Chapter : નમાઝ
(Page : 325)
સવાલ :– માહે સપ્ટેમ્બરના ‘દારુલ ઉલૂમ અંકના ફતાવા વિભાગમાં એક સવાલના જવાબમાં ઈમામતનો અર્થ બતાવતાં લખવામાં આવ્યું છે કે,
“કોઈ મુકતદીની નમાઝનું દસ શર્તોની રિઆયત સાથે ઈમામની નમાઝ સાથે જોડાણ થઈ જવું અને સંકળાય જવું”.
તો દસ શર્તો શું છે ? તે લખી જણાવશો.
જવાબ : ઈમામત અને ઈક્તિદાના દુરૂસ્ત અસ્તિત્વ અને સહીહ વુજૂદ માટે મુકતદીએ જે દસ શર્તોની રિઆયત કરી ઈક્તિદા કરવી જરૂરી છે. તે નીચે મુજબ છે :–
(૧) મુકતદીએ ઈમામની ઈક્તિદાની નિય્યત કરવી કે હું આ ઈમામની પાછળ અથવા આ ઈમામની તાબેદારીમાં નમાઝ પઢું છું.
(ર) ઈમામ અને મુકતદી બંનેની જગ્યાનું એક હોવું એટલે કે બંનેની નમાઝની જગ્યા વચ્ચે કોઈ એવું અંતર ન હોવું કે જેના લઈ ઈક્તિદા દુરૂસ્ત ન થાય, જેમ કે બંનેની જગ્યા વચ્ચે એવો રસ્તો હોય જેમાં ગાડુ કે મોટર જઈ શકે અથવા એવી નહેર હોય જેમાં નાવડી ચાલી શકે.
(૩) બંનેની નમાઝનું એક હોવું અથવા ઈમામની નમાઝનું ફર્ઝ અને મુકતદીની નમાઝનું નફલ હોવું.
(૪) ઈમામની નમાઝનું દુરૂસ્ત હોવું.
(પ) કોઈ શાદી લાયક ઉમરવાળી ઓરતનું મર્દ મુકતદીની નમાઝમાં શરીક થઈ કોઈ આડ વગર તેની સાથોસાથ અથવા તેની આગળ ન હોવું.
(૬) નમાઝમાં મુકતદીની એડીનું ઈમામની એડીથી આગળ ન હોવું.
(૭) ઈમામની અથવા મુકબ્બિરનો અવાજ સાંભળીને અથવા ઈમામને કે કોઈ મુકતદીને જોઈને ઈમામની નમાઝની ઈનતિકાલી હરકતો (રુકૂઅ, કૌમહ, સજદહ, જલ્સા, કયામ કુઉદની હરકતો)ની મુકતદીને જાણ થવી.
(૮) અગર ઈમામ શહેર કે ગામડામાં ચાર રકાત વાળી નમાઝને બે રકાત પઢાવે તો નમાઝથી ફારિગ થવા પહેલાં અથવા તે પછી ઈમામના મુકીમ કે મુસાફિર હોવાની મુકતદીને જાણ થવી.
(૯) નમાઝના રુકનોની અદાયગીમાં મુકતદીનું ઈમામ સાથે શરીક થવું.
(૧૦) નમાઝના રુકનો અને શર્તોની અદાયગીમાં મુકતદીનું ઈમામના સમાન હોવું અથવા તેનાથી ઘટીને હોવું.
તંદુરસ્ત અને ગેર મઅઝૂર મર્દોની ઈમામત માટે ઈમામમાં પણ છ શર્તોની રિઆયત જરૂરી છે :–
(૧) ઈમામનું મુસલમાન હોવું.
(ર) બાલિગ હોવુ.
(૩) બુદ્ધિમાન હોવું, પાગલ ન હોવું.
(૪) મર્દ હોવું.
(પ) કુર્આન પઢી શકવું.
(૬) ફિકહી મઅઝૂરના ઉઝરોથી મહફૂઝ હોવું.
(‘શામી ૧/૩૭૦)
Log in or Register to save this content for later.