[ર૧ર] એકલા નમાઝી માટે અઝાન–ઈકામત અને જોરથી કિરાઅત

Chapter : નમાઝ

(Page : 254)

સવાલ :– અમારા ગામમાં એક મોલ્વી સા. છે, જેમનાથી અમુક વાતો એવી જોવા મળે છે જે આજ સુધી જોવા મળી નથી.

(૧) તે એમ કહે છે કે મારી કોઈ પણ ઈમામ પાછળ નમાઝ થતી નથી, તે છતાં એ જુમ્‍અહની નમાઝ અમારી જુમ્‍અહ મસ્જિદનાં ઈમામ પાછળ પઢે છે અને બીજી નમાઝો એમની પાછળ પણ પઢતા નથી, તો શું આ માણસની નમાઝે જુમ્‍અહ થશે કે કેમ?

(ર) ત્યાર બાદ અમુક દિવસો અસર અને મગરિબની નમાઝ આ જ ઈમામ પાછળ પઢતા હતા અને હવે અસર–મગરિબમાં કાયમના માટે અને બીજી નમાઝોમાં કોઈક વખતે જમાઅત થઈ ગયા પછી આવે છે અને જમાઅતથી નમાઝ પઢવાના જેમ બુલંદ આવાઝે તકબીર કહે છે અને જહરી નમાઝમાં કિરાઅત પણ બુલંદ આવાઝે પઢે છે, તો શું આ પ્રમાણે એકલા જમાઅત કરવી ઈમામ અબૂ હનીફા (રહ.)ના મસલક પ્રમાણે જાઈઝ છે?

જવાબ :– કોઈ શરીઅત માન્ય ઉઝર–કારણ વગર જમાઅત છોડવી અને તેને આદત બનાવી લેવી નાજાઈઝ અને ગુનાહનું કામ છે. હદીસ શરીફમાં જમાઅતથી નમાઝ પઢવાની ઘણી તાકીદ અને ફઝીલત આવેલી છે અને વિના કારણે જમાઅત છોડવાની સખત વઈદ આવેલી છે.

                હઝરત રસૂલુલ્લાહ (સલ.)નું ફરમાન છે કે જમાઅત હિદાયતની સુન્નતોમાંથી છે. જમાઅતથી માત્ર મુનાફિક જ પાછળ રહે છે.  (હિદાયહ અવ્વલૈન)

                મસ્જિદમાં જમાઅત થઈ ગયા બાદ આવનાર માણસે પોતાની નમાઝ મસ્જિદમાં અઝાન અને ઈકામત વગર પઢવી જોઈએ, તેના માટે ઈકામત કહેવી મુસ્તહબ નથી, બલ્કે મકરૂહ છે. હા, પોતાના ઘર ઉપર તે એકલો અથવા જમાઅતથી નમાઝ પઢે તો તેના માટે ઈકામત કહેવી મુસ્તહબ છે. (બહર : ર૬પ/૧)

                અને એકલો જહરી (જોરથી કિરાઅતવાળી) અદા નમાઝ પઢનાર માણસ થોડા પ્રમાણમાં કિરાઅત જોરથી પઢી શકે છે, બલ્કે થોડા આવાઝથી કિરાઅત પઢવી તેના માટે અફઝલ છે, પરંતુ તેણે નમાઝના અંદરની તકબીરો જોરથી ન કહેવી જોઈએ, તે મકરૂહ છે અને ફક્ત કિરાઅત થોડા જોરથી પઢવાથી તેને જમાઅતની નમાઝ નહિ કહેવાય, તે એકલા માણસની નમાઝ જ કહેવાશે      (શામી, ભાગ–૧/૩૧૯–૩પ૮)

Log in or Register to save this content for later.