[પ૦] હજમાં જતાં અને આવતા પૂરા સફરમાં ઔરત સાથે મહરમનું હોવું જરૂરી છે

Chapter : હજ

(Page : 87-88)

સવાલ :– અમારા જાણવામાં આવ્યું છે કે હજ માટે જો ર૦ કલાકની મુસાફરી દરમ્યાન ગેર મહરમ સાથે ત્યાં પહોંચી શકાય અને ત્યાં પોતાના મહરમ સાથે હજ પઢવાની હોય તો જઈ શકાય છે, એટલે જવા માટે ઈચ્છુક ઓરત પોતાની દીકરી અને દીકરીના સસરા સાથે જવા માંગે છે અને ત્યાં પોતાના જમાઈ સાથે હજ પઢવાની છે તો જઈ શકાય છે કે કેમ?

જવાબ :– ઓરતની હજ માટે ફકત હજની અદાયગીના સમય પુરતું જ મહરમ અથવા શોહરનું ઓરત સાથે હોવું મર્યાદિત નથી, બલ્કે જતાં આવતાં એટલે કે ઓરતના પોતાના સ્થળેથી રવાના થઈ સ્થળ પર પાછા ફરતા સુધી મહરમ અથવા શોહરનું સાથે હોવું જરૂરી છે.

                ઔરતના સફરમાં મહરમ કે શોહરના સાથે હોવા બાબત ત્રણ રાત દિવસ પગપાળા મુસાફરીથી અથવા મધ્યમ ગતિએ ઊંટની મુસાફરીથી ભુમિમાર્ગના જેટલા અંતર અને દૂરીનો સફર થઈ શકતો હોય, ભૂમિ માર્ગમાં તે અંતર અને દૂરનો એઅતિબાર છે અને જળ માર્ગમાં વહાણની મધ્યમ ગતિથી ત્રણ રાત દિવસમાં જેટલા અંતરની મુસાફરી થઈ શકે તેટલા અંતરનો એઅતિબાર છે. ફુકહાએ કિરામ (રહ.) એ ભૂમિ માર્ગનું મજકૂર અંતર ૪૮ માઈલ અંગ્રેજી એટલે કે લગભગ ૭૮ કિલોમીટર નક્કી કર્યું છે. ચાહે આ અંતર રેલ્વે કે મોટર જેવા ઝડપી વાહન દ્વારા મુસાફરી કરતા હોવાથી કલાક કે અડધા કલાકમાં પસાર થઈ જાય.

                અને જો કોઈ વિમાન માર્ગે મુસાફરી  કરે તો વિમાન માર્ગનો નીચેનો વિસ્તાર જોવામાં આવશે. જો નીચે ભૂમિ વિસ્તાર છે તો ભૂમિમાર્ગના અંતરનો એઅતિબાર કરી અને જો જળ વિસ્તાર છે તો જળ માર્ગના અંતરનો એઅતિબાર કરી સફરે શરઈ નક્કી કરવામાં આવશે. સમયનો એઅતિબાર નહિ કરવામાં આવે કે યાત્રીએ કેટલો સમય મુસાફરી કરવાની છે, જાહેર વાત છે કે વિમાન મુંબઈથી જિદ્દહ જતાં હજારો કિલો મીટરના ભૂમિ અને જળ વિસ્તાર ઉપરથી પસાર થાય છે અને હજ પઢવા જનાર ઔરત પોતાના વતનથી મુંબઈ અને જિદ્દહથી મક્કહ મુકર્રમહ સુધીની મુસાફરી પણ કરે છે, માટે આોરતનું મુસાફિરે શરઈ હોવું નિશ્ચિત છે અને વિમાનમાં પણ મહરમ કે શોહરનું સાથે હોવું જરૂરી છે. (ઈ.ફતાવા – ૧/પ૯૧, આલાતે જદીદહ : ૧૯૩)

Log in or Register to save this content for later.