[ર૦૩] બચ્ચાના કાનમાં અઝાન અને ઈકામત

Chapter : નમાઝ

(Page : 246-247-248)

સવાલ :– નવજાત બાળકના કાનમાં અઝાન કેવી રીતે આપવી, એક જ કાનમાં પૂરી અઝાન આપવી અથવા બંને કાનોમાં થોડી થોડી આપવી ? એક અથવા બંને કાનોમાં અઝાન આપવાનો સહીહ તરીકો બતાવશો અને અઝાન પછી બાળકના કાનમાં તકબીર પઢવાની કે નહિ ? તેનો પણ સહીહ તરીકો બતાવશો અને બીજી શું કાર્યવાહી કરવી જોઈએ ?

                કેટલાક લોકોનું કહેવું છે કે, અઝાન પછી બાળકના કાનમાં કલિમહ પઢવો જોઈએ અને કેટલાક લોકોનું કહેવું છે કે દુરૂદ શરીફ પઢવું જોઈએ, તો સહીહ શું છે ?

જવાબ :– બચ્ચું જ્યારે પેદા થાય તો તેની નાળ કાપીને તેને ગુસલ આપવામાં આવે અને પાક–સાફ કપડું પહેરાવવા કે ઓઢાડવામાં આવે અને તે કપડું પીળા રંગનું ન હોવું જોઈએ, તે પછી કોઈ પુરુષ તે બાળકને પોતાના બંને હાથોમાં ઉઠાવીને કિબલારૂખ ઊભો રહે અને પ્રથમ તેના જમણા કાનમાં ફર્ઝ નમાઝની અઝાનની જેમ ધીમેથી એક એક કલિમહ પર રોકાયને પૂરી અઝાન આપે અને બે વાર હય્ય અલસ્સલાહ પઢતી વખતે જમણી બાજુ અને બે વાર હય્ય અલલ ફલાહ પઢતી વખતે ડાબી બાજુ પોતાનું મોઢું પણ ફેરવે. આ અઝાન પછી દુરૂદ શરીફ પઢીને અઝાનની દુઆ પઢવી મુસ્તહબ છે.                      (‘શામી ૧/ર૬૬)

                બચ્ચાના જમણા કાનમાં પૂરી અઝાન આપીને દુઆ પઢયા પછી તેના ડાબા કાનમાં ફર્ઝ નમાઝની ઈકામતની જેમ દર બે કલિમાતને મિલાવી જલદી જલદી ઈકામત (તકબીર) પઢે અને ઈકામતથી ફારિગ થઈને તેના કાનમાં આ દુઆ પઢે :

‘અલ્લા હુમ્મ ઈન્ની ઉઈઝુહા બિક વઝુર્રિય્યતહા મિનશ્શય્તાનિર્રજીમ.

                અઝાન–ઈકામત પછી આ દુઆ પઢવી મુસ્તહબ છે.

(‘મિરકાત ૮/૧૬૦)

                ઉપરની દુઆ સાથે આ દુઆ પઢીને બચ્ચાને દમ કરવો પણ અફઝલ છે.

‘ઉઈઝુક બિકલિમાતિલ્લાહિત્‌ તામ્મતિ મિન્‌ શર્રિ કુલ્લિ શય્તાનિન્‌ વ હામ્મતિન્‌ વ મિન્‌ કુલ્લિ અય્‌નિન્‌ લામ્મતિન્‌.

[હું તને અલ્લાહ તઆલાના કામિલ અને બેઐબ કલિમાતની પનાહ આપું છું દરેક શયતાનની શરારતથી અને દરેક ઝેરીલા પ્રાણીની બુરાઈથી અને દરેક અસર કરનારી આંખથી (નઝરે બદથી)]

                હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)થી હદીસ મનકૂલ છે કે,

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) મજકૂર દુઆ પઢીને હઝરત હસન અને હુસૈન (રદિ.)ને (અલ્લાહ તઆલાની) પનાહ આપતા હતા અને ફરમાવતા હતા કે, હઝરત ઈબ્રાહીમ (અલૈ.) આ પ્રમાણે દુઆ પઢીને હઝરત ઈસ્હાક અને હઝરત ઈસ્માઈલ (અલૈ.)ને પનાહ આપતા હતા.                  (‘તિરમિઝી શરીફ ર/ર૬, ‘બુખારી શરીફ ૧/૪૭૭)

                બચ્ચાના કાનોમાં ઉપર પ્રમાણે અઝાન–ઈકામત પઢયા પછી ખાસ તે સમયે દુરૂદ શરીફ પઢવાનું હદીસ અને ફિકહની કોઈ કિતાબમાં સ્પષ્ટ વર્ણન નથી. પરંતુ મજકૂર બંને દુઆઓથી પહેલાં દુરૂદ શરીફ પઢવામાં કોઈ વાંધો નથી.  બલ્કે બેહતર છે, કારણકે દુઆથી પહેલાં દુરૂદ શરીફ પઢવું મતલૂબ અને મુનાસિબ છે.

                મજકૂર અઝાન પછી કલિમહ પઢવાનો કોઈ સુબૂત નથી અને અઝાન તથા ઈકામતના કલિમાતમાં મશહૂર કલિમએ તય્યિબહના બંને ભાગ એટલે કે તવહીદ અને રિસાલતનું વર્ણન અને કલિમએ શહાદત મવજૂદ છે. માટે અઝાન પછી બીજી વાર તેને દોહરાવવાની જરૂરત નથી. અલબત્ત, ‘રઝીન’ની એક રિવાયતમાં છે કે, ‘કુલ હુવલ્લાહુ અહદની સૂરત પણ પઢવામાં આવે.                       (‘રિસાલએ અકીકહ ૧૪)

                બચ્ચાની વિલાદત વખતે અઝાન–ઈકામત અને દુઆ પછી કોઈ નેક માણસથી “તહનીક” કરાવવી મસનૂન છે. એટલે કે કોઈ નેક માણસ પોતાના મોઢામાં ખજૂર અથવા ખારેક ચાવીને આંગળીથી બચ્ચાના તાળવા ઉપર લગાવી આપે અને જો ખજૂર અથવા ખારેક ન હોય તો પોતાની આંગળી થુંકવાળી કરીને તેના ઉપર મધ લઈને અથવા પ્રથમ આંગળી ઉપર મધ લઈને પોતે થોડું ચાટીને બચ્ચાના તાળવા ઉપર લગાડી આપે, જો મધ પણ ન હોય તો કોઈ બીજી મીઠી વસ્તુથી ઉપર મુજબ તહનીક કરે.                            (‘રિસાલએ અકીકહ)

Log in or Register to save this content for later.