[૮૩] કુરબાનીથી પહેલાં માથું મૂંડાવનાર પર દમ

Chapter : હજ

(Page : 117-118)

સવાલ :– શું કુરબાનીના દિવસોમાં તમત્તુઅ હજની કુરબાની ન અદા કરવાથી અને હજની કુરબાની પહેલાં માથું મૂંડાવીને એહરામથી હલાલ થઈ જવાથી અને હજની કુરબાની મોડી અદા કરવાથી મજકૂર હાજી ઉપર  કોઈ દમ આપવો વાજિબ થશે કે નહિ? જો દમ વાજિબ થાય તો કેટલા દમ વાજિબ થશે? મજકૂર દમ કયાં અદા કરવા પડશે? શું આ દમ હાજી પોતાના વતનમાં અથવા હરમ સિવાય બીજા કોઈ સ્થળે ઝબહ કરી શકે કે નહિ? અને ભૂલના દમનો (કુરબાનીનો) ગોશ્ત માલિક પોતે અથવા કોઈ માલદાર માણસ ખાય શકે કે નહિ? મજકૂર હાલત ઘણા હાજીઓને પેશ આવી છે, એટલે વિગતથી જવાબ આપશો.

જવાબ :– હઝરત ઈમામ અબૂ હનીફહ (રહ.)ના અમલ માન્ય અને ફતવા પાત્ર મંતવ્ય મુજબ તમત્તુઅ હજ કરનાર હાજી માટે હજની કુરબાની અને માથું મૂંડાવવામાં તરતીબ વાજિબ હોવાથી અને કુરબાનીના દિવસોમાં કુરબાની વાજિબ હોવાથી, ચાહે તે ઈરાદા પૂર્વક અથવા ભૂલથી અથવા અન્ય કોઈ ઉઝરથી કુરબાની પહેલાં માથું મૂંડાવે તો તેણે દમ આપવો પડશે અને અમુક કિતાબો જેમકે મુઅલ્લિમુલ હુજજાજ પેજ – ર૧૪માં અને અહકામે હજ– ૭૬માં (કૃત : હઝ. મવ. મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ રહ.) લખેલા મસ્અલહ મુજબ તેણે કુરબાની પહેલાં હલાલ થવાથી અને કુરબાની મોડી ઝબહ કરવાથી માત્ર એક જ દમ આપવો પડશે અને અમુક કિતાબો જેમ કે ઝુબ્દતુલ મનાસિક – ર/૭માં અને ગુન્યતુન્નાસિક–૧૧રમાં લખેલા મસ્અલહ મુજબ તેણે હજની કુરબાની ઉપરાંત બીજા બે દમ આપવા પડશે. એક દમ કુરબાનીથી પહેલાં માથું મૂંડાવી હલાલ થવાનો અને બીજો દમ કુરબાનીના દિવસો પછી હજની કુરબાની મોડી ઝબહ કરવાનો. પરંતુ એક જ દમ વાજિબ થવાનું મંતવ્ય અમલ પાત્ર છે. (ઉમ. ફિકહ–૪/પ૪૬,૬પ૩)

                હઝરાતે સાહિબૈન (રહ.)ના મંતવ્ય મુજબ તમત્તુઅ કરનાર હાજી માટે કુરબાની અને માથું મૂંડાવવામાં તરતીબ સુન્‍નત હોવાથી અને કુરબાનીના દિવસોમાં હજની કુરબાની ઝબહ કરવી પણ સુન્‍નત હોવાથી હજની કુરબાની સિવાય અન્ય કોઈ દમ આપવો વાજિબ નથી. (બહર – ૩/૭ર)

                પૂછેલી સૂરતમાં હાજીએ પોતાની હજના અમલો તરતીબથી અદા કરવામાં કોઈ કોતાહી કરી નથી, બલ્કે કુરબાનીના વકીલની કોતાહીના કારણે તેના અમલોમાં તરતીબ છૂટવા પામી છે, એટલે આવા હાજી માટે હઝરાતે સાહિબૈન (રહ.)ના મંતવ્ય મુજબ અમલ કરવાની અને હજની કુરબાની સિવાય કોઈ દમ ન આપવાની ગુંજાઈશ છે.       (બહસો નઝર – જિઃ ૮,અંક–૩ર, જિ–૯,અંક ૩૩/૩૪)

                જો કોઈ હાજી પૂછેલી સૂરતમાં દમ ન આપવાની ગુંજાઈશ હોવા છતાં હઝ. ઈમામ સાહેબ (રહ.)ના મંતવ્ય મુજબ એહતિયાત રૂપે દમ આપવા ચાહે તો તે દમ પણ હજની કુરબાનીના જેમ હુદૂદે હરમમાં જ આપવો જરૂરી છે, મજકૂર દમ પણ હરમથી બહાર બીજી કોઈ જગ્યાએ ઝબહ કરવો જાઈઝ નથી અને આ દમની કુરબાનીનો ગોશ્ત હાજીએ પોતે અથવા માલદાર માણસોએ ખાવો જાઈઝ નથી, તેને માત્ર ગરીબો જ ખાઈ શકે છે.                            (શામી–ર)

Log in or Register to save this content for later.