[ર૯પ] ફાતિહા પછી સૂરત પહેલાં બિસ્મિલ્લાહ

Chapter : નમાઝ

(Page : 322)

સવાલ :– નમાઝ પઢતી વેળાએ સૂરએ ફાતિહા પછી સૂરત મેળવતી વખતે બિસ્મિલ્લાહ પઢી સૂરત પઢવી કે પછી બિસ્મિલ્લાહ પઢયા વિના સૂરત મેળવવી?

                થોડા સમય પહેલાં એક કિતાબમાં પઢવામાં આવેલું કે સૂરએ ફાતિહા પઢી પૂરી બિસ્મિલ્લાહ પઢી સૂરત મેળવવી?

                હાલમાં એક કિતાબમાં પઢતાં જાણવા મળ્યું કે સૂરએ ફાતિહા પહેલાં પૂરી બિસ્મિલ્લાહ પઢવી, પણ સૂરએ ફાતિહા પછી બિસ્મિલ્લાહ પઢવાની કોઈ સાબિતી નથી, જેથી સૂરએ ફાતિહા પઢી તૂરત જ સૂરત મેળવવી, બિસ્મિલ્લાહ પઢવાની કોઈ જરૂર નથી. આપ મોહતરમ ઉપરોકત કૂટ પ્રશ્નોના ઉકેલ કિતાબોની રોશનીમાં આપી નમાઝોને મુકમ્મલ અદા કરવામાં સહાયરૂપ થશો.

જવાબ :– નમાઝમાં સૂરએ ફાતિહા પછી કોઈ સૂરત પઢે તો સૂરત પહેલાં બિસ્મિલ્લાહ પઢવા બાબત ઈમામો (રહ.)ના વિવિધ મંતવ્યો છે. શૈખૈન (રહ.)નું મંતવ્ય છે કે બીજી સૂરત પહેલાં બિસ્મિલ્લાહ પઢવી મસ્નૂન નથી. ઈમામ મુહંમદ (રહ.) કહે છે કે આહિસ્તા કિરાઅતવાળી નમાજમાં ફાતિહા પછી બીજી સૂરતની શરૂમાં બિસ્મિલ્લાહ પઢવું અફઝલ છે. પરંતુ કોઈ ઈમામે બીજી સૂરતની શરૂમાં બિસ્મિલ્લાહ પઢવાને મકરૂહ કહયુ નથી. માટે ઈમામ મુહમંદ (રહ.)ના મંતવ્ય મુજબ અમલ કરવામાં આવે તો પણ નમાઝમાં કોઈ નુકસાન નહિ થાય અને શૈખૈન (રહ.)ના મંતવ્ય મુજબ ન પઢે તો પણ નમાઝમાં કોઈ નુકસાન નહિ થાય.                              (શામી :૧ /૩ર૯, મ.કુર્આન :૧/૭૭)

Log in or Register to save this content for later.