Chapter : નવાફિલ
(Page : 70-71-72)
સવાલ :– હાલમાં મેં જે છોકરી જોઈ છે તે મને પસંદ છે, પરંતુ તેનું નામ મારી બહેનના નામ જેવું જ છે એટલે કે બન્નેવનું નામ રૂકશાના છે. એટલે મને દિલમાં જરા ખટકો લાગે છે અને ઘણી મુંઝવણમાં મુકાઈ ગયો છું તો આપ મને જણાવશો કે મારે શું કરવું ? નામ બદલી કાઢવું ?
વધુમાં ઈસ્તિખારહની નમાઝની રીત બતાવશો. આ નમાઝ કેટલા દિવસ સુધી પઢવી અને તે માટે રાખવી પડતી પાબંદી તથા સદર છોકરી સાથે શાદી કરૂં કે નહિ ? તે જાણવા માટે પઢી શકાય છે ?
જવાબ :– પોતે જે છોકરી સાથે શાદી કરવા ચાહો છો તે છોકરીનું નામ અને તમારી બહેનનું નામ એક હોય તેમાં ખટકો અનુભવવાની જરૂરત નથી અને નામ બદલવાની પણ જરૂરત નથી. એ કોઈ વાંધાજનક વાત નથી. (આલમ, ભાગ–પ)
ઈસ્તિખારહની નમાઝનો તરીકો આ પ્રમાણે છે કે રાત્રે ઈશાની નમાઝ બાદ સૂતા પહેલાં વુઝૂ કરીને ઈસ્તિખારહની નિય્યતથી બે રકઅત નફલ નમાઝ પઢે. પહેલી રકઅતમાં ‘‘અલ્હમ્દુ પછી ‘‘કુલ યા અય્યુહલ કાફિરૂનની સૂરત પઢવી અને બીજી રકઅતમાં ‘‘અલ્હમ્દુ પછી ‘‘કુલ હુવલ્લાહુ અહદની સૂરત પઢવી મુસ્તહબ છે. નમાઝથી ફારિગ થઈને ખૂબ દિલ લગાવીને અલ્લાહ તઆલાની હમ્દ અને વખાણની દુઆઓ પઢે પછી દુરૂદ શરીફ પઢે અને પછી આ પ્રમાણે દુઆ માંગે કે ‘‘હે અલ્લાહ ! હું તારી સિફતે ઈલ્મની મદદથી તારાથી ભલાઈ માંગુ છું અને તારી સિફતે કુદરતની મદદથી તારાથી શકિત તલબ કરૂં છું અને તારા ફઝલે અઝીમનો તારાથી સવાલ કરૂં છું. બેશક, તુ જ કુદરતવાળો છે અને હું અશકત અને કમઝોર છું અને તુ જ જાણકાર છે અને હું અજાણ છું અને તુ જ ગૈબની વાતોને જાણનાર છે અને તુ આ ઓરત સાથે શાદીના મામલાને મારા માટે દીન–દુનિયા અને આખિરત દરેક રીતે બેહતર જાણે છે, તો તુ મારા માટે એ કામનો ફેસલો ફરમાવ અને મારા માટે આસાન ફરમાવી દે અને પછી તેમાં બરકત અતા ફરમાવ અને જો તુ આ ઓરત સાથે શાદીના મામલાને દીન–દુનિયા અને આખિરત કોઈ પણ રીતે મારા માટે નુકસાનકર્તા અને ખરાબ જાણે છે, તો તું એ શાદીને મારાથી દૂર ફરમાવ અને મને એ શાદીથી દૂર ફરમાવી દે, અને જ્યાં પણ મારા માટે ભલાઈ હોય તેનો ફેસલો ફરમાવ અને પછી મને તેનાથી ખુશ ફરમાવી દે. આ પછી ફરી અલ્લાહ તઆલાની હમ્દ અને દુરૂદ શરીફ પઢીને આ દુઆ કરવામાં આવે અને તે પછી સારા પાક બિસ્તર પર વુઝૂની હાલતમાં કિબ્લા તરફ મોઢું કરીને જમણી કરવટ પર સૂઈ જવું જોઈએ.
સવારમાં ઉઠીને મજકૂર ઓરતથી શાદી કરવા ન કરવા વિશે જે વાત નક્કર રીતે દિલમાં આવે તે જ બેહતર છે અને તે જ પ્રમાણે કરવું જોઈએ, એવી જ રીતે જો રાત્રે ખ્વાબમાં કોઈ સફેદ અથવા લીલા રંગની વસ્તુ જાુએ તો મજકૂર શાદીને બેહતર સમજવી જોઈએ અને જો કાળા અથવા તો લાલ રંગની કોઈ વસ્તુ જુએ તો મજકૂર શાદીને નુકસાનકર્તા સમજવી જોઈએ અને તેનાથી બચવું જોઈએ. જો એક દિવસ ઈસ્તિખારહ કરવાથી કંઈ માલૂમ ન પડે અને દિલનો ડગમગો દૂર ન થાય તો બીજા દિવસે પણ એ જ પ્રમાણે ઈસ્તિખારહ કરવામાં આવે, બીજા દિવસે પણ સફળતા ન મળે તો લગાતાર સાત–દિવસ સુધી આ જ પ્રમાણે કરવામાં આવે, ઈન્શા અલ્લાહ સારૂ–નરસું જે કંઈ હશે તે માલુમ પડી જશે. (શામી, ભાગ–૧/૪૬૧)
Log in or Register to save this content for later.