરાવીહ બનાયા જા સકતા હે ઓર અગર ઈનકાર કરે તો ફિર ઐસા શખ્સ ઈમામત કે મનસબ કે લાઈક નહીં, ઓર ઈસ વજહસે નમાઝી અગર ઉસસે નારાઝ હો, તો ઉનકી નારાઝગી હક હોગી. હદીસમેં હે કે શરઈ સબબસે અગર મુસલ્લી ઈમામસે નારાઝ હોં તો ઐસે ઈમામ કે પીછે નમાઝ મકબૂલ નહીં  હોતી.                                 (‘ફતાવા રહીમિય્યહ ૪/૪૧૭)

                હઝરત મૌલાના મુફતી રશીદ અહમદ સાહેબ લુધયાનવી (દા.બ.) ઘૂંટીથી નીચે લેંગો પહેરનારની ઈમામત વિશે લખે છે કે,

‘ટખનેસે નીચે પજામા લટકાના નાજાઈઝ હે, ઈસ પર બહોત વઈદેં વારિદ હૂઈ હેં… કૌમે લૂત (અલૈ.) પર જિન બદઆમાલિયોં સે અઝાબ આયા ઉનમેં ટખને ઢાંકના ભી હે. (‘દુર્રે મનસૂર) ઈસ લિયે ઐસે શખ્સ કો ઈમામ બનાના જાઈઝ નહીં.   (‘અહસનુલ ફતાવા ૩/ર૯૬)

  હઝરત મૌલાના મુફતી મુહમ્મદ યૂસુફ લુધયાનવી (દા.બ.) લખે છે કે,

‘શલવાર, પજામા આધી પિંડલી તક રખના સુન્નતે નબવી હે, ટખનોં તક રખનેકી ઈજાઝત હે ઓર ટખનોંસે નીચે રખના હરામ હે ઓર નમાઝમેં યે ફેલ ઓર ભી બૂરા હે, જો ઈમામ શલવાર, પજામા ટખનોંસે નીચા રખનેકા આદી હો, અગર વો ઉસસે બાઝ ન આયે, તો ઉસકો ઈમામત સે હટા દેના ઝરૂરી હૈ.     (‘આપકે મસાઈલ ર/ર૪૩)

                અલ્લાહ તઆલાએ અતા ફરમાવેલી નેઅમતોના ઈનઆમને જાહેર કરવાની અને બારી તઆલાનો શુક્ન અદા કરવાની નિય્યતથી શરીઅતે નકકી કરેલી હદમાં રહીને કીમતી અને સારા કપડાં પહેરવા પુરુષ અને ઓરત બંને માટે જાઈઝ છે; બલ્કે સાધન સંપન્ન માણસ અલ્લાહ તઆલાએ આપેલી નેઅમતો ન વાપરે એ અલ્લાહ તઆલાને નાપસંદ છે અને નેઅમતો વાપરે એ પસંદ છે, પરંતુ બીજાઓને દેખાડવાની અને બીજાઓ ઉપર ભપકો પાડવાની નિય્યતથી શોભાયમાન અને ઉચ્ચ કક્ષાના કપડાં પહેરવા એ જાઈઝ નથી. એવી જ રીતે શરીઅતે નકકી કરેલી હદ અને મર્યાદાથી આગળ નીકળીને કપડાં પહેરવાં, જેમકે પુરુષે ઘૂંટીથી નીચે સુધી લેંગો, લુંગી, પાટલૂન અને કુરતો પહેરવો જાઈઝ નથી.

અલ્લાહ તઆલા ફરમાવે છે કે,

‘‘કુલ્‌ મન્‌ હર્રમ ઝીનતલ્લાહિ…

આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવી દો કે (બતલાવો તો ખરા કે) અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓ (ના ઉપયોગ) માટે પેદા કરેલા કપડાં અને ખાવા–પીવાની હલાલ વસ્તુઓને (જેને અલ્લાહ તઆલાએ હલાલ ફરમાવી છે) કોણ માણસ હરામ ઠરાવે છે.(‘અઅ્‌રાફ ૩ર)

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે,

‘(હલાલ અને જાઈઝ) હદથી આગળ નીકળ્યા વગર તથા ફુઝૂલખર્ચી વગર અને ઘમંડ કર્યા વગર (જે હલાલ વસ્તુઓ ચાહો તે) ખાઓ, પહેરો અને સદકહ કરો.                    (‘બુખારી શરીફ ર/૮૬૦)

હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.)નું કથન છે કે,

‘(હલાલ વસ્તુઓમાંથી) જે ચાહો તે ખાઓ અને જે ચાહો તે પહેરો, જયાં સુધી બે વસ્તુઓથી બચતા રહો, એક હદથી આગળ વધવું અને ફુઝૂલખર્ચી કરવી અને બીજી ઘમંડ કરવો. (‘બુખારી શરીફ ર/૮૬૦)

                પુરુષે એટલી નીચી લુંગી, લેંગો કે કુરતો પહેરવો કે જેનાથી ઘૂંટીઓ ઢંકાય જાય, એ ઈસરાફ અને ફુઝૂલખર્ચીમાં દાખલ છે, કારણકે પુરુષ માટે ઘૂંટી તો શું પિંડી પણ સતરમાં દાખલ નથી, બલકે મર્દ માટે અડધી પિંડી સુધી કપડું ઊંચું રાખવું સુન્નત છે અને કુર્આન શરીફમાં ઈસરાફની મનાઈ આવેલી છે અને ઈસરાફ કરનારને શૈતાનનો ભાઈ ઠરાવવામાં આવ્યો છે.

     અલ્લાહ તઆલા ફરમાવે છે કે,

‘‘વ આતિ ઝલ્કુર્બા હક્‌કહુ…

અને રિશ્તેદારને (માલ વગેરેને લગતો) તેનો હક આપ્યા કરજે અને ગરીબ, મોહતાજ તથા મુસાફિરને પણ (તેઓના હકકો) આપ્યા કરજે અને (માલ) ગલત જગ્યાએ ન વાપરીશ, ગલત જગ્યાએ માલ ઉડાવનાર શૈતાનોના ભાઈઓ છે (એટલે કે તેના જેવા છે) અને શૈતાન અલ્લાહ તઆલાનો ઘણો નગુણો અને અપકારી છે.(‘બની ઈસરાઈલ ર૬,ર૭)

                હઝરત મૌલાના મુફતી શફીઅ સાહેબ (ન.મ.) ફુઝૂલખર્ચી– દુરોપયોગની વિગત અને તેને લગતી આયતોની તફસીર કરતાં લખે છે કે,

ફુઝૂલખર્ચીના અર્થનું કુર્આન કરીમે બે શબ્દોથી વર્ણન કર્યું છે. એક તબઝીર શબ્દ અને બીજો ઈસરાફ શબ્દ… અમુક લોકોનું કહેવું છે કે બંને સમાનાર્થ શબ્દો છે, કોઈ ગુનાહિત કૃત્યમાં અથવા અયોગ્ય જગ્યાએ માલ ખર્ચ કરવાને તબઝીર અને ઈસરાફ કહેવાય છે.

    અને તફસીરના અમુક ઉલમાએ કિરામે આ પ્રમાણે તફસીર કરી છે કે,

‘‘કોઈ ગુનાહિત કાર્યમાં અથવા બિલકુલ અયોગ્ય જગ્યાએ ખર્ચ કરવાને તબઝીર કહેવાય છે અને જયાં ખર્ચ કરવું જાઈઝ તો હોય, પરંતુ જરૂરતથી વધુ પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે તેને ઈસરાફ કહેવાય છે, માટે ઈસરાફ કરતાં તબઝીર વધુ સખત (ખરાબ) છે અને તબઝીર કર્તાને શૈતાનનો ભાઈ ઠરાવવામાં આવ્યો છે.

ઈમામે તફસીર હઝરત મુજાહિદ (રહ.)નું મંતવ્ય છે કે,

‘અગર કોઈ માણસ પોતાનો બધો માલ હક કામ માટે ખર્ચ કરી નાંખે તો એ તબઝીર નથી અને જો કોઈ બાતિલ કામ માટે એક મુદ્દ (અડધો શેર) પણ ખર્ચ કરે તો એ તબઝીર છે.

હઝરત અબ્દુલ્લાહ બિન મસઉદ (રદિ.)નું ફરમાન છે કે,

‘કોઈ નાહક કામમાં અયોગ્ય ખર્ચ કરવાનુ નામ તબઝીર છે. (મઝહરી) ઈમામ માલિક (રહ.)નું કથન છે કે તબઝીર આ છે કે ઈન્સાન માલ તો હક તરીકાથી પ્રાપ્ત કરે; પરંતુ નાહક તરીકાથી ખર્ચ કરી નાંખે અને તેનું નામ ઈસરાફ પણ છે અને એ હરામ છે. (કર્તબી, ‘મઆરિફુલ કુર્આન પ/૪પ૮)

                ઉકત વિગતથી માલૂમ પડયું કે મર્દ માટે ઘૂંટીથી નીચું કપડું પહેરવું શરીઅતે મર્દના લિબાસની નકકી કરેલી રૂપરેખા અને મર્યાદાથી બહાર અને તેની વિરુદ્ધ હોવાથી તબઝીર અને ઈસરાફમાં દાખલ છે અને તબઝીર તથા ઈસરાફ નાજાઈઝ અને હરામ છે.

                ઘણાં લોકો ઘૂંટીથી નીચો લેંગો, પાટલૂન પહેરવા બદલ આ પ્રમાણે ઉઝર કરે છે કે હદીસ શરીફમાં તકબ્બુરની સૂરતમાં એ પ્રમાણે નીચું કપડું પહેરવાની મનાઈ આવેલી છે. અમો તકબ્બુરના કારણે નીચું કપડું નથી પહેરતા, હાલાંકે ફુકહાએ કિરામે મસ્અલાથી સંબંધિત બધી હદીસોને નજર સમક્ષ રાખી મુતલક મનાઈ ફરમાવી છે અને આ વિશે હઝરત મૌલાના મુફતી મુહમ્મદ તકી ઉસ્માની સાહેબે નીચે મુજબ વિસ્તૃત જવાબ આપ્યો છે, જે અત્રે ગુજરાતી ભાષામાં નકલ કરવામાં આવે છે. તેઓ પોતાની દર્સી તકરીરમાં ફરમાવે છે કે,

ઘૂંટીઓથી નીચે કપડું લટકાવવું ઘમંડની નિશાની છે :–

                મસ્અલાને લગતી બધી હદીસો અને બહસ નઝર સમક્ષ રાખ્યા પછી મારી સામે જે વાત વધારે રાજિહ માલૂમ પડે છે તે આ છે કે હકીકતમાં ઘૂંટીથી નીચે કપડું લટકાવવાની મનાઈ ઘમંડ આધારિત હોવાનો એ મતલબ નથી કે જયાં સુધી માણસને પોતાનામાં ઘમંડ હોવાનું યકીન ન થઈ જાય ત્યાં સુધી તે ઈઝાર ઘૂંટીથી નીચે સુધી લટકાવી શકે છે, બલ્કે ખરી પરિસ્થિતિ આ છે કે આ વાતમાં કોઈ સંદેહ નથી કે આ મનાઈનું મૂળ કારણ ઘમંડ જ છે, પરંતુ એનું ઘમંડનું માધ્યમ હોવું હિકમત રૂપે છે, ઈલ્લત રૂપે નથી. એટલે કે સામાન્ય રીતે ઘમંડના કારણે જ કપડું નીચું લટકાવવામાં આવે છે, એમ સમજો કે આ મનાઈનો મુખ્ય આધાર ઘમંડ ઉપર છે. પરંતુ ઘમંડ એક છૂપી વસ્તુ છે, એ વાતનું માલૂમ કરવું આસાન નથી કે ફલાણો માણસ ઘમંડના કારણે આ કામ કરે છે અને ફલાણો માણસ ઘમંડ વગર આ કામ કરે છે. આવા મોકા પર જયાં કામો નકકી ન થઈ શકતા હોય અને આસાનીથી ખબર ન પડે ત્યાં શરીઅતનો નિયમ આ હોય છે કે હુકમનો આધાર એવી વાતો પર રાખવાને બદલે કોઈ નિશ્ચિત નિશાનીને તેનો આધાર નકકી કરી લેવામાં આવે છે. જયારે તે નિશાની જોવા મળશે તો સમજાશે કે તેના મૂળભૂત આધારનું અસ્તિત્વ છે અને મૂળભૂત આધારના પરિણામે હુકમ લાગુ પડશે. દા.ત., સફરમાં નમાઝ કસરનો મૂળ આધાર તકલીફ છે, પરંતુ તકલીફની જાણકારી મેળવવી કે કયાં તકલીફ છે અને કયાં નથી, આ જાણકારી મેળવવી આસાન નથી અને તકલીફની મર્યાદા પણ નકકી થઈ શકતી નથી કે કેટલી તકલીફ નમાઝ કસરનું કારણ છે અને કેટલી તકલીફ કસરનું કારણ નથી. અને સફરમાં કોને તકલીફ થાય છે અને કોને નથી થતી, જયારે આ તકલીફ નકકી થઈ શકે એવી વસ્તુ ન હતી એટલે તકલીફને આધાર ઠરાવવાને બદલે તકલીફની નિશાની એટલે કે સફરને આધાર બનાવવામાં આવ્યો, માટે જયારે સફર થાય તો સમજી લેવું નમાઝની કસર કરવી વાજિબ છે.

                એવી જ રીતે આ મસ્અલામાં પણ નીચું કપડું પહેરવાની મનાઈનો આધાર ઘમંડ પર હતો, પરંતુ ઘમંડ એક છૂપી વસ્તુ છે, એ વાતની ખબર નથી પડતી કે ઘમંડ છે કે નહિ ? અને અમુક સમયે તો પોતે ઘમંડીને પણ ખબર નથી પડતી કે મારામાં ઘમંડ છે કે નહિ, માટે ઘમંડની નિશાની પર મનાઈનો આધાર રાખવામાં આવ્યો અને તે નિશાની છે ઘૂંટીથી નીચે લેંગો, પાટલૂન વગેરેનું હોવું, જયાં આ નિશાની જણાશે ત્યાં સમજાશે કે ઘમંડનું અસ્તિત્ત્વ છે.

કોઈ પોતાના ઘમંડી હોવાનો ઈકરાર નથી કરતું :–

                વળી આ બાબત બે વાતો યાદ રાખવી જોઈએ. એક વાત તો આ કે કોઈ માણસ ગમે તેટલો અને મોટામાં મોટો ઘમંડી હોય, શું તે કદી પોતાની જબાનથી એ વાતનો સ્વીકાર કરશે કે હું ઘમંડી છું, જો તે ઈકરાર કરે તો તે ઘમંડી જ નહિ કહેવાય, એવો જ માણસ ઘમંડ કરે છે જે પોતાના ઘમંડનો ઈકરાર નથી કરતો, આ વિગત પછી આવો હુકમ કે તકબ્બુર હોય તો નીચું કપડું મર્દ માટે નાજાઈઝ છે અને તકબ્બુર ન હોય તો એ અમલ જાઈઝ છે, એ વ્યર્થ અને બેફાયદા થઈ જશે.

હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની અમલી રીતભાત :–

                બીજી વાત આ છે કે અગર કોઈ વ્યકિત વિશે તકબ્બુર નાબૂદીનું યકીન કરી શકાય છે તો તેવી ફકત એક વ્યકિત છે એટલે કે હુઝૂર નબી કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ). બીજા કોઈ માણસ વિશે તેમાં તકબ્બુર ન હોવાનું યકીન નથી થઈ શકતું, એનો મતલબ એ થયો કે હુઝૂર અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) માટે તો ઘૂંટીઓથી નીચો લેંગો, પાટલૂન પહેરવો જાઈઝ હોવો જોઈતો હતો, પરંતુ (વિચાર કરો કે) ઘૂંટીઓથી ઊંચી ઈઝાર (લુંગી) રાખવાની સૌથી વધુ પાબંદી હુઝૂર અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવી છે. માટે જો આ મનાઈનો આધાર ઘમંડ પર હોત અને ઘમંડ ન હોવાની સૂરતમાં આ અમલ જાઈઝ હોય તો હુઝૂર અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એનું જાઈઝ હોવું બતાવવા માટે પોતાની પૂરી જીંદગીમાં કમ સે કમ એકવાર તો એ પ્રમાણે અમલ કરી બતાવત. પરંતુ પૂરી ઉંમરમાં એકવાર પણ ઘૂંટીથી નીચું કપડું પહેરવું આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી સાબિત નથી, આ વિગતથી માલૂમ પડયું કે હદીસમાં (નીચું કપડું પહેરવા બાબત) તકબ્બુરનું વર્ણન હિકમતરૂપે આવેલું છે, ઈલ્લતરૂપે નથી આવેલું અને હુકમનો આધાર ઈલ્લત પર હોય છે, હિકમત પર નથી હોતો.         (‘દર્સે તિરમિઝી ભા–પ/૩૪૦,૩૪૧)

                સામાન્ય મુસ્લિમ ભાઈઓએ અને ખાસ કરી હાફિઝ સાહેબોએ જેઓના સીનામાં પૂરું કુર્આન કરીમ અને તેમાં મવજૂદ ઈસરાફની વઈદની આયતો અને ”ખુઝૂ મા આતાકુમુર્ર–રસૂલુ વમા નહાકુમ્‌ અન્હુ ફન્તહુ”ની આયત જેમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઈત્તિબાઅ અને ઈતાઅતનો હુકમ છે બધાએ જ આ આયતો અને ઉકત હદીસો પર નજર કરી ગેર શરઈ લિબાસથી બચવાની પૂરી કોશિષ કરવી જોઈએ.

Log in or Register to save this content for later.