Chapter : નિકાહ
(Page : 55-56-57-58)
સવાલઃ– સવાલ પહેલા તેના આધારિત મુદ્દાઓ અને હકીકતોનું વર્ણન કરું છું જેથી જવાબમાં સહૂલત રહે.
(૧) છોકરીનું નામ ઝહીરા છે, છોકરાનું નામ અબ્દુલ્લાહ છે, બન્ને હનફી મુસલમાનો છે.
(ર) છોકરા તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેણે તાઃ પ–પ–૭૯ના રોજ આ છોકરી ઝહીરાબેન સાથે નિકાહ કર્યા છે, છોકરીનું એમ કહેવું છે કે તેણીએ કોઈ નિકાહ છોકરા જોડે કર્યા નથી.
(૩) અપીલ કોર્ટમાં આ કેસનો ચુકાદો આપતા બિન મુસ્લિમ જજ સાહેબે હનફી મુસ્લિમ કાનૂનના આધાર ઉપર એવો ચુકાદો આપ્યો છે કે મુસ્લિમ કાનૂન મુજબ શાદી થઈ નથી.
(૪) એ કેસમાં છોકરી તર્ફેના વકીલ મુસલમાન હતા. કોર્ટમાં નિકાહનામુ રજુ થયું હતું, પરંતુ નીચેની હકીકતો બન્ને પક્ષકારોએ કબૂલ રાખી છે.
(અ) તાઃ પ–પ–૧૯૭૯ના રોજ છોકરીની ઉમર ૧૬ વર્ષ ૮ માસ અને ૧૮ દિવસ હતી, છોકરી સગીર હતી, છોકરીનું એમ કહેવું છે કે તેણીને તેના ગામેથી ઉઠાવી લઈ જઈ ૧પ કિ.મી. દૂરના બીજા ગામે લઈ જવામાં આવી હતી. તેણીની મરજી વિરૂધ્ધ તેણીની અર્ધ બેહોશીની હાલતમાં એક બે ઠેકાણે સહી લેવામાં આવી હતી, તેણીને પોતાનો નિકાહ થયો છે કે કેમ તેની ખબર નથી.
(બ) છોકરા તરફથી નિકાહ કરવા માટે જે ગવાહો રજુ કરવામાં આવ્યા હતા તેમના પુરાવામાંથી કબૂલ કર્યા મુજબ નીચેની હકીકતો હનફી લો કાનૂન મુજબ સાબિત થયેલ છે.
(૧) શાદીની દરખાસ્ત (ઈજાબ) કોઈ પણ પક્ષકાર તરફથી કરવામાં આવેલ નથી.
(ર) શાદીની કબૂલાત (કબૂલ) છોકરી તરફથી કરવામાં આવી નથી.
(૩) છોકરી તર્ફે કોઈ વિલાયત અને વડીલ કે કોઈપણ સગા હાજર ન હતા.
(૪) છોકરીના વકીલ પોતાની ગવાહીમાં એવું કહેતા નથી કે તેમણે છોકરીની સંમતિ શાદી માટે લીધી હતી બલ્કે ગવાહીમાં એ વાત સાફ છે કે વકીલે નિકાહ માટે છોકરીની કોઈ સંમતિ લીધી નથી.
(પ) ગવાહીમાં એ વાત પણ સાફ જાહેર થાય છે અને વકીલે પણ કરેલ છે કે વકીલ તરીકે તેમની નિમણૂક છોકરીએ કે છોકરીના કોઈપણ સગા વહાલાએ કરેલ નથી.
(૬) મજલિસે વાહિદમાં શાદી વખતે છોકરી પક્ષ તરફથી કોઈપણ પ્રતિનિધિ હાજર નથી. શાદી વખતે છોકરીને અર્ધ બેહોશ કરવા માટે કોઈ દવા સુંગાડી છે તેવો છોકરીનો આક્ષેપ છે.
(૭) છોકરીએ બે – ત્રણ દિવસ બાદ જ એ હકીકત જાહેર કરી છે કે તેણીની શાદી આ છોકરા સાથે થઈ નથી અને તેણીને કોઈ દવા સુંગાડી તેણીની ઈચ્છા વિરૂધ્ધ કોઈ ગેર કાયદેસર કાગળો ઉપર સહી લેવામાં આવી છે.
(૮) છોકરી અને છોકરો એક પણ દિવસ કે રાત પતિ–પત્નિ તરીકે સાથે રહયા નથી કે તેમનો કોઈ શારિરિક સંબંધ કહેવાતા નિકાહનામા બાદ બંધાયેલ નથી.
(૯) છોકરાએ પોતે તેની સામે આ છોકરીને ગેર કાયદેસર રીતે ભગાડી ગયો છે અને લગ્ન કરવાના બદ ઈરાદે તેને ઉપાડી ગયો છે તેવો કેસ ફોઝદારી સેસન્સ કોર્ટમાં ચાલ્યો ત્યારે છોકરાએ એવો બચાવ રજુ કરેલ છે કે તેણે છોકરી જોડે કોઈ શાદી કરી નથી. આ ફોઝદારી કેસ દીવાની કેસ પહેલા ચાલેલ. છોકરાનો પહેલો કોર્ટમાં જવાબ થયો તેમાં છોકરાએ શાદી આ છોકરી સાથે થઈ નથી તેવું જણાવેલ છે.
ઉપલી હકીકતોના આધારે સવાલ એવો છે કે ….
આ છોકરી ઝહીરાની શાદી બીજા એક છોકરા સાથે તા.ર૭/ ૧૦/૮પ ના રોજ નકકી થઈ છે, તો શરીઅત મુજબની શાદી કાયદેસર રીતે થઈ શકે કે કેમ ?
જવાબઃ– જો મજકૂર છોકરા છોકરીની શાદી ખરેખર થયેલી હશે તો માત્ર બિન મુસ્લિમ જજ સાહેબના ફેસલાના આધારે અથવા ફોજદારી કેસમાં છોકરાના જવાબના આધારે છોકરી અપરણિત સાબિત નહિ થાય અને ઝહીરાની શાદી ત્યાં સુધી બીજા કોઈ છોકરા સાથે હલાલ અને જાઈઝ નહીં ગણાય, જયાં સુધી અ.લતીફ તેને તલાક ન આપે અને તે અ.લતીફના નિકાહમાંથી સંપૂર્ણ રીતે અલગ ન થઈ જાય.
હા, જો ઝહીરાની શાદી અ.લતીફ સાથે શરીઅત મુજબ ખરેખર થઈ જ નથી અને નિકાહના ગવાહો પણ નથી તો ઝહીરા વિના સંકોચે બીજા કોઈ છોકરા સાથે શરીઅત મુજબ શાદી કરી શકે છે. (શામી : ર/૪પ૩)
Log in or Register to save this content for later.